
કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.
આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.
જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.



















