જયેશ બ્રહ્મભટ્ટ
સુરત એરપોર્ટના મેનેજમેન્ટે અક્કલનું દેવાળું ફૂંક્યું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. હેરીટેજ સાઇટ (ઐતિહાસક ઇમારત) માં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પૌરાણિક ધરોહર સમી ઇમારતોમાં જેને સ્થાન આપીને હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જેનું જતન કરવામાં આવે છે એ ડચ સિમેટ્રી (ડચ કબ્રસ્તાન)નું વોલ પેપર સુરત એરપોર્ટની મૂતરડી (યુરિનલ)માં મૂકવામાં આવ્યું છે. આવું કૃત્ય કરીને સુરત એરપોર્ટ ઓથોરિટીએ સમગ્ર સુરત માટે નામોષીજનક સ્થિતિ પેદા કરી છે.

માહિતી એવી મળી રહી છે કે જ્યારથી સુરત એરપોર્ટ ધમધમતું થયું છે ત્યારથી આ પ્રકારનું વોલપેપર મૂતરડીમાં ડિસ્પ્લો કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મૂતરડીનો ઉપયોગ કરતા લોકોના ધ્યાને આ બાબત આવી ન હતી કે સુરત એરપોર્ટની મૂરતડીમાં જે વોલ પેપર છે એ ઐતિહાસિક ધરોહર સમી ડચ સિમેટ્રીનું છે. પરંતુ, કેટલાક બુદ્ધિજીવીઓના ધ્યાન પર આ બાબત આવતા હવે આ બાબત વાઇરલ થવા પામી છે.
એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે સુરત એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીઓને ઐતિહાસિક ઇમારત તરીકે જેને સ્ટેટસ મળ્યું છે એ સુરત સ્થિત ડચ સિમેટ્રીના ફોટોગ્રાફ્સ ડિસ્પ્લે કરવા માટે સુરત એરપોર્ટ પર મૂરતડીની દિવાલ સિવાય અન્ય કોઇ જગ્યા જ નહીં મળી હોય
કેટલાક લોકો માને છે કે ખરેખર આ અક્કલનું દેવાળું ફૂંકવા સમાન છે. એક તરફ સુરત મહાનગરપાલિકા આ હેરિટેજ સાઇટનું જતન-જાળવણી કરવા પાછળ લાખો રૂપિયા ખર્ચી રહી છે, સુરત આવતા વિદેશી મહેમાનોને ખાસ અહીં મુલાકાતે લઇ જવામાં આવે છે ત્યારે સુરત એરપોર્ટએ આવી ઐતિહાસિક ધરોહરને મૂતરડીમાં સ્થાન આપીને સુરતને નામોષી મળે તેવું પરાક્રમ કર્યું છે.
જયેશ બ્રહ્મભટ્ટ
ગઇ તા.21મી જુન 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ, સમગ્ર ભાજપાના નેતાઓ યોગ દિવસના જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગણાતા હર્ષ સંઘવી એકાએક નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને ત્યાં તંત્રવાહકોની કામગીરીથી સંતોષ ન થતા જાહેરમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને ધમકી આપી હતી કે ટાંટીયા તોડાવી નાંખીશ.
આ રહ્યો વિડીયો જેમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં ટાંટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી
મધ્યપ્રદેશના આકાશ કૈલાશ વિજય વર્ગીય પ્રકરણ બાદ મહારાષ્ટ્રમાં નીતિશ નારાયણ રાણે પ્રકરણ અને હર્ષ સંઘવીની ધમકી વચ્ચે રહેલું સામ્ય અને આવી ઘટનાઓ પરત્વે ખુદ નરેન્દ્ર મોદીની નારાજગીને જોતા હર્ષ સંઘવીને કેટલાક હિતુચ્છુઓએ સમગ્ર ઘટના અંગેની માહિતી દિલ્હી સ્થિત બીજેપી હાઇકમાન્ડના નેતાઓ સુધી પહોંચાડીને આ મામલામાં શિસ્તભંગના પગલાં ભરવા માટે રજૂઆતો કરી છે.
જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા હર્ષ સંઘવી સામે ભાજપા આગામી દિવસોમાં કેવું વલણ અપનાવે છે.
હર્ષ સંઘવી પોતાના આવા આક્રમક વલણ માટે જાણીતા છે, અગાઉ તાપી નદીના શુદ્ધીકરણના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓને આ જ પ્રકારે લબડધક્કે ચઢાવી ચૂક્યા છે.

(With Thanks From the Facebook wall of Parul Mahadik, courtesy TV-9 Gujarati.)
આ ધમકી 15 દિવસે નવી દિલ્હી સ્થિત ભાજપા હાઇકમાન્ડ સુધી પહોંચી છે અથવા પહોંચાડવામાં આવી છે.
બન્યું એવું કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ ભાજપાના કૈલાશ વિજય વર્ગીયના દિકરા આકાશએ ત્યાના લોકલ અધિકારીને કોઇક મુદ્દા પર બેટ વડા ફટકાર્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખુદ નરેન્દ્ર મોદીએ આવી ઘટનાઓ ભાજપાની છબી બગાડતી હોવાની ટકોર કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની હાકલ કરી હતી.

ભાજપાના મધ્યપ્રદેશ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરને પગલે આકાશ વિજય વર્ગીયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પછી લાઇમલાઇટમાં રહેતા મધ્યપ્રદેશના નેતા વિજય વર્ગીય હાલ કોર્નર કરી દેવાયા છે.
એ પછી મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ નારાયણ રાણે કે જે પોતે પણ ધારાસભ્ય છે એણે બિસ્માર માર્ગના મુદ્દે સ્થાનિક અધિકારીને કાદવથી નવડાવીને જાહેરમાં અપમાનિત કર્યા. આ ઘટના બાદ નીતિશ રાણેએ જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો.

સોમવાર, તા.8મી જુલાઇએ સવારે 8 વાગ્યાથી શરૂ થતા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ થાય તેવી સેટેલાઇટ ઇમેજને સહારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરુચ, વડોદરા, ડાંગ, દાહોદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં આમેય છેલ્લા 48 કલાક દરમિયાન વાપી, ઉમરગામ, ડાંગ વગેરે વિસ્તારમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. હવે મંગળ અને બુધવારના આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
સુરતમાં આજે વર્સેટાઇલ માઇનોરિટી ફોરમ દ્વારા મોબ લિંચીંગની દેશભરમાં બની રહેલી ઘટનાઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી ખ્વાજાદાના દરગાહથી નીકળીને કાદરશાની નાળ થઇને મક્કાઇ પુલ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ કોઇ અગમ્ય કારણોસર બબાલ શરૂ થઇ હતી.
ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ રેલી પર કોઇકે પત્થર ફેંક્યો હતો અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. વણઓળખાયેલા લોકોના ટોળાએ પત્થરમારો કરવા સાથે આસપાસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ટોળાએ ત્યાંથી પસાર થઇ રહેલી બસ પર પણ પત્થરમારો કર્યો હતો.
તોફાને ચઢેલા તોફાનીઓને ખદેડવા માટે પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.

થોડી મિનિટોમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને રેલીને વિખેરી નાંખી હતી.

પોલીસે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લઇને નાનપુરાથી મજૂરાગેટ તરફનો વાહનવ્યવહાર શરૂ કરાવી દીધો હતો. ઘટના સ્થળેથી પોલીસે રેલી વિખેરી નાંખવા સાથે લોકોના ટોળાને પણ વિખેરી નાંખ્યા હતા.
વર્કશોપ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકેની જવાબદારી સંભાળતા ઉદય નાયકને છેલ્લાં બે વર્ષથી સોલિડ વેસ્ટ વિભાગ મેનેજર તરીકેની વધારાની કામગીરી પણ સોંપવામાં આવી હતી.
2018 વર્ષે દિવાળી પહેલાં જ શહેરને કચરાના કન્ટેઈનર મુક્ત કરવા માટેનો નિર્ણય લેવાયો હતો. તમામ કન્ટેઈનર લઈ લેવાયા હતાં. તેના સ્થાને કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કલેક્શન માટે ટ્રેક્ટર ભાડે લેવાનું નક્કી કરાયું હતું. તેમાં માનીતા ઇજારદારોને ગોઠવવા માટે ખેલ ખેલાયો હતો. પાછળથી ટેન્ડરની શરતો બદલીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદો થઈ હતી.
કમિશનર થૈનારસને તપાસના આદેશ આપ્યા હતાં. તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ઉદય નાયકની પણ ભૂમિકા જણાતી હોઈ તેમને ગુરુવારે સસ્પેન્ડ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત શહેર જિલ્લાના શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સરકારી તંત્રો હરકતમાં આવ્યા છે અને નીતિ નિયમો વિરુદ્ધ ચાલી રહેલી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આજે સુરતના અડાજણ વિસ્તારમાં રોહાઉસની જગ્યામાં ઉભી કરી દેવામાં આવેલી રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં ચાલી રહેલી અનેક ગેરરીતિઓ તેમજ ત્રુટિઓને પગલે આ સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ભલામણ કરી દીધી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આ મુજબની ભલામણ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને કરી છે.

સ્કુલનું પૂરું નામ શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન છે. આ સંસ્થા મૂળ પરેશ પટેલ કે જેઓ હાલમાં સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા નરથાણ ગામ ખાતે સંસ્કારકુંજ જ્ઞાનપીઠ નામથી શાળા ચલાવી રહ્યા છે, એમણે સ્થાપના કરી હતી. બાદમાં તેમણે સ્કુલનું સંચાલન અન્ય ટ્રસ્ટીઓને સોંપ્યું હતું, જેમાં અનેક ગેરરીતિઓ થયાની ફરીયાદોના પગલે સ્થાનિક શિક્ષણાધિકારી કચેરીએ તપાસ હાથ ધરતા પ્રથમ દર્શી નજરે જ અનેક ક્ષતિઓ જણાય આવી હતી. જેને પગલે શિક્ષણાધિકારીએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે લેખિતમાં ભલામણ કરી દીધી છે.
ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થતાની સાથે વીજકરંટ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે સુરતમાં શુક્રવારે વીજપોલ પાસેના આવેલ થાભંલાને અડતા વીજ કરંટ લાગવાથી યુવતીનુ ઘટનાસ્થળે મોતને ભેટી હતી. સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે એક યુવતી પસાર થઈ રહી હતી. ત્યારે યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ ઘટનાના સમયે પાસેથી પસાર થતી અન્ય યુવતીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા. અને ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ડીજીવીસીએલ સામે ફરીયાદ નોધાવામાં આવી યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માગ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ હતી. જેમાં વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. આ ઘટનાના પગલે કોર્પોેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના બાદ સુરતમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી ડીજીવીસીએલ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી ડીજીવીસીએલ સામે યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માંગ કરી હતી.
ચારધામની યાત્રાએ ગયેલા સુરતના વાડી ફળિયા ખાતે રહેતા ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડીયા, જેનિસ પટેલ યુવકોનું ઉત્તરાખંડની નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે તેને બચાવવા કૂદેલા અન્ય બે મિત્રોનો હજુ સુધી પતો લાગ્યો નથી. તેમની શોધખોળ ચાલી રહી છે.

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની યાત્રાએ ગયા હતા. તેઓ શુક્રવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ફેનિલ ઠક્કર નામનો યુવક નદીમાં લપસી પડ્યો. આ દરમિયાન ફેનિલને બચાવવા માટે તેના અન્ય બે મિત્ર જેનીસ પટેલ અને કૃણાલ કોસાડીયા પણ નદીના વહેતા પાણીમાં કૂદી પડ્યા હતા. નદીનું વહેણ એટલું હતું કે એક ને બચાવવા માટે પડેલા બીજા બંને યુવકો પણ તણાઈ ગયા હતા. મોડી સાંજે એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બીજા બેની શોધખોળ ચાલી રહી હતી.
થોડા કલાક બોદ ફેનિલ ઠક્કરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. જ્યારે જેનીસ અને કૃણાલની શોધ હાથ ધરવામાં આવી પરંતુ મોડી રાત સુધી તેમનો પત્તો લાગ્યો નહોતો. સુરતના 3 યુવાનો ડુબી જવાની ઘટનાને કારણે વાડીફળિયા સમેત સમગ્ર સુરતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
સમગ્ર ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદે વાતાવરણને આલ્હાદ્ક બનાવી દીધું છે. ખાસ કરીને સુરતમાં સુરતીઓ તા.25મી જુનને સવારથી જ મૂશળધાર વરસાદનો આનંદ માણી રહ્યા છે.
મંગળવારે સવારે સુરતીઓ જાણે હિલ સ્ટેશનનો માહોલ અનુભવી રહ્યા હતા. શોખીન સુરતીઓએ પોતાની પરંપરા જાળવતા પહેલા વરસાદે ભજીયા પાર્ટીનો આનંદ લીધો હતો.
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે સોમવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. મધરાત્રે અમદાવાદમાં પવન સાથે વરસાદ થતા અનેક ઠેકાણે ઝાડ તૂટી પડ્યા હતા. જ્યારે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા.
રાજકોટ જિલ્લાના આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અમરેલી શહેર અને જિલ્લામાં સોમવારની સાંજથી ધોધમાર વરસાદ શરૂ થતા નદી-નાળામાં ભરાયાં હતા. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો હતો. એક યુવાન ચંપલ લેવા સેતુબંધ ડેમમાં પડ્યો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા યુવાનની શોધખોળ ચાલુ કરાઇ હતી.
દરમિયાન સોમવારે સવારે પૂરાં થતા છેલ્લાં ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 75 મી.મી. એટલે કે 3 ઇંચ રસાદ વરસ્યો છે.
રાજ્યના 19 જિલ્લાઓના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ 9 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય મીછાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે.