ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક છ દિવસ સુધી ૧૧૦૦થી નીચે રહ્યા પછી ફરીથી ૧૧૦૧ થયો છે એ સાથે કુલ કેસનો આંક ૭૦,૦૦૦ની નજીક એટલે કે ૬૯૯૮૬ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ રાજ્યમાં વધુ ૨૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરત શહેર અને ગ્રામ્ય મળી ૧૦, અમદાવાદ શહેરમાં ૫, વડોદરા શહેરના ૨, જૂનાગઢ અને કચ્છ જિલ્લાના ૨-૨, ગાંધીનગર, અમરેલીના એક એક દર્દીનો સમાવેશ થાય છે.
ચોવીસ કલાકમાં સૌથી વધારે સુરત શહેરમાંથી ૧૮૨ કેસ નવા મળ્યા છે જ્યારે જિલ્લામાં તબક્કાવાર ઘટી રહ્યા છે છતાં નવા ૪૪ કેસ આવ્યા છે બીજી તરફ અનુક્રમે ૬ અને ૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૯ કેસ નવા ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૯ કેસ નવા નોંધાયા છે. શહેરના પાંચ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરામાંથી ફરીથી ૯૦થી વધારે એટલે કે ૯૨ કેસ નવા નોંધાયા છે અને બે દર્દીના મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૨૧ કેસ ઉમેરાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૦ કેસ નોંધાયા છે જ્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી ૨૦ કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં વધુ ૬૮ કેસ મળી કુલ ૯૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢ શહેરમાંથી નવા ૧૭ કેસ અને ગ્રામ્યના પંદર કેસ નોંધાયા છે. ગ્રામ્યના વધુ બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગરમાંથી ફરીથી ૪૧ કેસ સાથે કુલ ૫૪ કેસ નોંધાયા છે જ્યારે ભાવનગરમાંથી નવા ૨૮ કેસ અને ગ્રામ્યના ૧૯ કેસ નોંધાયા છે. આ બન્ને શહેરોમાં આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હેલ્થ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. હવે આ બન્ને નેતાઓ વિવિધ જિલ્લાઓનો પણ દર સપ્તાહે પ્રવાસ ખેડનાર છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી ૩૩ કેસ નવા ઉમેરાયા છે. આ પછી પંચમહાલ જિલ્લામાંથી ૩૧ કેસ, મહેસાણામાંથી ૩૦ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી નવા ૨૭ કેસ, ગીર સોમનાથના ૨૬, કચ્છમાંથી ૨૨ કેસ, સુરેન્દ્રનગર ૨૧, મોરબીમાંથી ૨૦ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લાના ૧૯, વલસાડમાંથી ૧૭, ભરૂચ, નર્મદામાંથી ૧૧-૧૧, ખેડામાંથી ૧૦ કેસ નોંધાયા છે. આમંદ, બોટાદ અને મહીસાગર જિલ્લામાંથી ૯-૯, છોટાઉદેપુર, સાબરકાંઠામાંથી ૮-૮, નવસારીમાંથી ૭, બનાસકાંઠા અને પોરબંદરમાંથી ૫-૫ કેસ, દ્વારકામાં ૪, અરવલ્લી ૩, તાપીમાંથી ૨ અને ડાંગથી એક કેસ નવો ઉમેરાયો છે.
નવા ૨૬૨૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે એનો ગુણાંક પ્રતિ મિલિયન વસતિએ ૪૦૪.૧૮ ટેસ્ટ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૧૩૫ દર્દીઓ આઇસીએમઆરની ગાઇડલાઇન્સથી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૫૨,૮૨૭ થઇ છે આ સાથે કુલ રિકવરી રેટ ૭૫.૪૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં ૨૬૨૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે હાલ ૧૪૫૩૦ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર અને બાકીના સ્ટેબલ છે








