પેટ્રોલના ભાવમાં બુધવારે લિટર દીઠ ૪૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ ક્ષેત્રની જાહેર ક્ષેત્રીય કંપનીઓએ ભાવમાં ફેરફાર કરવા સંબંધિત ૮૨ દિવસના બ્રેકનો અંત આવ્યો એ પછી આ સતત ચોથો દૈનિક ભાવવધારો છે.
દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ વધારીને રૂપિયા ૭૩.૦૦થી વધીને રૂપિયા ૭૩.૪૦ થયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૭૧.૧૭થી વધારીને રૂપિયા ૭૧.૬૨ કરવામાં આવ્યો છે, એમ સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.
ભાવવધારો દેશભરમાં કરાયો છે. જોકે, રાજ્યોમાં સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યૂ એડેડ ટેક્સને આધારે નક્કી કરાશે. રવિવારથી કરવામાં આવેલા લાગલગાટ ચોથા ભાવવધારામાં એકંદરે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૧૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૨૩ વધ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આજે તા.8મી જુનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે જીએસટી કરદાતાઓની વધુ એક સુવિધાઓના ભાગરૂપે જો નીલ રિટર્ન એટલે કે ઝીરો જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું હશે તો કરદાતા ફક્ત પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક એસ.એસ.એસ. કરીને નીલ રિટર્ન ફાઇલ કરી શકશે. એના માટે ટેક્સ કન્સલ્ટન્ટની પણ જરૂરીયાત રહેશે નહીં.
Press Release – In a major move towards taxpayer facilitation, Government rolls out facility of filing of NIL GST Return through SMS. pic.twitter.com/1yC0dkVMBy
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે તા.5મી જુને ભારતની સૌથી મોટી દુધ ઉપ્તાદક સંસ્થા અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર બેન લાદી દીધો હતો. અમૂલએ ટ્વીટર પર એક્ઝીટ ધ ડ્રેગન એવી પોસ્ટ મૂકતા ટ્વીટરએ આ પગલું ભર્યું હતું.
ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી હેરાની અનુભવી રહ્યા છે.
કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ₹14,000 કરોડનાં આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે.
100 યુનિટ વીજ બિલ માફ કરવાનો અને વેપારીઓને ₹એક લાખથી અઢી લાખની લોન 4 ટકા વ્યાજે આપવામાં આવશે. 4 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના 92 લાખ વીજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવશે. આ પેકેજમાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી આપવામાં આવી છે. નાની દુકાનો, પ્રોવીઝન સ્ટોર, મોબાઇલ મેડિકલમાં ત્રણ મહિના માટે 15 ટકા વીજ દર લેવામાં આવશે. તેનાથી 30 લાખ દુકાનદારો અને કારીગરોને ₹80 કરોડનો લાભ મળશે. આદિવાસી શ્રમિકના ઘરો માટે ₹350 કરોડની ફાળવણી કરી છે.
લોકડાઉનને કારણે પરિવહન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટ બેઝ બસો વગેરેનો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે, જે માટે સરકાર ₹230 કરોડ ભોગવશે. ₹460 કરોડનાં બાકી લેણાં અને પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે.
ખેડૂતો નાના ગોડાઉન બનાવે માટે ₹35,000ની સહાય જાહેર કરી છે. આ માટે ₹350 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. મત્સ્ય ઉદ્યોગ માટે 40 ઇનપુટ સાધનોની ખરીદીમાં પણ ₹200 કરોડની સબસિડી જાહેર કરી છે. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ₹એક લાખ સુધીની મુદતમાં છ ટકા વ્યાજ સરકાર ભરશે. મહિલા સખી મંડળને 0 ટકા વ્યાજે મળી રહે એ માટે ₹200 કરોડ રૂપિયાની યોજના જાહેર કરાઈ છે.
₹768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે. ટેક્ષટાઇલ ઉદ્યોગોને ₹450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે.
કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ ₹150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને ₹1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.
વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ સુધી પ્રથમ હપ્તો ભરનારને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે 26,000 વેપારીઓને લાભ મળશે.
વેટ અને કેન્દ્રીયકાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.
રાજ્યના 27,000થી વધુ ઉદ્યોગ સાહસિકોને વાજપેયી બેન્કેબલ યોજનામાં ₹190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે. સોલર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટે ₹190 કરોડની સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે.
ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને ₹90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને 1-4-2017થી 30-06-2017 સુધીની આકારણીની કામગીરીમાં ₹10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલી નોટીસ પરત ખેંચવામાં આવશે.
વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો અને એન્જિનિયરોને ભારતમાં આવવા દેવામાં આવશે, એમ સરકારે બુધવારે જાહેર કર્યું હતું. માર્ચમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો તે પછી આવું પ્રથમ વાર થઇ રહ્યું છે.
ભારત આવવાના લોંગ ટર્મ મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા હોય તેમણે ભારતીય દૂતાવાસ પાસેથી તેમના વિઝા ફરી માન્ય કરાવવા પડશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિઝનેસ વિઝા પર આવનારા વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, એન્જિનિયરો અને લૅબોરેટરી એન્જિનિયરોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશીઓએ નવો બિઝનેસ વિઝા અથવા ઍમ્પ્લોયમેન્ટ વિઝા સંબંધીત વિદેશી દૂતાવાસો પાસેથી લેવાનો રહેશે.
દરમિયાન કોરોનાના કુલ કેસ વધીને બુધવારે ૨૦૭૬૧૫ નોંધાયા હતા અને મૃત્યાંક વધીને ૫૮૧૫ થયો હતો. ૧૦૦૩૦૩ લોકો સારા થયા છે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
આજે તા.2 જૂન મંગળવારે બપોરે 3.30 કલાકે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ સેન્સેક્સ મજબૂતી સાથે બંધ થયો હતો. સાર્વત્રિક લેવાલીથી મંગળવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 522 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં રેલી જોવા મળી હતી.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 33,866.63 અને નીચામાં 33,301.29 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 522.01 પોઈન્ટ્સ અથવા 1.57 ટકાના ઉછાળા સાથે 33,825.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 9,995.60 અને નીચામાં 9,824.05 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 152.95 પોઈન્ટ્સ અથવા 1.56 ટકા વધીને 9,979.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.20 ટકા અને 1.83 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે FMCGને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબ્સ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ 8.64 ટકા, કોટક બેન્ક 7.56 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.05 ટકા, HDFC 4.43 ટકા, પાવરગ્રીડ 3.46 ટકા, એક્સિસ બેન્ક 3.29 ટકા, ICICI બેન્ક 2.80 ટકા અને LT 1.86 ટકાનો સમાવેશ થાય છે.
આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં મારુતિ 1.74 ટકા, ITC 1.69 ટકા, NTPC 1.23 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.95 ટકા અને ભારતી એરટેલ 0.19 ટકાનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરવાના ફોર્મ્સ આયકર વિભાગે જાહેર કર્યા છે.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સીસે એસેસમેન્ટ ઇયર ૨૦૨૦-૨૧ માટે સહજ (આઇટીઆર-૧), ફોર્મ આઇટીઆર-૨, ફોર્મ આઇટીઆર-૩, ફોર્મ સુગમ (આઇટીઆર-૪), ફોર્મ આઇટીઆર-૫, ફોર્મ આઇટીઆર-૬, ફોર્મ આઇટીઆર-૭ અને ફોર્મ આઇટીઆર-વી જાહેર કર્યા છે.
૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ભરવા માટે સરકારે નવા ફોર્મ જારી કર્યા છે જે મુજબ વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયા જમા હોય તેમણે અને જેમના બાર મહિનાનું વીજળીનું બિલ એક લાખ રૂપિયાથી વધારે હોય તેમણે આ અલગ ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પડશે. નવા આઇટીઆર ફોર્મ્સમાં કરદાતાઓએ ખાસ ઊંચા ખર્ચની વિગતો આપવી પડશે. તેમના કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમ હોય, વિદેશ પ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા વર્ષભરમાં વીજળીના બિલ પેટે એક લાખ રૂપિયાથી વધુ રકમ ભરી હોય તેમણે એની વિગતો ફોર્મમાં આપવી પડશે. આ વર્ષે આઇટીઆર-૧માં કરદાતાઓએ પોતાનો પાસપોર્ટ નંબર (જો કોઇ હોય તો) આપવો પડશે.
વિશ્વની તમામ લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2020માં અત્યાર સુધીમાં શેર્સના વેચાણ મારફત સૌથી વધારે ભંડોળ એકત્ર કરનારી કંપની બની છે. ભારતીય કંપનીઓમાં અન્ય ટોચના ભંડોળ એકત્ર કરનારાઓમાં ગ્લેક્સોસ્મિથક્લાઇન અને હોર્લિક્સે તાજેતરમાં ₹26,000 કરોડની કિંમતના હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સનું વેચાણ કર્યું હતું જ્યારે ભારતી એરટેલે ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ તથા ઓવરસિસ બોન્ડ મારફત ત્રણ અબજ ડોલર એકત્ર કર્યા હતા.
બ્લૂમબર્ગના ડેટા અને ઇક્વિટી ઓફરિંગ માટે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતો અનુસાર મુકેશ અંબાણીના વડપણ હેઠળની આ મહાકાય કંપનીએ ઇક્વિટી ઓફરિંગ મારફત 18.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેના પછી યુએસ સ્થિત મની મેનેજર બ્લેકરોકનો ક્રમ આવે છે જેણે 13.3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને તેના પછી રિજનરોન ફાર્માસ્યુટિકલ્સનો ક્રમ હતો જેણે 11 અબજ ડોલર એકત્ર કર્યા હતા. અન્ય કંપનીઓ જેમણે બજારમાંથી મોટા પાયે નાણાં એકત્ર કર્યાં હતાં તેમાં સિંગાપોર એરલાઇન, બ્રાઝિલની પેટ્રોબ્રાસ અને યુએસ સ્થિત સાઉથવેસ્ટ એરલાઇનનો સમાવેશ થાય છે.
એક વર્ષમાં સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ સાઉદી અરેબિયાની મહાકાય ઓઇલ કંપની અરામ્કોનું હતું જેણે પાછલા ડિસેમ્બર મહિનામાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મારફત આશરે 28.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા, તે અગાઉનો ટોચનો રેકર્ડ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ્સના નામે હતો જેણે 2014માં 25અબજ ડોલર એકત્ર કર્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઋણમાં કાપ મૂકવા માંગતી હોવાથી શેર્સ સેલની જાહેરાત કરી હતી. કંપનીનો ₹53,000 કરોડનો રાઇટ ઇશ્યૂ ખૂલ્યો છે ત્યારે તેણે પોતાના ડિજિટલ યુનિટ જિયો પ્લેટફોર્મમાં 17 ટકા કરતાં વધારે હિસ્સો વેચીને ₹78,562 કરોડ એકત્ર કરી દીધા છે. તેમાંથી ફેસબૂકે ₹43,574 કરોડમાં આ યુનિટમાં 9.99 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો જ્યારે સિલ્વર લેખે ₹5,665.75કરોડમાં 1.15ટકા હિસ્સો ખરીદ કર્યો હતો.
આઠ મેના રોજ યુએસ સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ₹11,367 કરોડમાં જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો અને 17 મેના રોજ ગ્લોબલ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે ₹6,598.38 કરોડમાં 1.34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પાંચમા સોદામાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર એન્ડ કંપનીએ ₹11,367 કરોડમાં જિયોનો 2.32 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.
31 માર્ચની સ્થિતિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બાકી દેવું ₹3,36,294 કરોડ નોંધાયું હતું. તેની પાસે હાથ પર ₹1,75,259 કરોડની રોકડ છે જેથી નેટ ડેટ ₹1,61,035કરોડ થાય છે.
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.
કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.
રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.
સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.
વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ડૉમેસ્ટિક કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પચીસ મે થી શરૂ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ નાગરિકી ઉડ્ડયન ખાતાએ ઍરલાઈન્સ, ઍરપોર્ટ અને પ્રવાસીઓ માટે ગુરુવારે વિગતવાર માગદર્શિકા બહાર પાડી હતી.
વિમાનની વચલી બેઠક ખાલી રાખવામાં આવશે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમની પૂર્તિ ન થવાની હોવાથી અમે વચલી બેઠક પર પણ પ્રવાસ કરવાની પરવાનગી આપીશું એમ જણાવતાં ઉડ્ડયન ખાતાના પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય સેતુ ઍપ ન ધરાવતા પ્રવાસી સૅલ્ફ ડિકલેરેશન ફૉર્મ ભરીને આપશે તેમને વિમાનમાં પ્રવાસ કરતા રોકવામાં નહીં આવે.
વિમાનભાડાંની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવશે અને મહામારીના આ સમયગાળા દરમિયાન ઍરલાઈન્સોએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, એમ ઉડ્ડયન ખાતાએ કહ્યું હતું.
વિમાનના ભાડાં તેમ જ પ્રવાસીઓની બૅગની સંખ્યા પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
પ્રથમ દિવસે એટલે કે પચીસમી મેએ ઍરલાઈન્સોને તેની ક્ષમતા કરતા ત્રીજા ભાગના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
વિમાનના ઉડ્ડયનના બે કલાક અગાઉ પ્રવાસીઓએ વિમાનમથક પર હાજર થઈ જવું પડશે અને વૅબ ચૅક-ઈન પૂરું કરનારને જ ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પ્રવાસીને માત્ર એક જ બૅગ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને વિમાનમાં તેમને ભોજન પીરસવામાં નહીં આવે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન પ્રવાસીએ સતત માસ્ક પહેરી રાખવો પડશે.
ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિ વિમાનપ્રવાસ નહીં કરી શકે તેમ જ કોરોના પૉઝિટિવ ધરાવતી વ્યક્તિને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ તેમ જ બીમાર લોકોને વિમાનપ્રવાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વિમાનના ઉડ્ડયનની ૬૦ મિનિટ પહેલા પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશ આપવાનો આરંભ કરવામાં આવશે અને ઉડ્ડયનની ૨૦ મિનિટ અગાઉ તે બંધ કરી દેવામાં આવશે.
પચીસ મે થી ડૉમેસ્ટિક ફ્લાઈટ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ બુધવારે કરી હતી.
૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ ઍપ ફરજિયાત નહીં હોય, એમ જણાવતાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)એે કહ્યું હતું કે ટર્મિનલની ઈમારતમાં પ્રવેશતા અગાઉ પ્રવાસીઓ માટે શહેરના મુકરર કરેલા સ્ક્રિનિંગ સેન્ટરમાં આવેલા સ્ક્રિનિંગ ઝોનમાં થર્મલ સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત હશે. ઍરપોર્ટ ઑપરેટરોએ પ્રવાસીઓેને ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપતા અગાઉ તેમનાં બૅગેજના સૅનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.