CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 45 of 67 - CIA Live

June 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min3930

1 FB

નામ બડે ઔર દર્શન છોટે ને ચરિતાર્થ કરતી વધુ એક ઘટના રવિવારે બની છે. મોટા ગજાના બિલ્ડરો દાન પૂણ્ય માટે લખલૂંટ રૂપિયા જાહેરામાં વેડફતા હોય છે પરંતુ, મહેનત કરતા લોકોનું એટલી હદે શોષણ કરે છે કે શોષણનો ભોગ બનેલા લોકો છેક આત્મહત્યા સુધીનું આત્યાંતિક પગલું ભરી બેસતા હોય છે. સુરતના જમીન દલાલ અમૃત સોનવણેએ નવસારીના ફાર્મ હાઉસમાં ગળેફાંસો આ જ કારણોસર ખાઇને પોતાનું જીવન પૂરું કરી દીધું હતું.

આત્મહત્યા કરવા અગાઉ અમૃત સોનવણેએ ફેસબુક પર વિડીયો શૅર કરીને પોતાની કથની સુણાવી હતી. તેણે સુરતના ચાર બિલ્ડર્સ વિરુદ્ધ વળતર અને દલાલીના રુપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે મોટા ગજાના ચાર બિલ્ડરો પર આરોપ લગાડ્યો હતો કે તેણે મહેનત કરી પણ રૂપિયા ચૂકવાયા ન હતા. લેવાના બાકી રહેતા રુપિયા અને જમીનના સોદાની વિગતો પણ લખી હતી.

આ સુસાઈડ નોટમાં અમૃત સોનવણેએ માલિકના નામ લખીને તેમની પર એવા આરોપ લગાવ્યાં હતાં કે તેનો પગાર 25000 હતો અને કંપનીના કામ સબબ બહાર જવાનું થતું હોવાના કારણે તેમાં જ 12થી 15 હજારનો ખર્ચો થઈ જતો હતો. આ ઉપરાંત માલિકો સામે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે તેને પૂરતી દલાલીના પણ રુપિયા આપવામાં આવતાં નહોતાં. જેથી તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો અને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી.

અમૃત સોનવણે છેલ્લા ત્રણ દિવસથી પરિવાર સાથે કોઈ જ સંપર્કમાં નહોતો અને ગળેફાંસો ખાતા પહેલા વિડીયોમાં સ્થળનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવું પણ અનુમાન છે કે આર્થિક સંકડામણના કારણે અમૃત સોનવણેએ આત્મહત્યા કરી હતી. આ મામલે વાઈરલ થયેલા વિડીયોમાં ચારથી પાંચ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત

અમૃત સોનવણેએ આત્મહત્યા કરતા પહેલાં ત્રણ વિડીયો બનાવ્યા હતાં. પહેલા વિડીયોમાં તેણે પોતાના ફ્રેન્ડ્સની માફી માગી હતી જ્યારે અન્ય વિડીયોમાં તેણે પત્ની, બાળકો અને જીજાજીને સંબોધન કરતાં કહ્યું હતું કે, “જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારાથી ભૂલ થઈ ગઈ આઇ એમ સોરી, આ લોકોએ મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો, હું આવો નહોતો. બાળકો હું જઈ રહ્યો છું, આવજો. આવતા જન્મમાં મળીશું, ભાવના મને માફ કરી દેજે”

June 20, 2019
thief1.jpg
1min5090

સોનાના દાગીના બનાવવાનું કામ કરતો પશ્ચિમ બંગાળનો એક કારીગર શહેરના અનેક જર્વેલર્સના દાગીના લઈને રફૂચક્કર થઈ જતાં વેપારીઓને ધોળે દિવસે તારા દેખાઈ ગયા છે. આ કારીગર અંદાજે એક કરોડ રૂપિયાના ધડામણ માટે આવેલા દાગીના લઈને ભાગી ગયો છે. જેથી લાલગેટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મૂળ બંગાળનો વતની અને સૈયદપુરા, નાગરીવાડ વિસ્તારમાં રહેતો રામસુદિન ઉર્ફે ખોખન અકબર દાગીના ઘડવાનું કામ કરતો હતો. રામસુદ્દીને ફરિયાદી પ્રકાશભાઈ મનસુખભાઈ નાકરાણી( રહે. કમલાપાર્ક, કાપોદ્રા) પાસેથી તથા અન્ય જવેલર્સ પાસેથી સોનાના દાગીના બનાવવા તથા તેને પોલીસ કરવા માટે લીધા હતા. કામ પૂર્ણ થયા બાદ તમામને દાગીના પરત કરવાના બદલે રામસુદ્દીન દુકાનના શટર પાડીને નાસી ગયો હતો. જે અંગે છેવટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દાગીનાની કુલ કિંમત 95, 51,319 રૂપિયા છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8800

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતમાં શિક્ષણના નામે રીતસરનો વેપાર કરી રહેલા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સંચાલકોની ધંધાદારી પ્રવૃત્તિઓ હવે વાલીઓ વિદ્યાર્થીઓ પારખી ગયા છે. એક સાથે ત્રણ ત્રણ ડિગ્રી ઇજનેરી કોલેજો ચલાવતા ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની ત્રણયે કોલેજોમાં મોક રાઉન્ડમાં જ જંગી સંખ્યામાં સીટો ખાલી પડી રહી છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભઘવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમ ત્રણેય કોલેજો મળીને સ્ટેટ ક્વોટામાં કુલ 1637 ડિગ્રી ઇજનેરીની સીટો પ્રવેશ માટે રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 280 (ફક્ત 17 ટકા) બેઠકો પર પ્રવેશ ચોઇશ આપી છે.

એડમિશન કમિટીએ આપેલી વિગતો મુજબ ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય ડિગ્રી ઇજનેરી કોલેજોમાં કુલ 1357  બેઠકો (83 ટકા) મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા તો દૂરની વાત પરંતુ, પ્રયોગ માટે લેબોરેટરી, લાઇબ્રેરી, કમ્પ્યૂટર લેબ જેવી માળખાગત સુવિધાઓ નહીં આપતા સંચાલકો ફક્ત રૂપિયા ઉસેટવામાં જ રચ્યા પચ્યા રહે છે. એ તો ઠીક પરંતુ, કોલેજોમાં અધ્યાપકોને પૂરો પગાર પણ નહીં ચૂકવતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે.

અત્યાર સુધી પ્રવેશાર્થીઓ અજાણતામાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, પરંતુ, હવે ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની પ્રવૃતિઓ જગજાહેર થઇ ચૂકી હોઇ, વિદ્યાર્થીઓ આ સંસ્થાની કોલેજોને જાકારો આપી રહ્યા છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનયિરંગ એન્ડ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર અને મહાવીર સ્વામી ડિગ્રી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગ બ્રાંચ તો એવી છે જેમાં એકેય વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ચોઇશ આપી નથી એટલે કે ઇચ્છા દર્શાવી નથી. તમામ 71 બેઠકો મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

આ તો હજુ મોક રાઉન્ડનું પરીણામ છે, હજુ પણ એવા પ્રવેશાર્થીઓ હશે જેઓ એક્ચ્યુઅલ રાઉન્ડમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોની ચોઇશ કાઢીને સુરત કે રાજ્યની અન્ય ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવશે.

June 19, 2019
bitcoin_1.jpg
1min3930

ચાર હજાર કરોડના બિટકનેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાના સાત દિવસના રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં ૧૫.૭૩ કરોડના બિટકોઇન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કુંભાણીએ અમેરિકાની કંપની પાસેથી બિટકનેક્ટ ટોડ કોમનું ડોમેન ખરીદ્યું હોવાની વાત પણ સપાટી પર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિટકોઇનના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા સતીશ કુરજી કુંભાણી અને સુરેશ ગોરધન ગોરસિયા હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ પાસે રિમાન્ડ તળે હોઈ જેની પાસેથી ૨૬૦ બિટકોઇન પોલીસને હાથ લાગ્યા હતા અત્યારની કિંમત પ્રમાણે એક કોઇનની કિંમત રૂ. ૬ લાખ ૫ હજાર ગણવામાં આવે છે.

આ રીતે કુલ રૂ. ૧૫ કરોડ ૭૩ લાખની કિંમતના કોઇન કબજે કર્યા હતા. આ ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી રૂ. ૩ લાખની કિંમતની એક કાર તેમજ સુરેશ ગોરસિયા પાસેથી રૂ. ૧ લાખની કિંમતનું બુલેટ પણ પોલીસે કબજે કર્યું હતું. જ્યારે સીઆઇડી ક્રાઇમે સતીશ કુંભાણીના ઘરેથી ત્રણ લેપટોપ, એક ઓલ ઇન વન સિસ્ટમ અને ચાર પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. જેની તપાસ કરી તો તેમાંથી બિટકોઇનની જેમ જ અન્ય કોઇનો બિટકોઇન કેશ, પીઅર કોઇન, નોવા કોઇન, બીસીસી કોઇન અને મલ્ટિબિટ કોઇનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યાં હતાં.

કરોડોના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડકારો સુરતના સતીશ કુંભાણીની ટોળકીએ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દુનિયાના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. જેથી અમેરિકાની એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અમેરિકા, જાપાન, દુબઈ સહિતના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. સુરતના સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા, ધવલ માવાણીએ બિટકોઇનના નામે ૨૦૧૬ના વર્ષમાં કૌભાંડનો પ્રારંભ કર્યો અને છેક અમેરિકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં સતીશ અને સુરેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હજુ નાસતા ફરે છે. દરમિયાન વિશ્ર્વવ્યાપી આ કૌભાંડ સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કુલ સાત ગુના નોંધાયા હતા અને સીઆઇડી ક્રાઇમ વડા તપાસ કરી રહી છે.

June 19, 2019
ed_logo.jpg
1min10360

સુરતસ્થિત કંપની અને તેના પ્રમોટરોએ કરેલી બૅંક લૉન છેતરપિંડી અને મનીલૉન્ડરિંગને લગતા કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીએ મંગળવારે અંદાજે રૂ.૧૬૧૦ કરોડનું મૂલ્ય ધરાવતા છ હજાર કરતા પણ વધુ વાહનો ટાંચમાં લીધાં હતાં.

ઈડીએ સિદ્ધિવિનાયક લૉજિસ્ટીક લિ. અને તેના ડિરેક્ટર રૂપચંદ બેઈદ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મનીલૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત મિલકતને ટાંચમાં લેવાનો કામચલાઉ આદેશ બહાર પાડ્યો હતો.

બૅંક ઑફ મહારાષ્ટ્રમાં કાળાનાણાં ધોળા કરવાને લગતા રૂ.૮૩૬.૨૯ કરોડની લૉન છેતરપિંડીમાં ભજવેલી કથિત ભૂમિકા બદલ એજન્સીએ અગાઉ પણ બેઈદની ધરપકડ કરી હતી. આદેશને પગલે રૂ.૧૬૦૯.૭૮ કરોડનું મૂલ્ય ધરાવતા ૬૧૭૦ વાહન ટાંચમાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

એ જ પ્રમાણે એજન્સીએ જૂન ૨૦૧૭માં કંપનીની રૂ.૧૯ કરોડની મિલકત ટાંચમાં લીધી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા એફઆઈઆરને આધારે ઈડીએ કંપની વિરુદ્ધ મનીલૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

June 18, 2019
sudico_logo.png
1min4500

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના કરન્ટ ખાતેદારો હાલ બેંકની કાર્યવાહીથી ધૂંઆપૂંઆ બની ગયા છે. આવું થવાના કારણની તપાસ કરાતાં જાણવા મળ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે તેની તમામ શાખાઓમાં કરન્ટ ખાતું ધરાવતા ખાતેદારો પાસેથી એમની અન્ય બેંકના ખાતામાં ચાલતી લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે અને બેંક દ્વારા ખાતેદારો પાસેથી રોજેરોજ આ માહિતીની ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કરન્ટ ખાતેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક શું કહે છે

સી.આઇ.એ. લાઇવ એ જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે સવાલ કર્યો ત્યારે આધિકારીક રીતે બેંકના સૂત્રોએ જણાવ્યું કે બેંકીંગ કાર્યવાહીના ભાગરૂપે કરન્ટ ખાતેદારો પાસે આ માહિતી મંગાવવામાં આવી રહી છે. કોઇપણ બેંકમાં જ્યારે કરન્ટ ખાતું ખોલાવવામાં આવે ત્યારે ખાતેદાર પાસેથી તેમના અન્ય બેંક ખાતાની લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવા અંગેનું ડેકલેરેશન લેવામાં આવે છે, આ પ્રોસેસ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે હાલમાં હાથ ધરી છે.

કેટલાક એવા ખાતેદારો હોય છે જેઓ અન્ય બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લઇ, ડિફોલ્ટર બન્યા પછી ફંડ ટ્રાન્સફર કરીને અન્ય બેંકનું ખાતું ચલાવતા હોય છે આવી પ્રવૃતિ પર રોક લગાડવા માટે વિગતો માંગવામાં આવી રહી છે.

કરન્ટ ખાતેદારોની ફરીયાદ શું છે?

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના કરન્ટ ખાતેદારોએ જણાવ્યું હતું કે અન્ય બેંકની બ્રાન્ચમાં લોન હોય કે ઓવરડ્રાફ્ટ હોય તેની સાથે ડિસ્ટ્રીક્ટ બેંકને શું લેવા દેવા?,

કરન્ટ ખાતેદારો લોન કે ઓવરડ્રાફ્ટ માંગે ત્યારે તેની પાસે દેવાની વિગતો માંગી શકાય પરંતુ, કરન્ટ ખાતુ યોગ્ય રીતે ચાલતું હોય ત્યારે બેંકને ગ્રાહકના અન્ય ખાતાની વિગતોની આવશ્યકતા કેમ પડે?

એક એવી પણ દલીલ છે કે જો ગ્રાહક પોતાના અન્ય બેંકના ખાતા કે તેના લોન-ઓવરડ્રાફ્ટની વિગતો છુપાવે તો બેંક શું કરી શકે?

એવી જ રીતે બેંકને અન્ય બેંકના લોન અને ઓવરડ્રાફ્ટ અંગેનું ડેકલેરેશન આપ્યા બાદ ખાતેદારોએ બીજી બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લીધા હોય તેવા સંજોગોમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક શું કરશે ?

આમ, કરન્ટ ખાતેદારોનું કહેવું છે કે બેંકે કોઇ ભેદી કારણોસર કરન્ટ ખાતેદારોના અન્ય બેંકના દેવા અંગેની વિગતો મંગાવી છે. ઘણાં ખાતેદારોએ બેંકની આ પ્રવૃત્તિને શંકાસ્પદ ગણાવી છે.

વિવાદ કેમ ઉપસ્થિત થયો?

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને કરન્ટ ખાતેદારો વચ્ચે વિવાદ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે શહેરમાં સેંકડો બેંકો ચાલી રહી છે પણ ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક દ્વારા જ કોઇપણ ચોક્કસ કારણ કે નોટિસ આપ્યા વગર કરન્ટ ખાતેદારો પાસે તેમના અન્ય બેંકોના લોન-ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે. પરીણામે ખાતેદારોમાં એવી શંકા છે કે જો રિઝર્વ બેંકે આદેશ કર્યો હોય તો અન્ય બેંકો કેમ આવી માહિતી મંગાવતી નથી અને ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક જ કેમ આવી પ્રાઇવેટ માહિતી બેંક ખાતેદારો પાસે મંગાવી રહી છે.

June 17, 2019
shilpa_surat.png
1min2680
તા.16મી જુનને રવિવારની સવારે સુરતવાસીઓને અભિનેત્રી શિલ્પાએ યોગના પાઠ ભણાવ્યા હતા. શિલ્પાના યોગ સેશનમાં 3000 જેટલા સુરતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિલ્પા શેટ્ટીએ જીમમાં પરસેવો પાડવા કરતાં યોગને વધુ મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો.
shilpa surat2

દર વર્ષેની જેમ આ વર્ષે પણ યોગ દિવસને પ્રોત્સાહન આપવા અગાઉથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ સ્થળોએ યોગ કરીને વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવાની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગ રૂપે બોલિવુડની સૌથી ફિટ ગણાતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સુરત આવી હતી અને સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્સન સેન્ટર ખાતે સવારના પહોરમાં એકત્રિત સુરતીઓને યોગના પાઠ ભણાવ્યા હતા.

સુરત આવેલી શિલ્પા શેટ્ટીએ સુરતની મુલાકાત દરમિયાન સુરતની પ્રચલિત ફૂડ ડીશીસ પણ આરોગી હતી. પ્રસ્તુત તસ્વીરમાં ફાફડા, જલેબી, ચટણીની જયાફત ઉડાતતી શિલ્પા શેટ્ટી દ્રશ્યમાન છે.

June 15, 2019
custodial.jpeg
1min3780

સુરતના કસ્ટોડિયલ ડેથના બનાવમાં ફોજદાર અને પોલીસમેનની ધરપકડ: છની શોધ

ખટોદરા પોલીસ મથકમાં ચોરીના શકમંદ આરોપી ઓમપ્રકાશ પાંડેને બેફામ માર મારીને મૃત્યુ નિપજાવવાના બનાવમાં ફોજદાર ચૌધરી અને પોલીસમેન હરેશની ધરપકડ કરવામાં આવી હતી.
પંદર દિવસ પહેલા તા. 29મીએ ઘરફોડ ચોરીના ગુનામાં ઓમપ્રકાશ પાંડે, જયપ્રકાશ અને રામગોપાલની અટકાયત કરીને ખટોદરા પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતાં. ત્યાં ગુનાની કબુલાત કરાવવા માટે ત્રણેયને બેફામ માર મારવામાં આવ્યો હતો. ઓમપ્રકાશ પાંડેને ઉંધો લટકાવીને માર મરાયો હતો. તેના કારણે તેની તબિયત લથડી  હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ કસ્ટોડિયલ ડેથના બનાવ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ ખીલેરી, પીએસઆઇ ચૌધરી સહિત આઠ સામે ગુનો નોંધાયો હતો. આ બનાવમાં  સંડોવાયેલ ફોજદાર ચૌધરી અને પોલીસમેન હરેશ આજે સુરત ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયા હતાં. એ બન્નેની ધરપકડ કરીને તપાસનીશ અધિકારીએ પુછપરછ હાથ ધરી હતી. આ બનાવમાં તાજના સાક્ષીની આકરી પુછપરછ કરીને ધરપકડ કરાઇ હતી. બાદમાં તેને રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. રિમાન્ડ મુદ્દત પુરી થતાં જેલ હવાલે કરાયો હતો. પોલીસ મથકમાં સાક્ષીને પણ માર મરાયો હતો.
June 14, 2019
suratfire-1.jpg
1min3310

સુરતમાં તક્ષશિલા કોમ્પેક્ષમાં લાગેલી ભયાનક આગમાં 22થી વધુ બાળકોના મોત થયા હતા. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ કડક વલણ દાખવ્યું હતું અને ગુજરાત સરકારને નોટીસ ફટકારી દીધી છે. સુરતમાં લાગેલી આગના પગલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી.

પી.આઇ.એલ.ના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે. અગ્નિ સલામતીના નિયમોના સખત અમલ અને તેનું અમલ ન કરનારા વિરુદ્ધ પગલાં લેવા મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પી.આઇ.એલ.ના અનુસંધાને હાઈકોર્ટે ગૃહખાતાના મુખ્ય સેક્રેટરી, સ્ટેટ યુનિયન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરતના ચીફ ફાયર અધિકારી, સુરત પોલીસ કમિશનર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ અને સરથાના પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જોગ નોટિસ જારી કરી છે. જાહેર હિતની રીટની સુનાવણી 27 જૂને હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

અડાજણના રહેવાસી સંજીલ ભાર્ગવ અને તેમના વકીલ વિશાલે દુકાનદારોના ઈન્સ્યોરન્સ કવરને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. આ સિવાય તમામ શોપિંગ કોમ્પલેક્ષ, બિલ્ડીંગ, મોલ, બેન્કવિટ, કોચિંગ ક્લાસિસ અને સ્કૂલમાં ફાયર ઈન્સ્યોરન્સ ફરજીયાત કરવાની માગ કરી હતી. પીઆઈએલમાં ફાયર ઈન્સ્યોરન્સને લઈને કડક નિયમ બનાવવાની સૂચના કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ કરનારનું લાયસન્સ રદ્દ કરવાની વાત પણ કરી હતી.

June 10, 2019
sai1.jpg
1min6230

સામર્થ્યવાનને જ સફળતા સાંપડે છે એવા શબ્દો સાથે સુરતમાં નાનપુરા-ટીમલીયાવાડ શ્રી સાઇ કોર્પોરેશનએ સુરત અને નવસારી સંસદીય મત વિસ્તારમાં વિક્રમી સરસાઇ સાથે ચૂંટાયેલા સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શના જરદોષનું જાહેર અભિવાદન કર્યું હતું.

સામર્થ્યવાનને જ સફળતા સાંપડે, સાંસદોને શ્રીસાઇ કોર્પોરેશને સન્માન્યા

આ પ્રસંગે શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ જણાવ્યું હતું કે સાઇ કોર્પોરેશન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સુરતમાં એન.જી.ઓ. (નોન ગવર્ન્મેન્ટ ઓર્ગેનાઇઝેશન) તરીકે કાર્યરત છે. સમાન વયજૂથના સેંકડો યુવકો શ્રી સાઇ કોર્પોરેશનમાં સક્રીય છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપમાં સુરતના જુદા જુદા ક્ષેત્રના વ્યવસાયિકો, ધંધાર્થીઓ, નોકરીયાત સક્રીય રીતે જોડાયેલા છે. આ એવું ગ્રુપ છે જેમાં સુરત ઉપરાંત ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં રહેતા મિત્રમંડળ પણ સંકળાયેલા છે.

સૈનિક પરિવારો માટે સહાય, બ્લડ ડોનેશન કેમ્પસ, મેડીકલ રિલીફ વગેરે પ્રકારના કાર્યક્રમો આપી ચૂકેલા શ્રી સાઇ કોર્પોરેશનના મેમ્બર્સે શનિવાર, તા.8મી જુનના રોજ સાંજે ટીમલીયાવાડ એલ.આઇ.સી. ક્વાર્ટસ પાસે સુરત અને નવસારીના બન્ને સાંસદોનો જાહેર અભિવાદન સમારોહને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

કાર્યક્રમની અનેક વિશેષતાઓ પૈકી ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ હતી કે શ્રી સાઇ કોર્પોરેશન સાથે સંકળાયેલા તમામ સભ્યો, મિત્રો ટીમ ઇન્ડીયાની વર્લ્ડ કપ સ્કવોર્ડના ટી-શર્ટના ડ્રેસ કોડમાં સજ્જ હતા.

દ્વિહેતુક કાર્યક્રમ હતો

સંસ્થાના ફાઉન્ડર શ્રી અશોક રાંદેરીયાએ કહ્યું કે કાર્યક્રમ દ્વી-હેતુક હતો, એક હેતુ વિક્રમી સરસાઇથી ચૂંટાયેલા બન્ને સાંસદો શ્રી દર્શનાબેન તેમજ શ્રી સી.આર. પાટીલનું જાહેર અભિવાદનનો હતો જ્યારે બીજો હેતુ હાલ લંડનમાં વર્લ્ડકપ ક્રિકેટ રમી રહેલી ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવા માટેનો હતો. ટીમ ઇન્ડિયા હાલ લંડનમાં સારુ પરર્ફોમન્સ કરી રહી છે. અમારો સંદેશો ટીમ ઇન્ડિયા સુધી પહોંચે કે ન પહોંચે પરંતુ, અમને ગર્વ છે કે ટીમ ઇન્ડિયા વિશ્વસ્તરે સતત સારુ પરફોર્મન્સ આપીને ભારતનું નામ રોશન કરી રહી છે.

સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું જાહેર અભિવાદન કરતા સુરતના શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર ચેરમેન શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ સ્થાનિક યુવા ભાજપ આગેવાન શ્રી રાજેશભાઇ સેલર

નવસારીના સાંસદ સુરતના રહેવાસી શ્રી સી.આર. પાટીલનું જાહેર અભિવાદન કરતા સુરતના શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર ચેરમેન શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ સ્થાનિક યુવા ભાજપ આગેવાન શ્રી રાજેશભાઇ સેલર

જાહેર અભિવાદનના પ્રતિસાદમાં શ્રી સી.આર. પાટીલએ શ્રી સાઇ કોર્પોરેશન અને શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ તેમના ગ્રુપની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાઇ કોર્પોરેશન જેવી સંસ્થાઓ સંગઠનાત્મક કામગીરીથી સમાજને એકસૂત્રતામાં બાંધે છે. પોતાના જાહેર અભિવાદન બદલ શ્રી સી.આર. પાટીલ તેમજ શ્રીમતી દર્શનાબેન જરદોષે સમગ્ર સાઇ કોર્પોરેશન ગ્રુપનો આભાર માન્યો હતો.

આ પ્રકારે શ્રી સાઇ કોર્પોરેશનના તમામ મેમ્બર્સ ડ્રેસ કોડ, ટીમ ઇન્ડિયાના ટી શર્ટમાં સજ્જ થઇને કાર્યક્રમમાં સહભાગી થયા હતા