લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.
સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.
ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.
અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.
ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.
ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.
રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.
આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.
રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.
લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.
આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.
















