CIA ALERT

ઇન્ડીયા Archives - Page 31 of 183 - CIA Live

May 3, 2021
GSPC.jpg
1min218

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 3, 2021
remdesivir.jpg
1min248

મુંબઈની વડી અદાલતની નાગપુર બેન્ચે મહારાષ્ટ્રને ફાળવવામાં આવતાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનું પ્રમાણ વધારવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે પહેલી મેએ નોંધાયેલા ઍક્ટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખતાં ફાળવણીમાં રેમડેસિવીરનો જથ્થો ઘટાડવાનો નિર્ણય વાજબી નથી. કોરોનાના ઇન્ફેક્શનની સારવાર માટે આવશ્યક મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવીરની તંગી સંબંધી અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિ એસ. બી. શુક્રે અને ન્યાયમૂર્તિ અવિનાશ ઘરોતેની બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

બેન્ચે જણાવ્યું હતું કે ‘રેમડેસિવીરની ફાળવણીમાં ૧ મેથી ૯ મે સુધીના ગાળા માટેનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે. આગલા દસ દિવસ માટે રેમડેસિવીરના ૪,૩૦,૦૦૦ વાયલ્સ ફાળવાયા હતા અને પછીના દસ દિવસ માટે ૩,૭૪,૦૦૦ વાયલ્સ ફાળવવામાં આવ્યા છે. ઍક્ટિવ કેસ ૩૦ મેએ ૬,૭૦,૦૦૦ હતા અને પહેલી મેએ ઘટીને ૬,૬૪,૦૦૦ પર પહોંચ્યા છે. સાવ નજીવો ઘટાડો છે તેથી રેમડેસિવીરનો ક્વોટા ઘટાડવો વાજબી નથી.’   

May 3, 2021
Mamata-Banerjee.jpg
2min191

વિધાનસભાની ચૂંટણીના પરિણામની રવિવારે જાહેરાત બાદ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આસામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક), પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તા પર આવે એવી પૂરી શક્યતા છે.

Mamata made Modi-Shah bite the dust despite BJP putting all its might: Sena  - Elections News

આસામમાં ભાજપ, તમિળનાડુમાં દ્રમુક, પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં એલડીએફને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે અથવા તેની નજીક છે. પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, પરંતુ તેનાં વડાં અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીને ૧૭૩૭ મતના તફાવતથી હરાવ્યાં હતાં.

પ. બંગાળમાં ભાજપને દોઢસો જેટલી બેઠક મળવાની આશા હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.

તૃણમૂલ કૉંગ્રેસે ફરી સત્તા પર આવવા જરૂરી બેઠક જીતી લીધી છે.

મમતા બેનરજીએ પોતાના પક્ષના વિજય બાદ જણાવ્યું હતું કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અંકુશમાં લેવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે.

પક્ષના વિજયનો સંપૂર્ણ યશ મમતા બેનરજીએ રાજ્યની જનતાને આપ્યો હતો.

પક્ષના કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે આ બંગાળનો વિજય અને માત્ર બંગાળ જ આ કરી શકે છે.

કોરોનાને અંકુશમાં લેવો એ જ અમારી પ્રાથમિકતા છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં નહીં આવે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીની અસર પૂરી થયા બાદ જ કોલકતામાં મહા વિજય સરઘસ કાઢવામાં આવશે.

પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ તેમણે કહ્યું હતું કે આજે બંગાળે ભારતને ઉગારી લીધું છે.

દેશના પ્રત્યેક નાગરિકને વૅક્સિન મફત આપો અન્યથા અમે વિરોધપ્રદર્શન કરીશું, એમ મમતા બેનરજીએ કહ્યું હતું.

રાજ્યમાં એલડીએફની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું.

જોકે તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોરોના વ્યાપકપણે ફેલાઈ રહ્યો હોવાને કારણે આ ઉજવણીનો સમય નથી. કોરોના સામેની લડત ચાલુ રાખવાનો આ સમય છે. કેરળમાં રવિવારે કોરોનાના નવા વધુ ૩૧,૯૫૦ કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયાં હતાં.

કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાનો મટ્ટાનુર મતદારક્ષેત્રમાંથી વિક્રમજનક ૬૦,૯૬૩ મતથી વિજય થયો હતો.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમન ચાન્ડી (કૉંગ્રેસ-યુડીએફ)નો પુથુપલ્લી મતદારક્ષેત્રમાંથી ૯૦૪૪ મતથી વિજય થયો હતો.

પ્રથમ જ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બનવા માટે સજ્જ થયેલા દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને પક્ષના વિજય બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને જનતા માટે કામ કરવાની બાંયધરી આપી હતી.

દરમિયાન, તમામ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ પ્રકારના અવરોધ વિના ઑક્સિજનનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા પર ધ્યાન આપવાની વિપક્ષે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.

April 30, 2021
home_isolation.jpg
1min395

કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં હોમ આઇસોલેશનમાં રહેલા સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને રેમડેસિવિયર ઇન્જેક્શન ખરીદવા કે લગાવવાના પ્રયત્નથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિયર માત્ર દવાખાનોમાં જ લગાવવામાં આવશે.

આ સિવાય નવી ગાઇડલાઇન મુજબ સામાન્ય લક્ષણોાવાળા દર્દીઓને સ્ટિરોઇડ ન આપવું જોઇએ અને સાત દિવસ પછી લક્ષણો જોવા મળે તો સારવાર માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઓરલ સ્ટિરોઇડ લેવું જોઇએ.નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 60 વર્ષથી વધુ વયના રોગી કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ફેફસાં કે લીવરની બીમારીઓથી પીડિત લોકોએ તબીબની સલાહ લીધા પછી જે હોમ આઇસોલેશનમાં જવુ જોઇએ. જ્યારે ઓક્સિજન લેવલમાં ઘટાડો કે શ્વાસ લેવામાં તકલીપ પડે ત્યારે જે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ અને તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય દર્દી દિવસ દરમિયાન ગરમ પાણના કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વાર નાસ લઇ શકે છે.

તાવ જેવુ લક્ષણ પેરાસીટામોલ 650 mg દિવસમાં ચાર વાર લેવાથી પણ કાબૂમાં નથી આવતું તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ. અન્ય દવાઓમાં દિવસમાં બે વાર નેપ્રોક્સેન 250 mg લેવાની સલાહ આપે છે.

દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનને લઇને ઉભા થયેલા પડકારો સામે કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, રેમડેસિવિયર ઇન્જેક્શન કે અન્ય સારવાર થેરાપી તબીબની સલાહ પર જ હોસ્પિટલની અંદર જ થવી જોઇએ. કેન્દ્રનું ગાઇડલાઇન દ્વારા કહેવુ છે કે ઘરમાં રેમડેસિવિયર ખરીદવા કે લગાવવાની જરુર નથી.

April 28, 2021
assam_quake.jpg
1min275

સવારે 7.52 કલાકે આવેલા ધરતીકંપની તીવ્રતા 6.4 નોંધાઇ, છેક પ. બંગાળના ઉત્તર વિસ્તાર સુધી ધરતીકંપ અનુભવાયો

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું. સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું. સ્વાસ્થ્ય મંત્રી શર્માએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે. યૂરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર મુજબ, ક્ષેત્રમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અસમમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલ છે કે, આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અસમમાં કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ તો કેટલીક જગ્યાએ છત તૂટી પડી છે. સોશિય મીડિયામાં લોકોએ પોતોના અનુભવ દર્શાવતા જણાવ્યું કે આ ઝટકો 30 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

અરુનાચલના ઈટાનગરથી લઈને બંગાળના કૂચબિહાર સુધી આ ઝટકા અનુભવાયા હતો. સાથે જ બિહારના પણ ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા લોકોએ સવારે 7.55 વાગ્યે અનુભવ્યા હતા. મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા સહિત અનેક વિસ્તારમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.

April 27, 2021
madras-high-court.jpg
1min305

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min258

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.

April 26, 2021
bankholiday.jpg
1min416

નાણાકીય વર્ષના બીજા મહિનામાં એટલે કે મે મહિનામાં સાર્વજનિક અને ખાનગી બેંક નવ દિવસ બંધ રહેશે. દેશમાં કોરોનાના વધી રહેલા સંકટને કારણે બેંકમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર મે મહિનામાં મહારાષ્ટ્ર દિન, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા જેવા તહેવારો આવતા હોવાથી બેંક બંધ રહેશે.

પહેલી મેના દિવસે મહારાષ્ટ્ર દિન અને લેબર ડે, સાતમી મેના ઉમત-ઉલ-વિદા, ૧૪મી મેના પરશુરામ જયંતી, અક્ષય તૃતિયા અને રમઝાન ઇદ તથા ૨૬ મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાથી બેંકમાં રજા જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં બે, નવ, ૧૬ અને ૩૦ તારીખે રવિવાર તથા આઠ અને ૨૨ મેના રોજ બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.

ક્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલી બેંકના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુવિધા મર્યાદિત કરવામાં આવી છે. આ સહિત અનેક રાજ્યમાં બેંકના કામકાજનો સમય પણ ઓછો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

April 24, 2021
CIA_Live_Logo_New2.jpg
1min437

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧થી કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર એક મહિનાનો બેન (પ્રતિબંધ) લાદી દીધો છે અને આ સમાચાર સાંભળતા જ સુરત સમેત સમગ્ર ભારતના હજારો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સુરતમાં એવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની ટિકીટ બુક હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ તા.૨૪થી ૩૦ એપ્રિલ વચ્ચે ફ્લાઇટ પકડીને કેનેડા જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કેનેડાના ફ્લાઇટ બેનના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ગયા હતા. હવે તમામ વિદ્યાર્થીઓ રિશિડ્યુલિંગની કંટાળાજનક અનેે નુકસાનકારક પ્રોસેસમાં પડ્યા છે.

વિશ્વમાં હાલ કેનેડા અભ્યાસ કરવું સૌથી સરળ હોઇ, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જવાના હતા

સમગ્ર વિશ્વમાં હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઇ રહ્યા છે તેનું કારણ એ છે કે કેનેડાની વીઝા પોલીસી સરળ છે અને પ્રવેશ કાર્યવાહી પણ બિનખર્ચાળ અને ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જાય છે અને એટલે જ સુરત સમેત ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ એપ્રિલ મે જુનમાં કેનેડા જવાનું પ્લાનિંગ ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓની ટિકીટ પણ બુક થઇ ચૂકી છે.

૨૭મીએ ફ્લાઇટ હતી, ૨૩મીએ સપનું તૂટી ગયું

સુરતના એક પેરેન્ટ રિતેશ પટેલે કહ્યું કે તેમના દિકરાની તા.૨૭મી એપ્રિલે ફ્લાઇટ હતી. પેકિંગથી લઇને બધી જ તૈયારી પૂર્ણ કરી દેવાઇ હતી. છેલ્લા એક વર્ષથી તો ઓનલાઇન બે સેમેસ્ટરનો અભ્યાસ ચાલી રહ્યો હતો હવે ક્યાં સુધી ઓનલાઇન ભણવું પડશે એ વિચાર જ નાસીપાસ કરી મૂકે છે. કેમકે કેનેડાની યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસની ફી પણ રેગ્યુલર અભ્યાસની ફી જેટલી રાખી છે. બીજી તરફ વર્ચ્યુઅલ એજ્યુકેશનની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન અને સમયની બરબાદી થઇ છે.

૮ મહિનાથી તૈયારી કરી, જવાનું કેન્સલ થતાં વિદ્યાર્થિની ડિપ્રેશનમાં

એવી જ રીતે એક વિદ્યાર્થીની કેનેડા અભ્યાસ માટે જઇ રહી છે. તા.૨ મેના રોજ તેની ફ્લાઇટની ટિકીટ બુક છે પણ તમામ ફ્લાઇટ કેન્સલ થતાં એ વિદ્યાર્થીની ઘેરા ડિપ્રેશનનો ભોગ બની છે. છેલ્લા આઠ મહિનાથી તૈયારીઓ કરી રહી હતી, વિદ્યાર્થીના પેરેન્ટ શૈલેષભાઇએ જણાવ્યું કે અમને એકલાને નુકસા નથી પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થઇ છે, સુરતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ સમય આવ્યો છે. હવે ત્યાની યુનિવર્સિટીઓ સાથે વાટાઘાટ કરવી પડશે.

સુરતના હજારો વિદ્યાર્થીઓએ ત્યાં ૧૪ દિવસના ઇન્સ્ટીટ્યુશનલ કોરોન્ટાઇનના રૂપિયા પણ ચૂકવી દીધા છે, હવે ફ્લાઇટ રદ

ગુજરાતભરના અનેક વિદ્યાર્થીઓ કેનેડાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે અને વીઝા મેળવવામાં વિલંબ થવાને કારણે તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ મે મહિનાની શરૂઆતમાં કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુરતના એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ ૧થી ૧૦ મે દરમિયાન જુદી જુદી ફ્લાઇટથી કેનેડા જવાના હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ત્યાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કડક નિયમોના પાલન અંગેની પ્રોસીજર પણ કરી દીધી હતી. હજારો વિદ્યાર્થીઓએ કેનેડા પહોંચીને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનો તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો નિયમ અનુસાર વધારાનો લાખો રૂપિયા ઓનલાઇન ચૂકવી પણ દીધા છે, કે જેથી કેનેડામાં લેન્ડ થયા પછી તુરત જ ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇનમાં રહી શકાય. હવે આ ખર્ચા પરત મળશે કે કેમ તેનો સવાલ છે.

April 24, 2021
zydus.jpg
1min244
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.