મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.
આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.
ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર
૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો
૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો
૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ
૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.
૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
——————————
કેવી હશે સજા
૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે
૨. સજાની મર્યાદા વધારવામા આવી છે
૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
——————————–
કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના
૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.
૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.
૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.
૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.
૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 23 વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ-2018માં ભારત માટે 4 ×400 મીટર રીલેદોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણીએ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને 4 ×400 મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.
ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સી.વી. સોમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ મુજબ સરિતા ગાયકવાડને ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક આપવામાં આવી છે જે એક ક્લાસ વન રેન્ક છે. તે આઈપીએસ તરીકે નામાંકન મેળવી શકશે અને એડીજીપી ક્રમ સુધી પહોંચી શકે છે. સરકાર તેમને પોલીસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છા પાઠવે છે. રાજ્યના તમામ ખેલાડીઓ માટે આ એક મોટું પ્રોત્સાહન છે
આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્વીટર પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન’
જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ
જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત
ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.
જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.
છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું
ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.
આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે
2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.
ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા
તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.
છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.
આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો
એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.
એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.
સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.
હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.
તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.
કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.
આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.
તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.
દિગ્ગજોનીસંગીતાંજલિ
* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.
*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.
સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.
પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે
વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.
મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું 127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.
ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ‘મહિલા કલ્યાણ યોજના’ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.
‘મહિલા કલ્યાણ યોજના’ અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.
રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.
રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.
શિવસેના સાથેનો વિવાદ વકરતા કંગનાને Y કેટેગરીની સુરક્ષા
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંગના રણૌતને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા આપવામાં આવતા વીઆઈપી લોકો માટે 11 સુરક્ષાકર્મીઓને ખડેપગે રાખવામાં આવે છે. 11 સુરક્ષાકર્મીઓમાં એક અથવા બે કમાન્ડો અને બે પીએસઓનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે Y કેટેગરી અંતર્ગત 11થી વધારે લોકોને Y કેટેગરીની સુરક્ષા આપી હતી. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માનો સમાવેશ થાય છે.
સુશાંત સિંહ રાજપૂતના કેસના મામલે લોકપ્રીય અભિનેત્રી કંગના રણૌત અને શિવસેના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. બંને એકબીજા પર વાક્બાણ છોડીને પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન કંના રણૌત 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા થયેલા કેટલાક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને હવે કંગનાને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ જ્યારે કંગના રણૌત મુંબઈ એરપોર્ટ પર ઉતરશે ત્યારે સુરક્ષાકર્મીઓ તેની સાથે હશે.
દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.
ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.
હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.
નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.
હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ
જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.
કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.
પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.
હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.