
એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.
તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.
આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.
બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.
આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

























