ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સારી શરુઆત બાદ મુશ્કેલીમાં મુકાયુ છે.
ભારતીય ઓપનરોએ 80 રનની પાર્ટનરશિપ કર્યા બાદ ગિલ, પૂજારા અને કોહલીએ ટપોટપ વિકેટ ગુમાવી હતી.તેમાં પણ પૂજારા અને કોહલી ઝીરો પર આઉટ થયા હતા.કોહલીને ઝીરો રન પર સ્પિનર એઝાઝ પટેલની બોલિંગમાં વિવાદાસ્પદ રીતે એલબીડબલ્યુ આઉટ અપાયો હતો.
મળતી વિગતો પ્રમાણે ફિલ્ડ અમ્પાયરે કોહલીને એલબીડબલ્યુ આઉટ આપ્યા બાદ કોહલીએ રિવ્યૂ લીધો હતો.આ નિર્ણય વિવાદાસ્પદ લાગ્યો હતો.કારણકે બોલ બેટ પર અથડાઈને પેડ પર ગયો હોવાનુ લાગતુ હતુ.જોકે રિવ્યૂમાં થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો.
નિર્ણયથી નાખુશ ભારતીય કેપ્ટન ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી પાસે ગયો હતો અને બંને વચ્ચે ખાસો સમય દલીલબાજી ચાલી હતી.જોકે છેવટે કોહલીએ પેવેલિયનનો રસ્તો પકડવો પડ્યો હતો.કોહલી ચાર બોલ રમીને ઝીરો પર આઉટ થયો હતો.
સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.
સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું
સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.
સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મહારાષ્ટ્રએ ઓમિક્રોન વેરિયંટ રાજ્યમાં ના પ્રસરે તે માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 30 નવેમ્બરના રોજ એક આદેશ બહાર પાડ્યો છે. જે અનુસાર, મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરનારા કોઈપણ વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ, જો વેક્સિન ના લીધી હોય તો તેમણે રાજ્યમાં એન્ટ્રી કરવાના 48 કલાક સુધીમાં કરાવેલો RTPCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સરકારના આ અંગેના ઓર્ડરમાં જણાવાયું છે કે કોરોનાના નવા વેરિયંટને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 અંતર્ગત તાત્કાલિક અસરથી વેક્સિન અથવા RTPCR ટેસ્ટ એમ બે વિકલ્પ આપી દેવાની સાથે તેના પર અમલ પણ શરુ કરી દીધો છે. બહારના રાજ્યોમાંથી મહારાષ્ટ્રના કોઈપણ એરપોર્ટ પર લેન્ડ થનારા પ્રવાસીને પણ 48 કલાક સુધીમાં થયેલો RTPCR ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. જોકે, આ નિયમ જેમણે રસીના બંને ડોઝ નથી લીધા માત્ર તેમના પર જ લાગુ પડે છે.
સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.
જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.
આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.
અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.
આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.
આજ Dt.29/11/21થી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.
શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે.
રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.
કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે.
લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.
ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.
કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.
સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો.
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા.
શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર 360 એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે તેમની 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર નથી.
ડી વિલિયર્સે કહ્યું,’ આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, 37 વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ‘હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.
કોહલીની ડિવિલિયર્સ માટે ભાવૂક પોસ્ટ
તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-1 ફેન રહીશ.
‘RCBથી દૂર રહેવું સારું નથી લાગતું’ RCBના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મેં RCB સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. 11 વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું RCB મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર RCB પરિવારનો આભાર માનું છું.
ડી વિલિયર્સ વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યા છે દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જોઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.
ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 114 ટેસ્ટ, 228 ODI અને 78 T20 ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 47 સદી ફટકારી છે.
વિક્રમ સંવત ૨૦૭૮માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
વિક્રમ સંવત ૨૦૭૮માં કાર્તિક સુદ પૂર્ણિમાને ૧૯ નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ સવારે ૧૧ કલાક ૩૨ મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે ૧૨ કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય બપોરે ૨ કલાક ૩૨ મિનિટ ૫૫ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે ૪ કલાક ૧૭ મિનિટ ૭ સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે ૫ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ ૩ કલાક ૨૮ મિનિટ ૨૪ સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ ૬ કલાક ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે.
ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ ૨૦૨૨ માં પાંચ ગ્રહણ છે તેમ શરૃના ૪ ગ્રહણ દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આથક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે. ‘
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો પાંચ વિકેટે રોમાંચક વિજય થયો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ 48 રન તેમજ સૂર્યકુમાર યાદવે 62 રનની તાબડતોડ ઈનિંગ રમતા ભારતે બે બોલ બાકી હતા ત્યારે જ ન્યૂઝીલેન્ડનો 165 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ક્રિકેટની તમામ ફોરમેટમાં ન્યૂઝીલેન્ડ સામે સતત સાત મેચ હારવાના સીલસીલા પર ભારતે બ્રેક મારી દીધી હતી. ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારત કિવિઝ સામે 1-0થી આગળ રહ્યું છે.
ભારત માટે આ ટી20 અનેક રીતે મહત્વની હતી. સૌપ્રથમ વખત ટી20 ઈન્ટરનેશલ મેચમાં ભારતીય ટીમ તેના નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કાયમી કેપ્ટન રોહિત શર્મા સાથે ઉતરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને વેંક્ટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગ્રીન ટોપ પીચ પર ચેઝ કરવું સરળ રહેવાનો રોહિત શર્માનો દાવ કેટલાક અંશે સફળ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ ભૂવનેશ્વર કુમારે ઝાટકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર ડેરિલ મીચેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર માર્ટિન ગુપ્ટિલે 70 રન અને માર્ક ચેપમેને 63 રનની ઈનિંગ રમી હતી અને બન્ને વચ્ચે બીજી વિકેટની 110 રનની ભાગીદારી થઈ હતી. રવિચંદ્રન અશ્વિને મેચની 14મી ઓવરમાં ચેપમેનને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ તે જ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ કરી અશ્વિને કિવિઝને ત્રીજો આંચકો આપ્યો હતો. અશ્વિન ઉપરાંત ભૂવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સીરાજ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી. પ્રથમ વિકેટ માટે કે એલ રાહલુ (15) અને રોહિત શર્મા (48) વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કે એલ રાહુલ મીચેલ સેન્ટરના બોલ પર ચેપમેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 40 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા અને ભારત માટે જીતનો પાયો નાંખ્યો હતો. રિષભ પંચ 17 રને અણનમ રહ્યો હતો. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન ટીમ સાઉથી, મિચેલ સેન્ટનર અને ડેરિલ મિચેલે એક-એક વિકેટ લીધી હતી. ભારતે અંતિમ છ ઓવરમાં 51 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર (5) અને વેંક્ટેશ ઐય્યર (4)નો સમાવેશ થયો હતો. કિવિ ટીમે 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા જે તેમને ભારે પડ્યા હતા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 166 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. હવે 19મી નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે રાંચીમાં બીજી ટી20 મેચ રમાશે.
17/11/21 બુધવારે : India Vs Newzealand પ્રથમ ટી-૨૦ મૅચ
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બુધવારે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. જોકે, ભારે ઝાકળને કારણે ટૉસ જિતનાર ટીમને વધુ લાભ મળવાની શક્યતા નહિવત છે.
આઠ વર્ષ બાદ જયપુર બુધવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચનું યજમાનપદ સંભાળશે. ‘પીન્ક સિટી’ તરીકે જયપુર આવનારાઓને ઠંડીના ચમકારાનો અનુભવ થશે. ટૉસ જિતનાર ટીમને પ્રથમ ઈનિંગમાં લાભ મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટી-૨૦ મૅચ હોવાને કારણે આ પીચ પર મોટો સ્કૉર નોંધાય તેવી શક્યતા છે.
મૅચના દિવસે અમે ઝાકશવિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું એમ અધિકારીઓએ કહ્યું હતું. જોકે, ઝાકળની અસર ખૂબ જ મર્યાદિત હશે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતાં મે મહિનામાં આઈપીએલ રદ કરવામાં આવ્યા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થશે. સ્ટેડિયમમાં પ્રવેશવા વ્યક્તિ ઓછામાં ઓછું આંશિક વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ. વૅક્સિનેશન ન કરાવનાર વ્યક્તિ આરટી-પીસીઆરનો નૅગેટિવ રિપોર્ટ દેખાડી સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.