સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાનો અમલ હાલમાં અટકાવવાનો બુધવારે ઇનકાર કર્યો હતો અને કેન્દ્રને સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ બંધારણીય બૅન્ચને સુનાવણી માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે અમે કાયદાના અમલને એકપક્ષી રીતે હાલમાં અટકાવી ન શકીએ. અમે બધી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઇશું. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં આ ધારાને મુદ્દે મોટા પાયે ચર્ચા થઇ રહી છે અને અમે કેન્દ્રની દલીલ સાંભળ્યા વિના કોઇ નિર્ણય નહિ લઇએ.
સર્વોચ્ચ અદાલતમાં આ ધારાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ૧૪૩ અરજી કરાઇ છે. આ અરજીઓની સુનાવણી કરનારી બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે.
વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં નાગરિકત્વ (સુધારા) ધારા હેઠળ નાગરિકત્વ આપવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. જેઓને નાગરિકત્વ અપાઇ જશે, તેઓ પાસેથી પાછું લેવાશે નહિ અને તેથી આ કાયદાના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
વકીલ વિકાસ સિંહે આસામમાં નાગરિકત્વ (સુધારા) ધારાના અમલના સંબંધમાં એકપક્ષી ચુકાદાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે આ કિસ્સામાં આસામની હાલત અલગ છે. આ કેસને લગતી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો રાજ્યમાં ઘૂસી ગયા છે.
દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આસામ અને ત્રિપુરાના કિસ્સાને અન્ય રાજ્યોથી અલગ રીતે હાથ ધરાશે.
વકીલ કપિલ સિબલે નાગરિકત્વ સુધારા કાયદાનો બે મહિના અમલ નહિ કરવા, આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરનો એપ્રિલથી થનારો અમલ રોકવાની વિનંતિ કરી હતી.
ઍટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં માત્ર ૬૦ અરજીની નકલ મળી છે. કેન્દ્ર સરકારને બધી અરજીની નકલ આપવા અરજ કરીએ છીએ. અમને જવાબ આપવા માટે છ અઠવાડિયાંનો સમય લાગશે.
તેમણે જણાવ્યું હતું કે દેશની બધી વડી અદાલતોને નાગરિકત્વ સુધારા ધારાને લગતી અરજીઓની હાલમાં સુનાવણી નહિ કરવાની સૂચના આપવી જોઇએ.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને વડી અદાલતોને સંબંધિત સુનાવણી હાલમાં નહિ કરવાનો આદેશ આપવા સહમત થઇ હતી.
નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અગાઉ ૬૦ અરજી કરાઇ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસ દરમિયાન નવી ૮૩ અરજી કરાઇ હતી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આસામ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાંના આ કાયદાના અમલને પડકારતી અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછી અલગથી જ કરાશે. જે અરજીઓ કેન્દ્રને નથી મળી તેઓનો જવાબ આપવા ચાર અઠવાડિયાંનો સમય આપીએ છીએ. અમે અમુક અરજીની સુનાવણી ચૅમ્બરમાં કરીશું.

















