સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધસી આવી તોડફોડ કરી સંતો સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવવાના પ્રકરણમાં પુજારીએ 24 હરિભકતો અને મહિલા ભકતો સામે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા લજાંમણી ચોક પાસે આવેલા રાજહંસ ટાવરની સામે મંદિરના પુજારી નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ હરિભકતો મોટા વરાછા હસુભાઈ ફાચરીયા, ધીરૂભાઈ રબારીકા, ભદ્રેશભાઈ ગજેરા, ભીખુભાઈ ગેવડીયા, પ્રવિણભાઈ દેસાઈ સહિત 24 હરિભકતો તથા મહિલા ભકતો સામે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે ગત તા.16 જુલાઈથી આજદિન સુધી મંદિરમાં આવી પુજા હોમહવન જેવા ધાર્મિક કૃત્યોમાં ખલેલ પહોંચાડી અપશબ્દો અને ગાળો બોલી સંતો તથા હરિભકતોની ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ ચોરી કરી સંતો સાથે હાથ ચાલાકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પુજારીની ફરિયાદના આધારે નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ આ તમામ 24 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના એ.કે.કુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.
રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.
ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.
યુનિવર્સિટીએ 12 વિવિધ ફેકલ્ટીમાં 65 અભ્યાસક્રમોની કુલ 4622 ડિગ્રીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી
સુરતના સપૂત અને જેના નામની આગળ વીર વિશેષણ લાગે છે એ વીર કવિ નર્મદની જન્મજયંતિએ આજરોજ યોજાયેલા યુનિવર્સિટીના 52માં ખાસ દિક્ષાંત સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને રિસર્ચ અને ઇનોવેશનમાં પ્રવૃત રહેવાની હાકલ કરતા જણાવ્યું હતું કે તમે સમાજ જીવનમાં પ્રવેશના ઉંબરે ઉભા છો ત્યારે સમાજ પાસે અનેક સમસ્યાઓ છે અને તમારી પાસે તેનો ઉકેલ છે. તેમણે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ આપીને ટ્રબલ શૂટર બનવાની હાકલ કરી હતી.
વીર નર્મદ યુનિવર્સિટીના 52માં દિક્ષાંત સમારોહના આરંભે યુનિવર્સિટીની જુદી જુદી 12 વિદ્યાશાખાઓને ડીનએ જુદા જુદા 65 જેટલા અભ્યાસક્રમોને સફળતાપૂર્વક પાસ કરનાર 4622 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવાની ભલામણ કરી હતી. જેને વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડાએ અનુમતિ આપીને દરેક વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં સફળ થવાની શુભેચ્છા પાઠવી હતી.
દિક્ષાંત સમારોહમાં ઓનલાઇન ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજનો દિવસ પદવી પ્રાપ્ત કરનારા દરેક દિકરા દિકરીઓ માટે અત્યંત મહત્વનો અને ટર્નિંગ પોઇન્ટ બનશે. શૈક્ષણિક કારકિર્દી પૂરી કરીને હવે તમે સમાજ જીવનમાં જઇ રહ્યા છો, જીવનમાં ખૂબ ઓછી તકો મળતી હોય ત્યારે તમારી પાસે તક છે કે તમારા શિક્ષણનો ઉપયોગ કરીને સ્થાન બનાવો. દુનિયામાં હિંમતપૂર્વક આગળ વધવા માટેની હાકલ કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને કહ્યું કે ઇનોવેશન અને રીસર્ચનો જમાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્ટાર્ટ અપથી લઇને સ્કીલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ તમારા માટે જ અમલમાં મૂકી છે. એવું નથી કે ઇનોવેશન અને રિસર્ચ ફક્ત સાયન્સમાં જ થઇ શકે કે એવું ક્યારેય નહીં માનતા કે તેના પર કોઇનો ઇજારો છે. વિદ્યાર્થીઓને સફળ થવા માટે તેમણે અનેક મોટીવેશનલ દાખલાઓ આપ્યા હતા.
દિક્ષાંત સમારોહ બાદ મંચ પરથી પી.એચડી. થયેલા યુવક યુવતિઓને મંચ પર તેડાવીને તેમનું બહુમાન કરવા સાથે તેમને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વીર નર્મદ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે જુદી જુદી નેશનલ ગેમ્સમાં મેડલ્સ મેળવનારા પ્લેયર્સને ઇનામી રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ દિક્ષાંત સમારોહની સાથે ટેક્નોલોજીથી ઉભા કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું.
ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે
ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.
આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
થોડું ભાવનગર વિશે
ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.
અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.
પાછલા ઘણાં વર્ષોથી લોકશાહી ઢબે ચૂંટણી કરાવ્યા વગર ફેડરેશન ઓફ ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ની ડ્રાઇવિંગ સીટ પર ચીટકી રહેલા કાપડ વિક્રેતાઓના કહેવાયા નેતાઓની કેન્દ્રીય કપડા મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષે ધૂળ કાઢી નાંખી હતી.
કાગનો વાઘ એટલે કે ફક્ત અખબારો અને મિડીયા મારફતે પોતાની પ્રવૃતિઓ પ્રકાશિત કરાવતા ફોસ્ટાએ તા.19મી ઓગસ્ટ 2021ના રોજ કપડામંત્રી દર્શનાબેન જરદોષનો સન્માન સમારોહ યોજ્યો હતો. સન્માન સમારોહની આડમાં ફોસ્ટાના કહેવાતા આગેવાનોએ કપડામંત્રી દર્શનાબેન જરદોષને જાણે માગણીઓની હારમાળા જ પહેરાવી દીધી.
ફોસ્ટાનો કારોબાર મનસ્વી રીતે ચલાવતા કેટલાક બની બેઠેલા નેતાઓ FOSTAનો વિકલ્પ ઉભો થાય એ પહેલા શાનમાં સમજી લે તો ઘણું
અસ્સલ સુરતી સ્વભાવ ધરાવતા કપડામંત્રી દર્શનાબેન જરદોષ પાસે જેવું માઇક આવ્યું કે તેમણે એવી ફટકાબાજી શરૂ કરી કે ફોસ્ટાવાલાઓ ખો ભૂલી ગયા હશે. દર્શનાબેન જરદોષે કહ્યું કે છાપાઓ, મિડીયામાં માગણીઓ મૂકી છે પણ ક્યારેય મંત્રાલય સમક્ષ પદ્ધતિસર રજૂઆતો કરી છે. દર્શનાબેન જરદોષનો એક સોંસરવો સવાલ પણ ફોસ્ટાવાલાની પોલ ઉઘાડી પાડે છે, હકીકતમાં ફોસ્ટાનું કાગળ પર કોઇ વજૂદ જ નથી. દર્શનાબેન જરદોષે કહ્યું કે પહેલા નોંધણી કરાવો, સરકારી ડોક્યુમેન્ટ પર ફોસ્ટાનું વજૂદ હશે તો તમારી બધા રજૂઆતો અંજામ સુધી પહોંચી શકે. ટૂંકમાં માગણીઓ કેવી રીતે કરવી એ અંગે પણ નહીં જાણતા ફોસ્ટાના આગેવાનોને દર્શનાબેન જરદોષે રોકડું પરખાવ્યું કે બાળક રમકડાની જીદ કરે તો કંઇ તેને અપાવી ન દેવાય.
સન્માનની આડમાં માગણી સમારોહ ખડો કરી દેનારા ફોસ્ટાના આગેવાનોને દર્શનાબેન જરદોષે એમ પણ કહ્યું કે ફક્ત ફોટો પડાવવા માટે આવ્યા અને મોટા ભાગના વેપારીઓ તો નીકળી પણ ગયા.
VNSGU ના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.14મી ઓગસ્ટે સર્વોચ્ચ અધિકાર મંડળ સેનેટ સભાની ખાસ મિટીંગ યોજીને તેમાં સ્ટેચ્યુટ 229 (બી)માં સુધારાઓ આમેજ કરાવ્યા. ગુજરાતની યુનિવર્સટીઓમાં એક અનેરો ઇતિહાસ રચ્યો, સ્ટેચ્યુટમાં જોગવાઇ કરીને NEPનો ચાલુ શૈક્ષણિક વર્ષથી જ અમલ શરૂ કર્યો, જે અંતર્ગત હવે પછી વિદ્યાર્થીઓનો જેવો વાર્ષિક અભ્યાસ તેવી ડિગ્રી એનાયત કરવામાં આવશે જે વિશ્વવ્યાપી સ્તરે માન્ય તો હશે જ પણ તેની ક્રેડિટ પણ ટ્રાન્સફર થશે.
ગુજરાતમાં પહેલી વખત વીર નર્મદ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ
મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસી અંતર્ગત ડિગ્રી કોર્સમાં પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની પદવી મળશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી ખાસ સેનેટ સભામાં નેશનલ એજ્યુકેશ પોલીસી 2020નો અમલ કરવા માટે સ્ટેચ્યુટ 229 (બી)માં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22થી મલ્ટીપલ સર્ટિફિકેશન્સ અમલી બન્યા છે અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમિયાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.
આવું થવાથી અધુરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેટલું ભણ્યા તેટલું પ્રમાણપત્ર મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને ક્રેડીટ ટ્રાન્સફર થશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલીસી અત્યંત ઉપયોગી નિવડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અમેરિકામાં બિઝનેસ માટે જવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે SGCCI દ્વારા સેમિનાર યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૪ ઓગષ્ટ ર૦ર૧ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘અમેરિકા જવું છે?’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ. વિઝા વિન્ડોના એકસપર્ટ ડો. સુધીર શાહ અને વિપુલ દોશીએ માર્ગદર્શન આપ્યું હતું.
ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ અમેરિકા હોવાથી લોકોની ભણવા માટે, ફરવા માટે, કારકિર્દી ઘડતર માટે અને બિઝનેસ માટે પણ પહેલી પસંદ અમેરિકા હોય છે. આથી તેમણે જુદા–જુદા વિઝા અંગે વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને ઇબી– પ અને એલ– ૧ વિઝા અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે. જો ઇન્ટરવ્યુ દરમ્યાન અધિકારીને એવું જણાય કે ખોટું બોલીને વિઝા મેળવવામાં આવેલા છે તો અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં.
બી– ૧ વિઝા, બિઝનેસ માટે અને બી– ર વિઝા, ટુરીસ્ટ તરીકે ફરવા માટે આપવામાં આવે છે. બી– ૧ વિઝા લઇને બિઝનેસમેન અમેરિકા જઇને બિઝનેસ મિટીંગ અટેન્ડ કરી શકે છે, એકઝીબીશનમાં ભાગ લઇ શકે છે, સેમિનારમાં ભાગ લઇ શકે છે અને ઓર્ડર લઇ શકે છે અને આપી શકે છે, પરંતુ ઓફિસમાં બેસીને બિઝનેસ કરી શકશે નહીં. જો કે, બી– ૧ વિઝા લઇને બિઝનેસના હેતુથી ગયેલા ઉદ્યોગકારોને અમેરિકામાં જો બિઝનેસની તકો દેખાય તો તેઓ પોતાનું સ્ટેટસ બદલીને એલ– ૧ વિઝા લઇ શકે છે. તેમણે દરેક વિઝા સાથે જોડાયેલા સ્ટેટસ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
તેમણે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની કેટલીક મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને અભ્યાસ પૂર્ણ થયા બાદના ૯૦ દિવસની અંદર જોબ કરવા માટેના નિયમો છે તેના વિશે તેઓને અવગત કરાવ્યા હતા. સાથે જ અમેરિકામાં પ૦૦થી ૧૦૦૦ ડોલર લઇને જોબ આપવાની લાલચ આપતી બોગસ કંપનીઓથી પણ સાવધાન રહેવા માટે ચેતવ્યા હતા.
એલ– ૧ એ વિઝા એકઝીકયુટીવ, મેનેજર અને કંપની સંબંધિત ખાસ પ્રકારની જાણકારી ધરાવનારી વ્યકિતઓ માટે હોય છે. ભારતમાં બિઝનેસ કરતી કંપની જો પાર્ટનરશિપ તરીકે અથવા પોતાની બ્રાન્ચ અમેરિકામાં ખોલે છે ત્યારે ભારતમાં આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતા મેનેજર તથા એકઝીકયુટીવને કંપની એલ– ૧ એ વિઝા ઉપર અમેરિકા મોકલી શકે છે. એલ– ૧ એ વિઝાને આધારે વ્યકિત અમેરિકામાં સાત વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે. ત્યારબાદ કંપની કર્મચારીને બબ્બે વર્ષનું એકસટેન્શન આપી શકે છે અને બાદમાં તેઓને ગ્રીન કાર્ડ પણ મળવાની જોગવાઇ કાયદામાં રહેલી છે.
આ સેમિનારમાં ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય અમિષ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને બિજલ જરીવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.
અત્યાર સુધી ટેક્ષટાઇલ વિક્રેતાઓની સંસ્થા ફોસ્ટા ચેમ્બર સાથે કામ કરતું હતું પણ હવે સમીકરણો બદલાતા સુરત મર્કન્ટાઇલ એસોસીએશન સાથે ચેમ્બરે હાથ મિલાવ્યા
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પદાધિકારીઓ અને સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રતિનિધિ મંડળ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે એવો મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી ચેમ્બર દ્વારા યોજાનારા ટેક્ષટાઇલ ઉદ્યોગ પર આધારિત કાર્યક્રમો, પ્રોજેક્ટ, એક્ષ્પો, સેમિનાર વગેરેમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન કો-ઓર્ગેનાઇઝર તરીકે ચેમ્બર સાથે ખભેખભા મિલાવીને કામ કરશે.
સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સાબુએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબના પ્રતિનિધિ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને તેમની ટીમ સાથે અનેક રીતે પરીણામદાયી મિટીંગ યોજાઇ હતી. ભવિષ્યમાં ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન ટેક્ષટાઇલ વેપારીઓની સંસ્થાના પ્રતિનિધિ તરીકે ખભેખભા મિલાવીને કામ કરશે. સુરત મર્કન્ટાઇલ એશોસીએશન વતી પ્રમુખ નરેન્દ્ર સાબૂએ ચેમ્બર ઓફ કોમર્સને આગ્રહપૂર્વક જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સે તેના પ્રશાસનિક પ્રભાવનો ઉપયોગ કરીને ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, વિવર્સ, પ્રોસેસર્સ દરેક ઘટક સંઘોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, રજૂઆતો યોજવા જોઇએ અને તેમાં મર્કન્ટાઇલ એસોસીએશન સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે.
સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી નવી ટેકનિક, પ્રયોગોની જાણકારી, યોજનાઓ તેમજ ટેક્ષ સંબંધિત પ્રશ્નો સંદર્ભે અનેક રીતે કામો થઇ શકે તેમ છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ આશિષ ગુજરાતી અને ઇલેકટ થયેલા ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાના પદગ્રહણ માટેનો સમારંભ શનિવાર, તા. ૩૧ જુલાઇ ર૦ર૧ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં યોજાનાર છે.
SGCCI President Ashish Gujarti
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના રાજ્ય કક્ષાના કાપડ અને રેલ્વે મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા પધારશે. જ્યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલ, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન( જીએમડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે તા.26 જુલાઇ 2021ના રોજ સુરતમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં એસજીટીપીએ દ્વારા ચોમાસામાં દક્ષિણ ગુજરાતની જીએમડીસીની લિગ્નાઇટની ખાણો બંધ રહેતી હોવાથી સુરતના પ્રોસેસિંગ હાઉસો કાર્યરત રહી શકે તે માટે ભાવનગર સાઇટથી લિગ્નાઇટ દરીયાઇ માર્ગે લાવી શકાય કે કેમ તે અંગે ચર્ચા ચર્યા છેડી હતી.
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચોમાસાની સીઝનમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને લિગ્નાઇટની સમસ્યા નડે છે. આજે તે સંદર્ભે જીએમડીસીના એમડીને રજૂઆત કરતા તેમણે ચોમાસામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસો મળી રહે તેવુ આયોયજન કરવા ખાતરી આપી છે. ચોમાસામાં આયાતી કોલસો મોંઘો પડે છે. એવી સ્થિતિમાં દરિયાઇ માર્ગે ભાવનગરથી બાર્જમાં અથવા ફેરી સર્વિસમાં કોલસાના કન્ટેનર લાવી શકાય તેમ છે અને દરિયાઈ માર્ગે ભાવનગરથી મગદલ્લા પોર્ટ પર કોલસો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ 50 ટકા રાહત થઇ શકે છે.
ભાવનગરનો કોલસો રાજપારડી માઇન્સની ક્વોલિટી જેવો જ હોય છે. બેઠકમાં એસજીટીપીએના આગેવાનો કમલ વિજય તુલસ્યાન, પ્રમોદ ચૌધરી, બિનય અગ્રવાલ સહિતના આગેવાનોએ લિગ્નાઇટની ડિલિવરી ઓર્ડર માટે અન્ય બેંકોમાં પેમેન્ટ ચુકવણી માટે આગ્રહ કરવામાં આવે છે. તેને બદલે ઉદ્યોગકારો જીએમડીસીના ખાતામાં આરટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ચુકવણી કરે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઇ હતી.
નાના અને મધ્યમ હરોળના યુનિટોને લાર્જ યુનિટમાં ગણી ઉંચો ચાર્જ વસુલવામાં આવે છે તેના માટે નીતિ નક્કી થવી જોઇએ. સાથેજ ઘણી વાર લિગ્નાઇટ હલ્કી ગુણવત્તાનું હોવાથી એમિશન ટ્રેડિંગ સ્કીમમાં જોડાયેલા અને પર્યાવરણની જાળવણી કરવા માંગતા યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં મુશ્કેલી નડે છે અને પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે.
જીએમડીસી નવા રજિસ્ટ્રેશન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરે: SGTPA
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જીએમડીસીના એમડી રૂપવંત સિંહને રજૂઆત કરી હતી કે નવા રજિસ્ટ્રેશન માટે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, તેનો ઝડપી નિકાલ થવો જોઇએ. તે ઉપરાંત ખાણો માટેની લીઝનો કરાર સમયસર રિન્યુ કરવામાં આવે તો માલનો પુરવઠો જળવાઇ રહેશે. રૂપવંત સિંહે લિગ્નાઇટનો પ્રશ્ન ઝડપથી હલ કરવા એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસીના અધિકારીઓ અને પાંચ સભ્યોને શામેલ કરી પ્રત્યેક મહીને એક વાર બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલની ખાતરી આપી હતી. બેઠકમાં જીએમડીસીના ચીફ જનરલ મેનેજર કુલશ્રેષ્ઠ પણ હાજર રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.