નામ બડે ઔર દર્શન છોટે ને ચરિતાર્થ કરતી વધુ એક ઘટના રવિવારે બની છે. મોટા ગજાના બિલ્ડરો દાન પૂણ્ય માટે લખલૂંટ રૂપિયા જાહેરામાં વેડફતા હોય છે પરંતુ, મહેનત કરતા લોકોનું એટલી હદે શોષણ કરે છે કે શોષણનો ભોગ બનેલા લોકો છેક આત્મહત્યા સુધીનું આત્યાંતિક પગલું ભરી બેસતા હોય છે. સુરતના જમીન દલાલ અમૃત સોનવણેએ નવસારીના ફાર્મ હાઉસમાં ગળેફાંસો આ જ કારણોસર ખાઇને પોતાનું જીવન પૂરું કરી દીધું હતું.
આત્મહત્યા કરવા અગાઉ અમૃત સોનવણેએ ફેસબુક પર વિડીયો શૅર કરીને પોતાની કથની સુણાવી હતી. તેણે સુરતના ચાર બિલ્ડર્સ વિરુદ્ધ વળતર અને દલાલીના રુપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે મોટા ગજાના ચાર બિલ્ડરો પર આરોપ લગાડ્યો હતો કે તેણે મહેનત કરી પણ રૂપિયા ચૂકવાયા ન હતા. લેવાના બાકી રહેતા રુપિયા અને જમીનના સોદાની વિગતો પણ લખી હતી.
આ સુસાઈડ નોટમાં અમૃત સોનવણેએ માલિકના નામ લખીને તેમની પર એવા આરોપ લગાવ્યાં હતાં કે તેનો પગાર 25000 હતો અને કંપનીના કામ સબબ બહાર જવાનું થતું હોવાના કારણે તેમાં જ 12થી 15 હજારનો ખર્ચો થઈ જતો હતો. આ ઉપરાંત માલિકો સામે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે તેને પૂરતી દલાલીના પણ રુપિયા આપવામાં આવતાં નહોતાં. જેથી તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો અને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી.
અમૃત સોનવણે છેલ્લા ત્રણ દિવસથી પરિવાર સાથે કોઈ જ સંપર્કમાં નહોતો અને ગળેફાંસો ખાતા પહેલા વિડીયોમાં સ્થળનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવું પણ અનુમાન છે કે આર્થિક સંકડામણના કારણે અમૃત સોનવણેએ આત્મહત્યા કરી હતી. આ મામલે વાઈરલ થયેલા વિડીયોમાં ચારથી પાંચ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત
અમૃત સોનવણેએ આત્મહત્યા કરતા પહેલાં ત્રણ વિડીયો બનાવ્યા હતાં. પહેલા વિડીયોમાં તેણે પોતાના ફ્રેન્ડ્સની માફી માગી હતી જ્યારે અન્ય વિડીયોમાં તેણે પત્ની, બાળકો અને જીજાજીને સંબોધન કરતાં કહ્યું હતું કે, “જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારાથી ભૂલ થઈ ગઈ આઇ એમ સોરી, આ લોકોએ મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો, હું આવો નહોતો. બાળકો હું જઈ રહ્યો છું, આવજો. આવતા જન્મમાં મળીશું, ભાવના મને માફ કરી દેજે”





















