ઓછા વ્યાજદર અને સ્થિર ભાવને લીધે મુંબઇ દેશના સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા હોવાનો મત એક સંસ્થાએ જાહેર કર્યો હતો.
સંસ્થાના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2018માં ઘર ખરીદવા માટે સૌથી વાજબી શહેર હૈદરાબાદ હતું, ત્યારબાદ કોલકાતા અને પૂણેનો આવ્યો હતો.
આ સર્વેક્ષણ 2011થી 2018 વચ્ચે સાત શહેરો (મુંબઇ, દિલ્હી એનસીઆર, બૅંગલુરુ, ચેન્નઇ, પૂણે, હૈદરાબાદ અને કોલકાતા)માં ગૃહ ઋણ માટેનો વ્યાજદર, સરેરાશ કૌટુંબિક આવક અને 1000 સ્કે. ફૂટ ઘરના ભાવના આધારે કરવામાં આવ્યું હતું.
સર્વેક્ષણમાં એ જોવામાં આવ્યું હતું કે આ સાતેય શહેરોમાં સરેરાશ કૌટુંબિક આવક સાથે ઋણ લઇને લોકો એ વખતના 1000 સ્કે. ફૂટના ઘર ખરીદી શકે એમ હતું કે નહીં અને એવું જણાયું હતું કે ફક્ત 2013માં હૈદરાબાદમાં જ એવી સ્થિતિ હતી. જોકે, 2018 સુધીમાં મુંબઇને બાદ કરતા બાકી બધા જ શહેરોમાં ઋણ લઇને ઘર ખરીદી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વાજબી ગૃહ ઋણ અને સ્થિર ભાવની મદદથી 2014 બાદ શહેરોમાં ઘર ખરીદી શકાય એવી સ્થિતિ ઊભી થઇ હતી. સંસ્થાના મતે આવતા ત્રણ વર્ષ સુધી આ સાતેય શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં વધારો નોંધાશે.
રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે
એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.
જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :
બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.
બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.
મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે
કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.
તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
ગુજરાત સમેત દેશના મોટાભાગના રાજ્યોમાં ઉનાળાની ગરમીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાનું હોઇ, દેશના ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વિવેકબુદ્ધિ પૂર્વક મતદાનનો સમય વધારી શકશે.
ગુજરાતમાં ચૂંટણી તંત્રએ તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજાનાર ચૂંટણી મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વધુ મળતી વિગતો મુજબ ચૂંટણી પંચના નિયમાનુસાર અગાઉ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ, જે રીતે છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ગરમી પડી રહી છે એ જોતા હવે ગુજરાતમાં મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે તે માટેની પરવાનગી આપવામાં આવી છે.
તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 કલાક સુધીનો મુકરર કરવામાં આવ્યો છે.
આજથી ચૂંટણીનું જાહેરનામું અને ઉમેદવારીનો ધમધમાટ શરૂ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજવાનું છે ત્યારે આવતીકાલ તા.28મી માર્ચને ગુરુવાર ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું જારી કરવામાં આવશે. આવતીકાલ તા.28મીથી જ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ કરાશે.
સુરત સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો માટે બે સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કલેક્ટરેટ કચેરી, પાંચમાં માળે નવા જિલ્લા સેવાસદન ખાતે તેમજ ચોર્યાસી પ્રાંતની કચેરી ખાતેથી લોકસભાની સુરત બેઠક પર ઉમેદવારી માટેના ફોર્મ બિલકુલ વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને આ જ બન્ને કચેરીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો રૂબરૂમાં જ ભરવાના રહેશે. ઉમેદવારીની પ્રક્રિયા તા.4 એપ્રિલ 2019 સુધી ચાલશે.
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો પૈકી જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો પાસેથી રૂ.25 હજાર તેમજ એસ.સી. કે એસ.ટી. વર્ગના ઉમેદવારો પાસેથી રૂ.12,500ની રકમ ડિપોઝીટ પેટે લેવામાં આવશે.
સુરત બેઠક માટે બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો, ભાજપા કે કોંગ્રેસ પૈકી કોઇએ પણ પોતાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી નથી.
ગુજરાતમાં તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ સ્ટેટીક સ્કવોર્ડ અમલમાં આવી જશે. સુરત શહેર જિલ્લામાં સુરત બેઠક ઉપરાંત નવસારી અને બારડોલી એમ ત્રણ લોકસભા વિસ્તારો સમાવિષ્ટ છે. આ તમામ વિસ્તારોમાં સુરત જિલ્લા ચૂંટણીતંત્રએ ગઠિત કરેલી સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડ આવતીકાલ તા.28મી માર્ચ 2019ના ગુરુવારથી એકશનમાં જોવા મળશે.
ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે રોડ પર, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.
સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.
ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.
ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.27મી માર્ચ 2019ના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કરીને જણાવ્યું હતું.
ભારતે પોતાનું નામ અંતરીક્ષ મહાસત્તા તરીકે નોંધાવી દીધું છે. બુધવારે તા.27મી માર્ચ 2019ના રોજ સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 300 કિલોમીટરના અંતરે લો ઓર્બિટમાં એક જીવંત ઉપગ્રહને ભારતે તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.
અવકાશ આજે દેશનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આપણા દેશે છોડેલા ઉપગ્રહોનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકોને પણ થઈ રહ્યો છે. હાલના વર્ષોમાં ઉપગ્રહોનો વધારો થઈ રહ્યો છે ત્યારે દેશે તેની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. મિશન શક્તિ ભારતને હવે અવકાશમાં પણ મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. આટલી ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા સાથે ભારતે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે.’
ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.
બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.
જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.
રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.
એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.
સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી
તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.
સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી
એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.
દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા
આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા
ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.
હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા
સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.
ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.
સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો
ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.
ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.
મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.
JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.
JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.