CIA ALERT

ઇન્ડીયા Archives - Page 145 of 183 - CIA Live

June 11, 2019
third-party-insurance-500x500.png
1min6490

આગામી 16 જૂનથી કાર્સ અને ટુ-વ્હીલર્સ ઇન્શ્યોરન્સનો ખર્ચ વધશે કેમ કે વીમા નિયમનકાર ઇરડા એ વાહનોની ચોક્કસ કેટેગરીમાં ફરજિયાત થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સમાં 21 ટકા સુધીનો વધારો કર્યો છે. સામાન્ય રીતે ફરજિયાત ટીપી ઇન્શ્યોરન્સ કવરના દરમાં પહેલી એપ્રિલથી સુધારો થતો હોય છે. પરંતુ આ વખતે નાણાકીય વર્ષ 2019-’20 માટેના નવા દર 16 જૂનથી લાગુ પડશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)એ એક આદેશમાં જણાવ્યું હતું કે, નાની કાર્સ (1000 સીસી કરતાં ઓછી) માટેના નવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનો ખર્ચ ₹2,012 થશે. જે હાલમાં અસ્તિત્વ ધરાવતાં ₹1,850 કરતાં 12 ટકા વધારે રહેશે. 1,000 સીસીથી 1,500 સીસીની એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના વીમા પ્રીમિયમ પણ 12.5 ટકા વધારીને ₹3,221 કરવામાં આવ્યા છે.

જોકે, વધારે ઊંચા એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના ટીપી પ્રીમિયમને ₹7,890 પર જાળવી રાખવામાં આવ્યા છે. 16 જૂનથી 75 સીસી કરતાં ઓછી ક્ષમતા ધરાવતાં ટુ-વ્હીલર માટેની નવી મોટર થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવર પણ 12.88 ટકા વધીને ₹482 થશે તથા 75 સીસીથી 150 સીસીના એન્જિન ધરાવતાં ટુ-વ્હીલર્સ માટેનો દર ₹752 રહેશે. ટુ-વ્હીલર વીમા પ્રીમિયમમાં સૌથી મોટો વધારો 150-350 સીસીના વાહનો માટે છે જે 21.11 ટકા વધીને ₹1,193 કરવામાં આવ્યો છે.

June 11, 2019
Girish-Karnad-21.jpg
1min6840

ઊંચા ગજાના સાહિત્યકાર તેમ જ બાહોશ અભિનેતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રખર બુદ્ધિજીવી તરીકેની ઓળખ ધરાવતા ગિરીશ કર્નાડનું ગઇ કાલે બૅન્ગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. સાહિત્ય, રંગભૂમિ અને ફિલ્મોમાં પાંચ દાયકા દરમિયાન મૂઠી ઊંચેરું યોગદાન આપી અમીટ છાપ છોડી જનારા 81 વર્ષના કર્નાડ કેટલાક સમયથી બીમાર હતા. મુખ્યત્વે ક્ધનડ ભાષામાં લેખન, નાટ્યપ્રવૃત્તિ તેમ જ ફિલ્મોે કરનારા ગિરીશ કર્નાડે હિંદી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. આધુનિક નાટ્યલેખનમાં બંગાળીમાં બાદલ સરકાર અને મરાઠીમાં વિજય તેંડુલકરનું જે માતબર કક્ષાનું યોગદાન રહ્યું છે એવું યોગદાન ગિરીશ કર્નાડનું ગણાય છે. તેમના

પરિવારમાં પત્ની સરસ્વતી, લેખક-પત્રકાર પુત્ર રઘુ કર્નાડ તેમ જ પુત્રી રાધા છે. તેમની અંતિમ ઇચ્છા અનુસાર કોઇ પણ પ્રકારની ધાર્મિક વિધિ નહીં કરવામાં આવે. મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા તેમના માનમાં ગઇ કાલે રજા જાહેર કરવામાં આવી હતી તેમ જ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા કર્નાડને જ્ઞાનપીઠ અવૉર્ડ ઉપરાંત પદ્મ શ્રી તેમ જ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1960ના દાયકામાં ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી પ્રતિષ્ઠિત ર્હોડ્સ સ્કૉલરશિપ એનાયત થયા બાદ તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઇકોનૉમિક્સમાં માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. ક્ધનડ ભાષામાં લખેલાં તેમનાં નાટકોનો અનુવાદ અંગ્રેજી ઉપરાંત બીજી અન્ય ભાષાઓમાં પણ થયો હતો. ઐતિહાસિક અને પૌરાણિક કથાઓને સમકાલીન સંદર્ભમાં રજૂ કરવામાં તેમની હથોટી હતી.

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને ચૅરમૅન એમ બેઉ પદ સંભાળનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. 2000થી 2003 દરમિયાન તેમણે લંડન સ્થિત નહેરુ સેન્ટરના ડિરેક્ટરની પણ જવાબદારી સંભાળી હતી. હિંદી અને ક્ધનડ ભાષાની ફિલ્મો માટે તેમને લેખક અને દિગ્દર્શક તરીકે નૅશનલ અવૉર્ડ સુધ્ધાં મળ્યા હતા. સાઉથના ફિલ્મફેર અવૉર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પષ્ટવક્તા હોવાને કારણે તેઓ ઘણી વખત વિવાદમાં સપડાયા હતા. ટાગોરના નાટકોની ટીકા તેમ જ 2014ની ચૂંટણી વખતે વડા પ્રધાનના પદ માટે નરેન્દ્ર મોદીના વિરોધના પ્રસંગે વિવાદ થયો હતો.

મોટા ભાગના લોકોમાં તેમની પ્રમુખ ઓળખ હિંદી ફિલ્મોના એક ઊચ્ચ કક્ષાના અભિનેતાની છે. જોકે, રંગભૂમિ પર તેમનું યોગદાન વિશાળ ફલકનું છે. તેમનું પહેલું નાટક ‘યયાતિ’ 1961માં આવ્યું હતું. ત્યાર બાદ ‘તુઘલખ’ અને ‘હયવદન’ આ બે નાટકોએ તેમને મૂઠી ઊંચેરા સાબિત કરી દીધા હતા. ક્ધનડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ક્ધનડ ભાષાની ફિલ્મો ઉપરાંત તેમણે વખણાયેલી કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1975માં આવેલી ‘નિશાંત’થી તેમની હિંદી ફિલ્મ કારકિર્દીની વિધિવત્ શરૂઆત થઇ હતી. ત્યાર બાદ ‘મંથન’ અને ‘નિશાંત’ જેવી પૅરેલલ સિનેમાની ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત ‘મેરી જંગ’ અને ‘મનપસંદ જેવી કમર્શિયલ ફિલ્મો પણ કરી હતી. સલમાનની ‘એક થા ટાઇગર’ તેમ જ ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મોમાં અભિનય કરનારા ગિરીશ કર્નાડ ‘શિવાય’ અને ‘ચૉક એન ડસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. નાગેશ કુકુનરની ચાર ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો જેમાં ‘ઇકબાલ’, ડોર’, એઇટ બાય ટેન તસવીર’ તેમ જ ‘આશાએં’નો સમાવેશ છે. તેમના નાટકો ઇબ્રાહિમ અલકાઝી, અલેક પદમસી તેમ જ સત્યદેવ દુબે જેવા રંગભૂમિના દિગ્ગજ ડિરેક્ટરોએ દિગ્દર્શિત કર્યા હતા. ‘વંશવૃક્ષ’ નામની ક્ધનડ ફિલ્મમાં તેમણે પહેલી વખત દિગ્દર્શન પર હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ શશી કપૂર નિર્મિત ‘ઉત્સવ’નું તેમ જ 1977ની ‘ગોધૂલિ’નું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.

સાઉથની તેમ જ હિંદી ફિલ્મોમાં અભિનય કરનારા કર્નાડ ટેલીવિઝનના ટચૂકડા પડદા પર પણ જોવા મળ્યા હતા. ‘માલગુડી ડેઝ’ અને ‘ઇન્દ્રધનુષ’ સિરિયલોમાં તેમનો અભિનય ટીવીના દર્શકોને યાદ હશે. દૂરદર્શન પર અઠવાડિયામાં એક વાર આવતા ‘ટર્નિંગ પોઇન્ટ’ નામના સાયન્સ પ્રોગ્રામનું સંચાલન તેઓ કરતા હતા. લોકો સમજી શકે એવી સાદી ભાષામાં વિજ્ઞાનની આધુનિક શોધો રજૂ કરવામાં આવતી હતી.

June 11, 2019
kathua-rape.jpg
1min13430

જાન્યુઆરી, 2018માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હાહાકાર મચાવનાર આઠ વર્ષીય છોકરીના બળાત્કાર અને હત્યાના બનાવ સાથે સંકળાયેલા સાતમાંથી છ આરોપીઓને સોમવારે અહીંની એક સ્થાનિક અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા અને ત્યાર બાદ સજા જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી તેમ જ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમને આ સજા છોકરીની હત્યા બદલ કરવામાં આવી છે, જ્યારે હત્યા પહેલાં કરાયેલા

બળાત્કાર બદલ ત્રણેય માટે પચીસ-પચીસ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી, એમ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

અદાલતે જે મુખ્ય ત્રણ ગુનેગારોને આજીવન કારાવાસની સજા કરી છે એમાં મંદિરના કર્તાહર્તા સાંઝી રામ, સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા તથા પરવેશ કુમાર નામના સામાન્ય નાગરિકનો સમાવેશ છે.

આ વકીલોએ મુખ્ય ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.

આ હિચકારો બનાવ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બન્યો હતો. અદાલતે સાતમો આરોપી વિશાલ કે જે મુખ્ય આરોપી સાંઝી રામનો પુત્ર છે તેને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ને આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મૃત કિશોરીના પરિવાર વતી અદાલતમાં કેસ લડનાર વકીલ ફારુકી ખાને આ જાણકારી આપી હતી.

ઘણા મહિનાઓથી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને સોમવારે ન્યાયમૂર્તિએ એની જાહેરાત કરી ત્યારે અદાલતની બહાર અસંખ્ય મીડિયામેન રાહ જોતા ઊભા રહ્યા હતા અને ફેંસલાની વિગતો આવતાં જ તેમણે એને વાયુવેગે પ્રસરાવી દીધી હતી.

કઠુઆના એક મંદિર ખાતે આ ગુનો આચરવામાં આવ્યો હતો. અદાલતે જાહેર કરેલા ગુનેગાર જાહેર થયેલી પાંચમી, છઠ્ઠી તથા સાતમી વ્યક્તિઓમાં સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઑફિસર સુરેન્દ્ર વર્માનો સમાવેશ છે. પોલીસ તંત્રના આ ત્રણ જણે પુરાવાનો નાશ કર્યો એ બદલ તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી કિશોરીના પરિવાર વતી કેસ લડનાર વકીલોની ટીમમાં જે. કે. ચોપડા, એસ. એસ. બસરા, હરમિન્દર સિંહ અને ભુપિન્દર સિંહનો સમાવેશ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના ફેંસલાનો અભ્યાસ કર્યા બાદ નિર્દોષ ગણાવીને છોડી દેવામાં આવેલા સાતમા આરોપી વિરુદ્ધ કદાચ અદાલતમાં અપીલ નોંધાવશે.

જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત કુલ આઠ જણ વિરુદ્ધ આરોપનામું નોંધાવ્યું હતું. આરોપો રણબીર પીનલ કોડ (આરપીસી) હેઠળ ઘડવામાં આવ્યા હતા.

ગયા વર્ષના એપ્રિલમાં નોંધાવાયેલા આરોપનામા મુજબ ગયા વર્ષની 10મી જાન્યુઆરીએ કઠુઆમાં આ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાંઝી રામ દ્વારા સંચાલિત મંદિરમાં તેને ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછીથી તેના પર દંડૂકાના વાર કરીને મારી નાખવામાં આવી હતી.

ગયા વર્ષે 7મી મેએ સુપ્રીમ કોર્ટે આ ઘટનાના કેસને જમ્મુ અને કાશ્મીર રાજ્યની બહાર લઈ જવાનો આદેશ બહાર પાડ્યો ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં કઠુઆથી 30 કિલોમીટર અને જમ્મુથી 100 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ શહેરની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે રોજબરોજની સુનાવણી શરૂ કરી હતી.

કઠુઆમાંના ધારાશાસ્ત્રીઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ સનસનાટી ભરેલા બનાવમાં આરોપનામું ઘડવા સામે રોક્યા એને પગલે સર્વોચ્ચ અદાલતે કેસને પઠાણકોટની અદાલતમાં લઈ જવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે સાંઝી રામની તેમ જ તેના કિશોર વયના ભત્રીજા તથા પુત્ર વિશાલની ધરપકડ કરી હતી. બે સ્પેશિયલ પોલીસ ઑફિસરો ખજુરિયા તથા વર્માને પણ પકડવામાં આવ્યા હતા. રાજ અને દત્તા જેમણે કથિતપણે સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો, તેમની પણ ધરપકડ કરાઈ હતી.

ફેબ્રુઆરી, 2018માં હિન્દુ એક્તા મંચે એક આરોપીના ટેકામાં જમ્મુમાં દેખાવો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર રાજ્યની યુતિ સરકારમાંના ભાજપના બે પ્રધાનોએ મંદિરના કર્તાહર્તા સાંઝી રામના કિશોર વયના ભત્રીજાની ધરપકડ કરાઈ એના વિરોધમાં આ મંચની રૅલીમાં હાજરી આપી હતી.

June 10, 2019
vayu-1280x720.jpg
1min4010

હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.

વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.

વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિમી દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12મી તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે તેવી પૂરી શક્યતા છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારોને વધુ અસર કરશે એમ મનાય છે.
વાવાઝોડા દરમિયાન દરિયાના મોજા બે મીટરથી વધુ ઊંચા ઉછળવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેટલાક વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

June 10, 2019
westbengalviolence.jpg
1min10340

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસે શનિવારે થયેલી હિંસા માટે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. ત્રણ કાર્યકરના મૃતદેહ મળી આવ્યા હતા અને સંખ્યાબંધ કાર્યકરો લાપતા હોવાનું કહેવામાં આવ્યું હતું. ભાજપે નોર્થ ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટથી બે ટેકેદારોના મૃતદેહ કોલકોતા લઈ જવા પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તેમને અટકાવતા ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. ભાજપ નેતૃત્વે બંને મૃતદેહને તેમના ગામમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે તેમના પક્ષના પાંચ કાર્યકરો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લાપતા થયા છે.

bengal violence માટે છબી પરિણામ

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સતત ચાલી રહી છે. તે બાબતમાં કેન્દ્ર સરકારે ‘ઊંડી ચિંતા’ વ્યક્ત કરી હતી. પશ્ર્ચિમ બંગાળને મોકલેલી અક એડવાઈઝરિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી પણ સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે તે રાજય સરકારનું નિષ્ફળ હોવાનું પ્રતીત થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘થોડા સપ્તાહથી રાજયમાં હિંસા સતત થઈ રહી છે તે રાજયની કાયદાપાલન એજન્સીઓની નિષ્ફળતા હોવાનું પ્રતિત થાય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા, શાંતિ અને જાહેરમાં સુલેહ જાળવવા સર્વ સંભવ પગલા લેવાની સલાહ આપવામાં આવે છે. પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની વિનંતી કરવામાં આવી છે.

નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં ચૂંટણી પછીની અથડામણમાં શનિવારે ચાર વ્યક્તિની હત્યા થઈ હતી તેવું ગૃહ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળના સંખ્યાબંધ વિસ્તારોમાં અગાઉ પણ હિંસાના બનાવો બન્યા હતા, તેવું એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે.

દરમિયાન કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે રવિવારે આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ હિંસાનું રાજકારણ ચલાવી રહ્યો છે, કારણ કે તેમની ‘ઊલટી ગિનતી’ શરૂ થઈ છે.

June 10, 2019
indiawin1.jpg
1min3910

ભારતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની લીગ મૅચમાં ૩૬ રનથી હરાવીને આ સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની મોટી જીત કહેવાય. બીજું, વિરાટસેનાએ તાજેતરમાં જ ઘરઆંગણે કાંગારુંઓ સામેની વન-ડે શ્રેણીમાં હાર ખમી હતી એ જોતાં ગઈ કાલે ભારતે એ હારનો બદલો લઈ લીધો હતો. શિખર ધવન (૧૧૭ રન, ૧૦૯ બૉલ, સોળ ફોર) આ જીતનો સુપર-હીરો હતો. હવે ગુરુવારે ભારતનો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સામે અને રવિવાર, ૧૬મી જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ગઈ કાલની જીત સાથે ભારતે પાકિસ્તાનને ચેતવી દીધું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે દરેક વખતે પાકને માત આપી છે.

ગઈ કાલે ભારતે પાછા ફૉર્મમાં આવી ગયેલા ધવનની ૧૭મી સદીની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૫૦મી ઓવરના આખરી બૉલમાં ૩૧૬ રનના સ્કોર પર અંતિમ વિકેટ ગુમાવી હતી. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી. ગઈ કાલે શરૂઆતની ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્ર્વરે કાંગારું બૅટ્સમેનોને બાંધીને રાખ્યા ત્યારે જ કાંગારુંઓની હાર નક્કી થઈ ગઈ હતી. ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નર રન બનાવવા માટે રીતસરના ઝઝૂમતા રહ્યા હતા. ૬૧મા રને કૅપ્ટન ફિન્ચની પ્રથમ વિકેટ પડ્યા બાદ સમયાંતરે કાંગારુંઓની વિકેટ પડતી રહી હતી.

એ પહેલાં, વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. તેણે એ સાચો નિર્ણય લીધો હતો, કારણકે ભારતે પાંચ વિકેટે જે ૩૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો એ તેના બૅટિંગ લેવાના નિર્ણયને યથાર્થ ઠરાવનારો હતો. ધવનને રોહિત શર્મા (૫૭ રન, ૭૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો અને તેમની વચ્ચે ૧૨૭ રનની ભાગીદારી થઈ હતી. જીતનો પાયો તેમણે જ નાખ્યો હતો અને ધવનને છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ટૂંકો સ્કોર

ભારત: ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન (ધવન ૧૧૭, કોહલી ૮૨, રોહિત ૫૭, હાર્દિક ૪૮, ધોની ૨૭, રાહુલ ૧૧ અણનમ, જાધવ ૦ અણનમ, સ્ટોઇનિસ ૬૨ રનમાં બે તેમ જ કમિન્સ પંચાવન રનમાં એક, સ્ટાર્ક ૭૪ રનમાં એક અને કૉલ્ટર-નાઇલ ૬૩ રનમાં એક વિકેટ, મૅક્સવેલ ૪૫ રનમાં અને ઝેમ્પા ૫૦ રનમાં એકેય વિકેટ નહીં)

ઑસ્ટ્રેલિયા: ૫૦ ઓવરમાં ૩૧૬ રને ઑલઆઉટ (સ્મિથ ૬૯, કૅરી પંચાવન, વૉર્નર ૫૬, ખ્વાજા ૪૨, ભુવી ૫૦ રનમાં ત્રણ, બુમરાહ ૬૧ રનમાં ત્રણ, ચહલ ૬૨ રનમાં બે વિકેટ, હાર્દિક ૬૮ રનમાં, કુલદીપ પંચાવન રનમાં અને કેદાર ૧૪ રનમાં વિકેટ નહીં.’

 

June 8, 2019
keral_rain.jpg
1min6390

સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા છે એ ચોમાસાએ ભારતના દક્ષિણ પશ્ચિમ કાંઠે એટલે કે કેરળમાં સત્તાવાર આગમન કરી લીધું છે. કેરળમાં આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ઠીકઠીક પ્રમાણમાં વરસાદે કેરળને તરબોળ કરી દીધું છે.

બીજી તરફ IMD (ઈન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ પણ સત્તાવાર જાહેરાત બુલેટીનમાં જણાવ્યું છે કે આજે તા.8મી જુન 2019ના રોજ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. આજે સવારથી જ કેરળના મોટ ભાગના વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

હવામાન ખાતા દ્વારા કેરળના સાત જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min5170

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 8, 2019
mbbs.jpg
1min13030

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બાયોલોજી સાથે 50 પર્સન્ટાઇલથી વધુ માર્કસ સાથે પાસ થયેલા અને નીટ 2019માં સારો સ્કોર કરીને હાલમાં એમ.બી.બી.એસ. (મેડીકલ)માં પ્રવેશની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીના સમાચાર એ છે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન (અનામત) આપવા માટે દેશભરની તમામ મેડીકલ કોલેજોમાં 25 ટકા જેટલી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આવતા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના નિયમ અનુસાર 10 ટકા અનામત (રિઝર્વેશન) આપવા માટેની પ્રક્રિયાઓ મે 2019માં જ શરૂ કરી દીધી હતી અને હાલમાં દેશભરની તમામ કાર્યરત મેડીકલ કોલેજોમાં બેઠકો વધારીને પ્રવેશ આપવા માટેની સૂચનાઓ જારી કરી દીધી છે.

મેડીકલ કોલેજોમાં ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માટે બેઠકો વધારવાની હાથ ધરેલી કાર્યવાહીને પગલે હવે ગુજરાતમાં એમબીબીએસની બેઠકોની કુલ સંખ્યા વધીને 4800 થી વધુ થવા પામી છે.

મેડીકલ કોલેજોમાં 10 ટકા ઇડબલ્યુએસ ક્વોટાનો અમલ કરવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ આ મુજબની છે.

June 8, 2019
up.jpeg
1min14450

ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાં ધૂળની આંધી, વરસાદ અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થઈ ગયા. 6 અને 7 જૂને અહીંના અલગ-અલગ ભાગોમાં પડેલા વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધી 26 લોકોના મોત થવાની સૂચના મળી છે. આ ઉપરાંત 57 અન્ય લોકો અલગ-અલગ ઘટનાઓમાં ઘાયલ થયા છે. વરસાદના કારણે તમામ વિસ્તારોમાં નુકસાન બાદ યુપી સરકારે અધિકારીઓને રાહત કાર્યો ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.

રાહત કમિશનરની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ મૈનપુરી જિલ્લામાં સૌથી વધારે 6 લોકોના મોત થયા, જ્યારે ઈટા અને કાસગંજમાં 3-3 લોકો, ફારુખાબાદ અને બારાબંકીમાં 2-2 લોકો તથા મોરાદાબાદ, બાદૌન, પીલીભીત, મથુરા, કનૌજ, સંભાલ, ગાઝીયાબાદ, અમરોહા અને મહોબામાં 1-1 લોકોના માત થયા છે.
ઉત્તરપ્રદેશના વિભિન્ન ભાગોમાં આંધી-તોફાન અને આકાશી વીજળી ત્રાટકવાના બનાવોમાં ઓછામાં ઓછા 19નાં મોત થયાં હતાં. પ્રદેશના રાહત કમિશનર કાર્યાલયે આજે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મૈનપુરીમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્યની જાણકારી લેવા માટે 6 પ્રભારી મંત્રીને નિર્દેશ આપ્યા છે. મૈનપુરીમાં સૌથી વધુ 6 જણનાં મોત થયાં હતાં. એટા અને કાસગંજમાં ત્રણ-ત્રણ જણનાં મૃત્યુના અહેવાલ હતા. મુરાદાબાદમાં એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું.
બદાયું, પીલીભીત, મથુરા, કન્નૌજ, સંભલ અને ગાઝિયાબાદમાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે આંધી-તોફાન આવ્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષો તૂટીને પડી ગયાં હતાં.