



સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા પછી અનેક વાર ગજવામાં કે હાથમાં મોબાઇલ બ્લાસ્ટ થવાના બનાવો બનતા રહ્યા છે. મુંબઇના ભાંડુપમાં બનેલો એક કિસ્સો મોબાઇલ ગજવામાં રાખીને ફરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

ભાંડુપ (વેસ્ટ)ના સ્ટેશન રોડ પર આવેલી બગીચા હોટેલમાં 5મી જૂન 2018ની બપોરે પોણા બે વાગ્યે એક ગ્રાહકના ખીસ્સામાં મૂકેલા સૅમસંગ મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો વિસ્ફોટને પગલે વ્યક્તિ જમણા હાથમાં દાઝી ગયો હતો.
આ બનાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો. ત્યાર બાદ આ બનાવની સંપૂર્ણ માહિતી આપતાં બગીચા હોટેલના મૅનેજરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આ બનાવ બન્યો ત્યારે ગ્રાહક તેના મિત્રો સાથે હોટેલમાં જમી રહ્યો હતો. અચાનક તેના શર્ટના ગજવામાં રાખેલા મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. તેણે તરત જ તેના ગજવામાંથી મોબાઇલ ટેબલ પર ફેંકી દીધો હતો. મોબાઇલમાં બ્લાસ્ટ થતાં હોટેલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેની સાથે જમી રહેલા અન્ય કસ્ટમરો અને તેના મિત્રો ડરીને આઘાપાછા થઈ ગયા હતા. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. જોકે આ બનાવમાં મોબાઇલ જેનો હતો તેના સિવાય કોઈને પણ ઈજા થઈ નહોતી. જેનો મોબાઇલ હતો એ વ્યક્તિ ગજવામાંથી સળગતો મોબાઇલ બહાર કાઢતાં જમણા હાથમાં દાઝી ગઈ હતી.’
આ બનાવ પછી હોટેલમાં થોડી વાર માટે ગભરાટ ફેલાયો હતો એમ જણાવતાં મૅનેજરે કહ્યું હતું કે ‘બનાવ બન્યા પછી અમે બધા જ ગભરાઈ ગયા હતા. એમાં અમે ગ્રાહકનું નામ પૂછવાનું પણ ભૂલી ગયા હતા. ગ્રાહક અને તેના મિત્રો પણ આ બનાવથી ડરીને હોટેલમાંથી તરત જ જતા રહ્યા હતા.’
સુપ્રીમના ફેંસલાથી કેન્દ્રને હાશકારો * એએસજી સિંહે ટાંક્યા ઘણા ખટલાના દાખલા
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિભાગના કર્મચારીઓને પદોન્નતિમાં અનામત મામલે ‘કાયદા અનુસાર’ જ બઢતી અને પદોન્નતિ આપવા સુપ્રીમ કોર્ટે તા.5મી જૂને મંજૂરીનું મત્તું માર્યું હોવાનું જાણવા મળે છે.
ભારતની જુદી જુદી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પસાર કરેલા વિવિધ આદેશોને લીધે પદોન્નતિની સમૂળગી પ્રક્રિયા બંધ થઈને આગળ ધપવા અસમર્થ હતી. વર્ષ ૨૦૧૫માં તો સુપ્રીમ કોર્ટે આવી જ એક મેટરમાં ‘સ્ટેટ્સ કૉ’ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
ભારત સરકારે કહ્યું હતું કે દિલ્હી, બોમ્બે, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા એસસી કે એસટી સમુદાયના કર્મચારી માટે પદોન્નતિ માટેના ચુકાદાની સામે કરેલી અપીલમાં અલાયદા નિર્ણયો આપ્યા હતા.
કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વધારાના સોલિસિટર જનરલ (એએસજી)ને જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ તથા અશોક ભૂષણનો સમાવેશ કરતી એક વેકેશન બેન્ચે કહ્યું હતું કે “અમે કહીશું કે બઢતી-પ્રમોશન માટે તમે કાયદા મુજબ આગળ ધપી શકો છો.
તા.5મી જૂને સુનવણી વેળાએ એએસજીએ સરકારી નોકરીમાં પ્રમોશનમાં ક્વોટાના મુદ્દે ખટલાઓ અને કાનૂન વર્ણવ્યા હતા. એમ. નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ૨૦૦૬નો ચુકાદો લાગુ પડશે નહીં.
તેમણે ૧૯૯૨ના એક ખટલાનું ઉદાહરણ આપ્યું હતું. તેમાં ઈન્દ્ર સાવ્હેની તેમ જ અન્યોની સામે યુનિયન ઓફ ઈન્ડિયા ( મંડલ પંચ ચુકાદા તરીકે વધુ જાણીતું બન્યું હતું) હતું. તેમ જ ૨૦૦૫ના ઈ. વી. ચીન્નૈય્યાહ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય હતું. આ કેસમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના સંપન્ન મલાઈદાર સ્તરનો મામલો હતો. આ બંને ખટલાના ચુકાદાની જેમ જ સરકારી નોકરીમાં એસસી તથા એસટીની બઢતી-પદોન્નતિ માટે પણ સંપન્ન ક્રીમી લેયરની પરિકલ્પના કે વર્ગની સામાન્ય કલ્પના લાગુ પડી શકે એમ નથી.
એએસજી સિંઘે સમગ્ર મામલો સમજાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટના ગયા વર્ષના ૨૩મી ઑગસ્ટના ચુકાદાને પડકાર્યો હોવાની અરજી હાલમાં બેન્ચ સમક્ષ છે. ૧૬મી નવેમ્બર, ૧૯૯૨થી એસસી અને એસટી કર્મચારીઓને પાંચ વર્ષથી વધુ સમય પ્રમોશનમાં અનામત રાખવાની મુદત વિસ્તારતા સરકારી આદેશને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવ્યો હતો.
એએસજીએ આ અગાઉ આ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યની અદાલતોએ આપેલા આદેશોના સંદર્ભ ટાંક્યા હતા. તે પૈકી એક આદેશ ૧૭મી મેએ જસ્ટિસ કુરિયન જોસેફના વડપણ હેઠળની બેન્ચે પસાર કરતાં કહ્યું હતું કે અમારી પાસેની અરજી અનિર્ણિત અવસ્થામાં હોવાની બાબત કેન્દ્ર સરકાર માટે પ્રમોશન માટે પગલાં તેના માર્ગમાં રોડાં અને અંતરાયો બનીને ન હોવા જોઈએ. હાલમાં પ્રમોશન કેવી રીતે કરાય છે? એવો સવાલ બેન્ચે કરતાં એએસજીએ કહ્યું કે “નથી થતાં. બધું થંભી ગયું છે અને આગેકૂચ નથી. આ જ તો સમસ્યા છે હું સરકાર છું તથા બંધારણીય આદેશ અનુસાર પ્રમોશન દેવા ઈચ્છું છું, એમ બેન્ચે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું ૧૭મી મે જેવો આદેશ આપવામાં આવે એવી માગણી કરું છું.
આ અગાઉ સુપ્રીમની અન્ય એક બેન્ચે જણાવ્યું હતું કે પાંચ જજની બંધારણીય બેન્ચ આ મુદ્દાની ચકાસણી કરીને વિશિષ્ટ માહિતી આપે.
તેમણે બંધારણની કલમ ૧૬ (૪એ)ની જોગવાઈઓ અને વિશિષ્ટ બાબતોને પણ ટાંકીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.
એમ. નાગરાજ કેસમાં આવેલા ૧૧ વર્ષના ચુકાદા અંગે ફેરવિચારણા અને પુન:સમીક્ષા કરવાની આવશ્યકતા છે કે કેમ? તે અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવા ગયા વર્ષની ૧૫મી નવેમ્બરે સુપ્રીમની ત્રણ જજની એક બેન્ચ સહમત થઈ હતી.
અપૂરતું, અક્ષમ તેમ જ અસમર્થ પ્રતિનિધિત્વ હોવા અંગે સૌપ્રથમ તો માહિતી ડેટા એકઠો કર્યા વગર જ પદોન્નતિ- પ્રમોશનમાં અનામત આપતા દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને અટકાવી હતી.
વર્ષ ૧૯૯૨ના ઈન્દિરા સ્વાહનેય કેસમાં એસસી અને એસટી માટે ૧૬-૧૧-૧૯૯૨થી પાંચ વર્ષના સમયગાળા માટે એસસી તથા એસટી સમુદાય માટે પ્રમોશનમાં અનામત રાખવાની મંજૂરી સુપ્રીમની નવ જજની બેન્ચે આપી હતી.
ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી 7257 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને 10 દિવસમાં 1.12 મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી 106.43 મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે .
નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી 110 મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં 6000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રહ્યું છે.
1 જુલાઇ થી 30 જુન વચ્ચે ઇન્દીરાસાગર ડેમમાં થી 10 હજાર પાણી છોડવું એવો જળ વિવાદ પંચ નો ચુકાદો છે. જેને લઈને 11 જુન 2018નાં રોજનું ઇંદીરાસાગર ડેમનું રૂલ લેવલ 248.77 મીટર છે અને હાલમા પાનીની સપાટી 2.49.17 મીટર છે. જેથી પાણી છોડાઇ રહ્યું છે ત્યારે નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓ પણ ગાઈડ દ્વારા હાલ ડેમ ની સપાટી માં વધારો સાંભળતા ખુશ નજરે પડી રહ્યા છે આજે ડેમ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.
બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર
દાયકાઓ અગાઉ એટલે કે જૂના જમાનામાં જેની બોલબાલા હતી અને જે સ્કીમ અન્વયે બાતમીદારોએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કાળુ નાણું હોવાની બાતમી આપીને લાખો રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું એ બાતમીદાર સ્કીમને ફરીથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અપનાવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેનામી ટ્રાન્ઝેકશન કે બેનામી પ્રોપર્ટી વિશેની ‘ગુપ્ત બાતમી’ આપનારને ₹ એક કરોડ સુધીનો રિવોર્ડ મળશે. એ જ રીતે વિદેશમાં નાણાં ગોઠવનારાની ‘ગુપ્ત બાતમી’ આપનારને પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલી અજય દેવગણની ફિલ્મ રેઇડ માં પણ બાતમીદારે આપેલી માહિતીને આધારે જ સર્ચ ઓપરેશ હાથ ધરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ કરોડોની બ્લેક મનીનો દલ્લો ઝડપી પાડ્યો હતો.

સાથો સાથ ‘ઈન્કમ ટેક્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ’ માં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧ હેઠળ પગલાં લઈ શકાય એવા ભારતમાં આવક કે એસેટોમાં મોટાપાયે કરચોરી થઈ હોય એવા કેસોની ‘ચોક્કસ બાતમી’ આપનારને રૂા. ૫૦ લાખ સુધીનું ઈનામ મળશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તા.1લી જુન 2018ના રોજ બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ કોઈપણ પ્રકારની બેનામી ટ્રાન્ઝેકશનો અને પ્રોપર્ટીઓ વિશે વિદેશીઓ સહિત કોઈપણ વ્યક્તિ જોઈન્ટ કે એડિશનલ કમિશનરોને ગુપ્ત માહિતી આપી શકે છે. આવા ટ્રાન્ઝેકશનો કરનારાઓ સામે બેનામી ટ્રાન્ઝેકશન્સ (પ્રોહિબિશન) એેમેન્ડેડ એક્ટ – ૨૦૧૬ હેઠળ કામ ચલાવી શકાશે.
CBDTએ જણાવ્યું હતું કે છુપા રોકાણકારો અને લાભ ખાટનારા પ્રોપર્ટી માલિકોએ કરેલી કમાણી તેમ જ બેનામી ટ્રાન્ઝેકશનો તેમ જ પ્રોપર્ટીઓની છુપી માહિતી આપવા માટે લોકોને પ્રોત્સાહન કરવાના આશયથી આ રિવોર્ડ સ્કીમ બનાવાઈ છે.
૨૦૧૮ની બેનામી ટ્રાન્ઝેકશન્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ હેઠળ બેનામી ટ્રાન્ઝેકશનો તથા પ્રોપર્ટીઓ વિશેની ચોક્કસ માહિતી છે એમાંથી કરવામાં આવેલી કમાણી વિશેની સ્પષ્ટ ચોક્કસ માહિતી જોઈન્ટ અથવા એડિશનલ કમિશનરો (બેનામી પ્રોહિબિશન યુનિટ્સ-બીપીયુ)ને આપનારી વ્યક્તિ રૂા. એક કરોડ સુધીનું ઈનામ મેળવી શકશે. આ તમામ ઈનામી સ્કીમ માટે માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.
સૂરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓના
પરિવારજનોનું અભિવાદન, સન્માન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદઃ
અંગદાન માટે કાર્યરત સૂરતની ડોનેટ લાઇફ સંસ્થાની સેવાપ્રવૃત્તિને બિરદાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યું છે -: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, સૂરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતું.

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સૂરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા શ્રી કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલશ્રીએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.
અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સૂરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના પ્રજાજનો વતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું હૃદયપૂર્વક સ્વાગત, આવકાર કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંગદાનની આ પ્રવૃત્તિને સતત વેગ મળતો રહે, અને સૌ કોઇ તેમાંથી પ્રેરણા મેળવતા રહે તેવા સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દ્રઢ નિર્ણય અને ઇચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં તેમની આહુતિ અર્પી રહ્યા છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાની નાજુક ક્ષણમાં અંગદાન માટે પરિવારજનોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી.
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતનાં આ કાર્યએ ગુજરાતને ગૌરવાન્તિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આવશ્યક ગ્રીન કોરિડોર, સ્પેશ્યલ સિક્યુરિટી, આદર્શ ટ્રાફિક નિયમન, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેના ખર્ચાળ ઓપરેશનો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી પણ આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલો દેશવિદેશમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
માનવતાનો સેતુ રચનાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી, અંગદાન એ જ જીવનદાન છે તેમ જણાવતા સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાએ મહાનુભાવોનું શાલ્યાર્પણ કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
દરમિયાન રાષ્ટ્રપતિશ્રી કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવોના હસ્તે અંગદાન અને દેહદાન અંગેના સંસ્થાકિય પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
સંસ્થા દ્વારા માનનિય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને અર્પણ કરાયેલા સ્મૃતિચિન્હ (શ્રીજીની પ્રતિમા)ને રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થા ખાતે જ પ્રસ્થાપિત કરવાનો નમ્ર આગ્રહ સેવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંભવતઃ પ્રથમ ઘટના શ્રી ગણેશજીના મસ્તક સાથે સંકળાયેલી છે તેમ જણાવી, તે હંમેશા અંગદાન, દેહદાન માટે સૌ કોઇને પ્રેરણા આપતી રહેશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અમૂલ્ય માનવ જિંદગીને નવજીવન બક્ષતી સૂરતની ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૪૯ કિડની, ૧૦૧ લીવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય, અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી, ૫૮૨ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ખૂબ જ સંવેદના સાથે માનવતાને અપ્રતિમ ગરિમા બક્ષતી આ કામગીરી અનેક પરિવારો માટે આધાર, આશિર્વાદ અને સંતોષનું કારણ બની રહી છે.
બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન મેળવીને, જરૂરિયાતમંદોને નવજીવન અર્પવાના આ યજ્ઞકાર્યમાં સહયોગી ૩૨ અંગદાતાઓના પરિજનો, સ્વજનોનું અહીં સન્માન કરાયુ હતું. સાથે સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જટિલ, સમયબદ્ધ અને કપરી કામગીરીને ખૂબ જ કૂનેહથી પાર પાડનારા તબીબો, હોસ્પિટલો, અને તેમના આ કાર્યમાં સીધો કે આડકતરો સહયોગ પુરો પાડનારી શહેર પોલિસ, ટ્રાફિક પોલિસ, એરપોર્ટ ઓથોરિટી વિગેરેનું પણ અહીં અભિવાદન કરાયુ હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં હાથ ધરાતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીના આંકડાઓ પૈકી ૪પ ટકા જેટલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય પણ સૂરતની આ ડોનેટ લાઇફ સંસ્થાને ફાળે જાય છે.
સરસાણાના કન્વેન્શન એક્ઝિબિશન હોલ ખાતે આયોજિત ડોનેટ લાઇફના આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), વિધાનસભાના દંડક શ્રી આર.સી.પટેલ, સૂરતના મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓ, મીડિયાકર્મીઓ, અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ માનવીય કાર્યને અનોખી ગરિમા બક્ષી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી મે એ કહ્યું હતું કે મારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણોનું વિતરણ કર્યું છે. તેમાં ગરીબ મહિલાઓને ચાર કરોડ નિ:શુલ્ક એલપીજીનો પણ સમાવેશ થાય છે. તે પૈકી ૪૫ ટકા લાભ મેળવનારાઓ દલિત અને આદિવાસી છે. આથી મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે.
મોદીએ પોતાની સરકારની ગરીબ તરફી ઉપલબ્ધીઓની ભારપૂર્વક ગણતરી કરાવતી વેળાએ અગાઉના શાસનોનો પણ બરાબર ઉધડો લેતાં કહ્યું હતું કે હું જ્યારે નાનો હતો તે વેળાએ સમૃદ્ધ અને વગદાર લોકોને એલપીજી જોડાણો મળી શકતા હતા. તેઓ ગરીબોને એમ કહેતા હતા કે ઘરમાં ગેસના જોડાણો હોવા અસુરક્ષિત છે. પરંતુ અમે એમ પૂછતા કે અસલામત વસ્તુ તમારે ઘેર કેમ? તો તેઓ એકદમ ચૂપ થઈ જતા હતા, એમ મોદીએ જણાવ્યું હતું.

‘ઉજ્જવલ યોજના’ અંતર્ગત નિ:શુલ્ક ગેસ જોડાણો લેનારી મહિલાઓની સાથે વિડિયો કોન્ફરન્સ મારફત વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરાજની નાગચૂડમાંથી આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી છ દાયકામાં ૧૩ કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે તેની તુલનામાં છેલ્લા ૪ વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણો દેવામાં આવ્યા છે. વાતચીત કરનારી મહિલાઓમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની નારીઓ પણ હતી.
મોદીએ શૈશવનાં સંભારણાં વાગોળતાં કહ્યું કે મારી માતા લાકડીઓ અને ગાયના છાણાંથી ચૂલો સળગાવી અમારે માટે ભોજન બનાવતી હતી.
આમ તો અમીરો કે પ્રભાવશાળીઓ એલપીજીના જોડાણ ઝટ મેળવી શકે છે. પરંતુ મારી સરકારે આ ઝુંબેશમાં કેન્દ્રસ્થાને ગરીબોને જ રાખ્યા છે.
દલિતો સંદર્ભે મોદીએ કહ્યું હતું કે મારી સરકારની યોજનાઓમાં દલિતોને ખૂબ લાભ મળ્યા છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેજાં હેઠળની સંયુક્ત પ્રગતિશીલ યુતિ (યુપીએ)ના શાસનકાળ વેળાએ ૨૦૧૦થી ૧૪ દરમિયાન દલિતોને ૪૪૫ પેટ્રોલ પંપ મળ્યા હતા તે પૈકી ૧૨૦૦ કરતાં વધારેને મારી સરકારના શાસનવેળાએ એટલે કે ૨૦૧૪-૧૮ દરમિયાન જ પેટ્રોલપંપ મળ્યા હતા. દલિત સમુદાય માટે ૨૦૧૦-૧૪માં ૯૦૦ થી વધારે તથા ૨૦૧૪-૧૮માં ૧૩૦૦ એલપીજી વિતરણ કેન્દ્રો હતા. ભારતના ૭૦ ટકા ગામડામાં હવે ૧૦૦ ટકા એલપીજી પહોંચ્યા છે. તેમાં ૮૧ ટકા ગામડામાં ૭૫ ટકા કરતાં વધારે પ્રમાણમાં એલપીજી છે.
તાજેતરમાં ગ્રામ સ્વરાજ્ય યોજના દરમિયાન ૧૧ લાખ લોકોને એક દિવસમાં એલપીજી જોડાણો મળ્યા હતા.
નૈર્ઋત્યના ચોમાસાનું કેરળના કાંઠે સોમવારે આગમન થઇ ગયું હોવાની માહિતી ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ હવામાનની આગાહી કરતી સરકારી સંસ્થા, ઈન્ડિયન મિટીરિઓલોજિકલ વિભાગ (આઇએમડી) દ્વારા તા.28મી મે એ સવારે ૮.૧૫ વાગ્યે બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું હતું કે આગામી ચોવીસ કલાકમાં કેરળમાં ચોમાસું શરૂ થશે.
આઈએમડીના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પણ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જવાની આગાહી કરી છે. મુંબઈમાં આ વખતે ચાર દિવસ જલદી એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું દાખલ થઈ જશે એવી આગાહી ઈંડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે(આઈએમડી) કરી છે. આ દરમિયાન કેરળ-કર્ણાટકના કિનારા પર સર્જાયેલા હવાના ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું.
ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ મુંબઈ સહિત દેશમાં ચોમાસું દાખલ થવા માટે હવામાન અનુકૂળ છે. કેરળમાં ચોમાસું બેસી જતા ધીમી ગતિએ ચોમાસું દેશમાં આગળ વધશે. કોલાબા વેધશાળાના ડાયરેકટર બિશ્ર્વંભર સિંહના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું દાખલ થશે ત્યારબાદ આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકમાં ચોમાસું પ્રવેશ કરીને કોંકણ માર્ગે મુંબઈમાં બેસી જશે. જોકે મુંબઈમાં આ વખતે ચાર દિવસ વહેલું એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે.
સ્કાયમેટે કેરળમાં ચોમાસું ૨૮મી મેએ શરૂ થવાની આગાહી કરી હતી, જ્યારે આઇએમડીએ તે ૨૯મી મેએ ચોમાસાના આગમનની આગાહી કરી હતી. આઇએમડીના જણાવ્યા પ્રમાણે ૧૦ મે પછી ૧૪ સ્ટેશન- મિનીકોય, એમિની, તિરુવનંતપુરમ, પુનાલુર, કોલ્લમ, અલ્લાપુઝા, કોટ્ટાયમ, કોચી, થ્રિસૂર, કોઝિકોડે, થલાસ્સેરી, કુન્નુર, કુડાલુ અને મેંગલૂરુ પૈકી ૬૦ ટકા સ્ટેશનોમાં ૨.૫ મિ.મી. અથવા તેથી વધુ વરસાદ સતત બે દિવસ સુધી પડે તો બીજા દિવસે કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાની આગાહી કરવામાં આવે છે.
ચોમાસાના આગમનની આગાહી કરવાના નિર્ધારિત કરી શકાય એવા લક્ષણોમાં પશ્ર્ચિમી પવન કે વાયરો મુખ્ય દરિયાની સપાટીથી ૧૫,૦૦૦ ફૂટ ઊંચો ફૂૂકાતો હોવો જોઈએ. અને તે ૨૦૦ ડબ્લ્યુ-૨ કરતાં ઓછો હોવો જોઈએ. બધા સ્ટેશનો પર લોંગ વેવ રેડિયેશન ૧૪૦-૨ જેટલું નોંધવામાં આવ્યું હતું તે પવનના ક્રાઈટેરિયા સાથે મેચ થતું હોવાથી કહી શકાય કે કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું છે, એમ સ્કાયમેટના ઉપાધ્યક્ષ મહેશ પાલવાતે જણાવ્યું હતું.