આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.
જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.
રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત
ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.
રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે.
કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ
હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપા પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય મેળવવા 74 મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.
ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ
ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37 પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.

















