અમેરિકાથી આયાત થતા બદામ, અખરોટ અને કઠોળ સહિતની 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવા માટેની મુદ્ત સતત પાછી ઠેલ્યા બાદ હવે આગામી 16 જૂનથી ટેરિફમાં વધારો અમલી કરવામાં આવશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે નાણાં મંત્રાલય ટૂંક સમયમાંજ નોટિફિકેશન જારી કરશે.
સરકારના ટેરિફ વધારાના પગલાંથી આ 29 ચીજોના અમેરિકાના નિકાસકારો પર વિપરીત અસર પડશે અને આ ચીજોની આયાત મારફતે ભારતને 21.7 કરોડ ડૉલરની વધુ મહેસૂલી આવક થશે. ભારતે અમેરિકાને પ્રતિકારાત્મક ટેરિફ વધારા અંગે જાણ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા જેટલાં ટેરિફના ઊંચા દર લાદવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિકારમાં ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. ગત સાલ મે મહિનામા નાણાં મંત્રાલયે અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવાની મુદ્ત 16 જૂન સુધી લંબાવી હતી, પરંતુ ત્યાર બાદ જૂન 2018 પછીથી ઘણી વખત આ મુદ્દત લંબાવવામાં આવી હતી.
અમેરિકાથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ટેરિફ વધારવાનું નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેમાં અખરોટ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 120 ટકા, વટાણા, ચણા અને મસૂર દાળ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 70 ટકા અને મસૂર પરની ટેરિફ વધારીને 40 ટકા કરવાનો સમાવેશ થતો હતો.
ગત નાણાકીય વર્ષ 2017-18માં ભારતની અમેરિકા ખાતે નિકાસ 47.9 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 26.7 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપારી તુલા ભારતની તરફેણમાં રહી હતી.
















