ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક ૪,૭૦૬ પર પહોંચ્યો છે અને એ સાથે જ ભારતે આ મામલે ચીનને પાછળ પાડી દીધું છે. શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાને કારણે વધુ ૧૭૫ જણનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના નવા ૭,૪૬૬ કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના કેસને મામલે ભારતે તુર્કીને પણ પાછળ પાડી દીધું છે અને આ સાથે જ ભારતે કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિશ્ર્વના દેશોમાં નવમું સ્થાન મેળવી લીધું છે.
ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪,૬૩૮ જણનાં મૃત્યુ થયાં હોવા ઉપરાંત કોરોનાના કુલ ૮૪,૧૦૬ કેસ નોંધાયા છે. ભારતમાં પ્રથમ જ વાર એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૭,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. બીવીસ મેથી દેશમાં દરરોજ કોરોનાના ૬૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. ભારતમાં કોરોનાના ૮૯,૯૮૭ સક્રિય કેસ છે તો અત્યાર સુધીમાં ૭૧,૧૦૫ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી વિદેશ સ્થળાંતર કરી ગયો છે.
મતલબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨.૮૯ ટકા દરદી સાજા થઈ ગયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર ૨૯ મે સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં દેશમાં કુલ ૩૪,૮૩,૮૩૮ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૭૦૬ મૃત્યુ થયાં છે. અને ૧,૯૮૨ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે તો ગુજરાત ૯૮૦, મધ્ય પ્રદેશ ૩૨૧, દિલ્હી ૩૧૬, પ. બંગાળ ૨૯૫, ઉત્તર પ્રદેશ ૧૯૭, રાજસ્થાન ૧૮૦, તમિળનાડુ ૧૪૫, તેલંગણા ૬૭, આંધ્ર પ્રદેશ ૫૯, કર્ણાટક ૪૭, પંજાબ ૪૦, જમ્મુ-કાશ્મીર ૨૭, હરિયાણા ૧૯, બિહાર ૧૫, ઓડિશા અને કેરળ પ્રત્યેક ૦૭, હિમાચલ પ્રદેશ ૦૫, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઢ અને આસામ પ્રત્યેક ૦૪ તો મેઘાલય એક મૃત્યુ સાથે ત્યાર પછીના સ્થાને છે.