સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.

ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..
સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.















