650 શાળાઓના શિક્ષકોને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલીના તરસાડી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮” ની ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં શાળાકીય શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના ગુણો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી ‘કરિયર કોર્નર વીક’નું આયોજન થયું છે. સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરી, સુરત અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલા “કારકિર્દી આયોજન સપ્તાહ’ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન (એસ.એસ.સી.), યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉપરાંત સુરત જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે NCERT અભ્યાસક્રમ અને એડોલેસેન્ટ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલે ‘કરિયર કોર્નર વીક’ વિષે વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો છે, જેની મોટાભાગના વિદ્યાર્થીઓને પાયાની જાણકારી હોતી નથી. પૂરતી માહિતીના અભાવે તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કારકિર્દી આયોજન સપ્તાહના આયોજન દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો ઝડપવા માટે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર વિષયક કાર્યક્રમો તેમજ રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દ્વારા શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.
‘કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત કારકિર્દી ઘડતરના તેમજ આયોજનના વિવિધ પગથિયા તેમજ લશ્કર, ફેશન, ટેકનોલોજી, ખેતીક્ષેત્રે તેમજ મેડિકલ અને એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ પ્રકારની રોજગારની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ.એન.રાઠોડ, રોજગાર અધિકારીશ્રી મુકેશભાઈ વસાવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.























