કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી રાજ્ય પોલીસ દ્વારા કટોકટીની સ્થિતિમાં આંતરરાજ્ય અને આંતરજિલ્લા પ્રવાસ માટે શુક્રવારે ફરીથી ઇ-પાસ સિસ્ટમ શરૂ કરી છે, એમ ટોચના પોલીસ અધિકારીએ કહ્યું હતું.

પ્રવાસ, ઓફિસોમાં હાજરી, લગ્નસમારંભો પર રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નવાં નિયંત્રણોનો ગુરુવાર રાતથી અમલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને ૧૪ એપ્રિલથી કડક નિયંત્રણો લદાયા હતા. જોકે સ્થિતિ ન સુધરતાં બુધવારે નવા લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ જણાવ્યું હતું કે શુક્રવારથી ઇ-પાસ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ જો કટોકટી હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઇએ. નાગરિકોએ આ માટે વિિંાંત://ભજ્ઞદશમ૧૯.ળવાજ્ઞહશભય.શક્ષ પર અરજી કરવાની રહેશે. આમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને તીવ્ર કટોકટીમાં પ્રવાસના કારણનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે. જો ઓનલાઇન ઇ-પાસ સિસ્ટમનો એક્સેસ જેમની પાસે ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઇ-પાસ પ્રાપ્ત કરી શકે છે. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ફોર્મ ભરવા અને ઇ-પાસ જારી કરવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું.
ઇ-પાસ કટોકટીમાં પ્રવાસ કરવા મળે તે માટે નાગરિકોના ઉપયોગ માટે જ છે. અગાઉ આ મહિને અન્ય નિયંત્રણો અમલમાં આવ્યા ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઇ-પાસની જોગવાઇ હાલમાં કરવામાં આવી નથી અને કટોકટીમાં હોય તે તેમને પ્રવાસ કરવો દો એવી સૂચના આપવામાં આવી હતી. જોકે નવા નિયંત્રણો દરમિયાન કટોકટીના પ્રવાસ માટે અનેક વિનંતીઓ કરાઇ રહી હોવાથી આખરે લોકોની સુવિધા માટે ઇ-પાસ સિસ્ટમ ફરીથી શરૂ કરાઇ છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ઇ-પાસ સિસ્ટમ તમામ કટોકટી અને મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે રજૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા લાખો પાસ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં મુંબઈ પોલીસે જરૂરી સેવાનાં વાહનો માટે કલર કોડ સ્ટિકર જારી કરવા માટે પ્રણાલી રજૂ કરી છે.















