ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૫૭,૨૩૪ ટેસ્ટ દ્વારા કોરોનાથી સંક્રમિત દર્દીને શોધવાના પ્રયાસમાં નવા ૧૧૨૬ કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક ૮૦,૦૦૦ને પાર થઇ ૮૦,૯૪૨ થયો છે. જોકે, આ સમયમાં વધુ ૨૦ દર્દીનાં કોવિડ-૧૯ સંક્રમણને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આ મૃત્યુમાં સૌથી વધુ સુરતમાં ૭, અમદાવાદમાં ૪, ભાવનગર, કચ્છ, અમરેલીમાં ૨-૨, વડોદરા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.
રાજ્યના આઠ મહાનગરોને આવરી લેતાં જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસમાં સુરત ૨૫૨ કેસ સાથે ટોપ ઉપર છે. એમાં મહાનગરના ૧૭૫ કેસ તેમજ ગ્રામ્યના ૭૭ કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાંથી સતત નવા કેસ આવી રહ્યાં છે. જેના પગલે વધુ ૧૪૯ કેસ શહેરમાંથી તેમજ ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદ, બાવળા અને દસક્રોઇમાંથી વધુ ૧૪ કેસ ઉમેરાયા છે આમ, અમદાવાદના કુલ કેસ ૧૬૨ નવા કેસ નોંધાયા છે. વડોદરામાં ૧૧૧ કેસમાં ૮૯ મહાનગરમાંથી નોંધાયા છે જ્યારે ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૧ તથા ગ્રામ્યમાંથી ૧૬ કેસ મળી ૨૭ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ રાજકોટમાંથી ૯૮ કેસ છે, એમાં શહેરમાંથી ૬૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૩૩ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૫૩ કેસ તથા ગ્રામ્યમાંથી પાંચ જ નવા કેસ ઉમેરાયા છે તો ભાવનગર શહેરમાંથી નવા ૨૩ કેસ તથા ગ્રામ્યના ૧૬ કેસ મળી ૩૯ કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાંથી ૧૩ અને જિલ્લામાંથી ૮ કેસ મળી ૨૧ કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વિસ્ફોટ મોરબીમાં થયો છે. કોરોનાથી સંક્રમિત એક સાથે ૪૬ કેસ મળી આવ્યા છે. સિરામીક ફેક્ટરીઓમાં કારીગરોની અવરજવર સાથે કોરોનાના સંક્રમણનો પણ વધારો જોવા મળ્યો છે. જોકે, આ સિવાયના જિલ્લાઓમાં જોઇએ તો અમરેલી અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ, સુરેનદ્રનગરમાંથી ૧૦, પોરબંદરમાંથી ૯, દેવભૂમિ દ્વારકામાંથી ૫, બોટાદમાંથી ૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે કચ્છ જિલ્લામાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે.
રાજ્યમાં પૂર્વના આદિવાસી પટ્ટામાં દાહોદમાં વધુ ૨૮, ભરૂચમાં ૨૬, મહીસાગરમાં ૧૫, વલસાડ અને નવસારામાં ૧૦-૧૦ કેસ, નર્મદામાં ૭, તાપી અને ડાંગમાં અનુક્રમે ૩ અને એક કેસનો સમાવેશ થાય છે. આણંદ અને ખેડામાંથી અનુક્રમે ૮ અને ૭ કેસ મળ્યા છે. અન્ય રાજ્યમાંથી આવેલા ૮ દર્દીનો પણ ગુજરાતના કેસમાં સમાવેશ કરાયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૧૧૩૧ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૩,૭૧૦ થયો છે. સતત વધી રહેલા ડિસ્ચાર્જને પગલે રિકવરી રેટ ૭૮.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. અલબત્ત, મૃત્યુ આંક ૨૮૨૨ થયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૪૧૦ છે. એમાં ૭૮ દર્દીને વેન્ટિલેટરી કેર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે ૧૪,૩૩૨ દર્દી સ્ટેબલ છે.










