ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.
- આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
- રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
- રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
- બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
- સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી
રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

























