રાજ્ય સરકાર મહેરબાન તો DEO રાજ્યગુરુ પહેલવાન
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતના સૌથી ઝડપથી વિકાસ પામતા સૂરત શહેરમાં તેની વિકાસની ગતિને અનુરૂપ વહીવટી અધિકારીઓ હોવા જોઇએ. પરંતુ, સૂરતના શિક્ષણ જગતની કમનસીબી છે કે હાયર એજ્યુકેશનમાં વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગુપ્તા સાહેબ અને સ્કુલિંગ ક્ષેત્રના વડા રાજ્યગુરુ સાહેબ બન્ને એવા માથાના મળ્યા છે કે શિક્ષણની ઘોર ખોદાય રહી છે.
સૂરતને આજ સુધી મળ્યા નથી એટલા હોપલેસ ડીઈઓ હાલમાં જોવા મળી રહ્યા છે. શિક્ષણાધિકારીના નિર્ણયોમાં વિદ્યાર્થી હિત કેન્દ્રમાં હોવું જોઇએ તેની જગ્યાએ વિદ્યાર્થી હિત તો દૂરની વાત પણ અત્યારના ડીઈઓ રાજ્યગુરુ સાહેબના નિર્ણયોથી એવી અનુભૂતિ થાય છે કે વિદ્યાર્થીનું પારાવાર અહિત થઇ રહ્યું છે.
એફ.આર.સી.ના નિર્ણયોનું અમલ કરાવવામાં કે આઇ.ટી.ઇ.ના મામલામાં ખોટા કેસો નજર સામે હોવા છતાં પગલાં ભરવામાં નપાણિયા પૂરવાર થયેલા હાલના ડીઈઓ રાજ્યગુરુએ તા.16મી માર્ચે જે કર્યું એના પરથી એવું લાગે છે કે જબ સરકાર મહેરબાન તો ડીઈઓ રાજ્યગુરુ પહેલવાન.
સરકારે કોરોના વાઇરસને વધતો અટકાવવા માટે તા.16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે પરિપત્ર કર્યા છે. આ પરિપત્રમાં (કોઇપણ સ્પેશિફિક બોર્ડની સ્કુલોનો નિર્દેશ કર્યા વગર) સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે જે શાળાઓમાં જો (બોર્ડ સિવાયની) પરીક્ષાઓ ચાલુ હોય તો પરીક્ષા આગામી સપ્તાહ એટલે કે ચાલુ સપ્તાહમાં પૂરી કરી દેવી. અને પરીક્ષા શરૂ ન હોય તો તા.30મી માર્ચ 2020 પછી લેવાનું આયોજન કરવું.
પરંતુ, સૂરતના શિક્ષણાધિકારી મહાશય રાજ્યગુરુ સાહેબને તા.16મી માર્ચે શાળાઓ બંધ કરાવવાનું એવું શૂરાતન ચઢયું કે જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હતી એમના સંચાલકોને દમદાટી આપીને સ્કુલો બંધ કરાવી દીધી. વૃદ્ધાવસ્થાની નજીક પહોંચેલા સૂરત ડીઇઓ રાજ્યગુરુ સાહેબની તા.16મી માર્ચની ભાષા જો સાંભળી હોય તો કોઇ એવું ન કહે કે આ સૂરત જેવા મોટા જિલ્લાના શિક્ષણ વિભાગનો વડા બોલતા હોય.
જ્યારે વાણી જ એવી હોય તો અર્થઘટનનું તો પૂછવું જ શું. સરકારી પરીપત્રનું મનસ્વી અર્થઘટન કરીને સૂરતના સ્કુલ સંચાલકોને રાજ્યગુરુ સાહેબે એવી પ્રતીતી કરાવી દીધી કે સરકારી પરીપત્ર નહીં પોતે કહેશે એમ જ સંચાલકોએ કરવું પડશે. તા.16મીએ શિક્ષણાધિકારીઓ સૂરતની અનેક સ્કુલોની પરીક્ષાઓ બંધ કરાવી દઇને વિદ્યાર્થીઓનું મોટું અહિત કર્યું છે.
વિદ્યાર્થીઓ રેડી હતા, સ્કુલો સજ્જ હતી, પરીક્ષા લેવાઇ ગઇ હોત તો બધા ને નિરાંત હોત
શહેરની કેટલીક પ્રાઇવેટ સ્કુલ્સમાં પરીક્ષા જો ડીઈઓએ સરકારી પરીપત્ર મુજબ લેવા દીધી હોત તો હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કુલ શિક્ષકો તમામને નિરાંત થઇ હોત. પરંતુ, કયા કારણોસર સરકારી પરીપત્રનું ડીઈઓએ મનસ્વી અર્થઘટન કર્યું એ સમજાતું નથી. ખુદ સરકારે પરીપત્રમાં નિર્દેશ કર્યો હોય કે જે શાળાઓમાં પરીક્ષા ચાલુ હોય તે શાળામાં સપ્તાહમાં પૂરી કરવી, એ વાત તાર્કીક છે કે સરકારને પણ ચાલુ પરીક્ષામાં અંતરાય થાય તો કેટલા લોકોએ સહન કરવુું પડે..
સૂરતમાં કે ગુજરાતમાં ના તો હજુ કોરોનાનો એકેય કન્ફર્મ કેસ મળ્યો છે કે ન તો એલાર્મિંગ સિચુએશન છે. અને એટલે જ સરકારે જ્યાં પરીક્ષા શરૂ હતી એ સ્કુલોને ચાલુ સપ્તાહમાં પરીક્ષા પૂરી કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ પરીપત્રમાં કર્યો છે, પરંતુ, રાજ્યગુરુ સાહેબને કોણ જાણે કેમ સ્કુલો બંધ કરાવવાની ચાનક ચઢી એ તપાસનો વિષય છે. કેટલાક સંચાલકોને ડીઈઓએ એવો જવાબ આપ્યો કે સીબીએસઇ બોર્ડની સ્કુલો માટે પરીક્ષા ચાલુ સપ્તાહમાં લેવા દેવાની જોગવાઇ છે.
આવું અર્થઘટન કરવામાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકાયું હોય તેવી પ્રતીતિ થાય છે. કેમકે સરકારના પરીપત્રમાં ક્યાંયે કોઇ બોર્ડનો સ્પેશિફિક ઉલ્લેખ નથી. બીજી વિચાર માગી લે એવી બાબત એ છે કે સીબીએસઇ સ્કુલોમાં પરીક્ષા લેવા દેવાય તો ગુજરાત બોર્ડની સ્કુલોમાં કેમ નહીં.
સૂરતના ડીઈઓ મહાશય માટે આટલું કચકચાવીને એટલા માટે લખવું પડે છે કે અનેક સંગીન મુદ્દાઓ, ભૂલો, ખોટા અર્થઘટનો કર્યા હોવા છતાં ન તો સરકાર તેમની સામે કોઇ પગલાં ભરતી નથી કે ન તો તેઓ કનડવાનું બાકી રાખતા.