CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 37 of 41 - CIA Live

November 26, 2018
rummy-1280x720.jpg
1min5170

સન્ની લિયોનીનું નામ આવે એટલે સ્વાભાવિક છે કે પુખ્તવયના પુરુષોના ભવાં ચઢી જાય. સન્ની લિયોનીનું નામ જ્યારે પણ જાહેરમાં સભળાય કે વાંચવામાં આવે એટલે તરત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરે એવા લાખો નહીં કરોડો ચાહકો ભારતમાં છે. આવા સન્ની લિયોનીના ચાહકોએ આજરોજ તા.26મી નવેમ્બરે ટ્વીટર પર સન્ની લિયોનીને ફરીથી ટ્રોલ કરી છે.

નવાઇની વાત એ છે કે સન્ની લિયોનીનું નામ પડે એટલે કોઇ ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો, અંગ પ્રદર્શન, હોટ સીન વગેરે લઇને આવી રહી હશે અગર તો આઇટમ શોંગ કર્યું હશે, પણ આનાથી વિપરીત સન્ની લિયોની તા.26મી નવેમ્બર 2018ના રોજ ટ્વીટર પર ગંજીફા (પ્લેઇંગ કાર્ડસ)ની રમી રમતની એપ્લિકેશન માટે ટ્રોલ થઇ છે.

#RummyWithSunny ટ્વીટર પર આ ટેગલાઇન એટલી બધી ટ્રોલ થઇ રહી છે, જેમાં સન્ની લિયોની દ્વારા રમી રમતની મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. એપ્લિકેશન લોંચ કરનારાઓનો દાવો છે કે આ વિશ્વની સૌથી મોટી રમતની એપ છે. બિલકુલ ફ્રી ડાઉનલોડમાં ઉપલબ્ધ #RummyWithSunny રમતમાં કહેવાય છે કે રમનારાઓને રોજેરોજ બોનસ પોઇન્ટસ પણ આપવામાં આવે છે. અન્ય ગેમ્સમાં મળતા બોનસ કરતા વધું બોનસ આપીને #RummyWithSunny એપને વધુ ચાહક પ્રિય બનાવવામાં આવી છે.

સન્ની લિયોની હાલમાં આ #RummyWithSunny ગેમ એપનું પ્રમોશન કરી રહી હોઇ, તેના ચાહકોએ તેને રમીની રમત માટે ટ્રોલ કરી છે.

November 22, 2018
rajkot-municipal-corporatio.jpg
1min4550
  • ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનો મનપા દ્વારા પ્રારંભ
  • આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
  • મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેરમાં ફેલાયેલા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કમાંથી વહેતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ થકી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું કર્યા પછી એ પાણીનો રીયુઝ સિંચાઈ માટે શરૂ કર્યો છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.

મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

November 20, 2018
trafic.png
1min3610
  • ઝડપી ડ્રાઇવિંગ
  • ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ
  • સિગ્નલ તોડવી
  • વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો
  • ઓવરલોડિંગ
  • કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર
  • ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં જો તમે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતાં પકડાયા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઇ શકે છે. મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે રાજ્યમાં પરિપત્ર જાહેર કરીને એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ગુજરાત સરકાર ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે શેહશરમ રાખી રહી છે અથવા તો પોલીસ ભ્રષ્ટાચાર આચરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કામ લેતી નથી.

હાઇવે ડીસીપી રુપાલી ઓંબુરેએ આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પરિપત્ર નો અમલ હાલમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ કરવામાં આવી રહ્યો છે, તેમાં પણ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર સૌથી વધુ નિયમોનો ભંગ થઇ રહ્યો હોવાથી અત્યાર સુધી 60 કરતાં વધુ કેસ નોંધાયા છે અને નિયમોનો ભંગ કરનારાના લાઇસન્સને જપ્ત કરીને સ્થાનિક આરટીઓમાં મોકલવામાં આવશે અને અમુક પ્રક્રિયા બાદ તેમના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં છ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સ્થાનિય આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ પરિપત્રમાં ઝડપી ડ્રાઇવિંગ, ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ, સિગ્નલ તોડવી, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો, ઓવરલોડિંગ, કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે આ ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવશે.

તેમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક અને અન્ય હાઇવે પર આ નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તેમાંય અત્યાર સુધી આ જીઆર અંતર્ગત સૌથી વધુ એટલે કે 60 કેસ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર નોંધાયા હતાં. મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર આ સંબંધિત ‘ઝીરો ટોલરન્સ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્ય હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે.

હાઇવે એસપી વિજય પાટીલના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા આ પરિપત્રને હાલ સુધી લાગૂ કરાયો નહોતો, પણ દંડ ભરનારા લોકો પર તેની અસર થતી ન હોવાને કારણે નિયમોને તોડનારા લોકોને દંડ ફટકારવાની સાથે લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગથી દૂર રહેવું પડશે તો નિયમનો ભંગ કરનારા લોકોને પાઠ ભણાવી શકીશું.

November 17, 2018
diamondsurat-1280x720.jpg
1min4220

વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી. હાલમાં દિવાળી વેકેશન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં હજુ તા. 1 ડિસેમ્બર 2018 સુધીનો સમય લાગી જાય તેમ જણાય આવે છે. સુરતમાં સૌથી પહેલા મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતા હજું પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે, આ રૂએ નાના હીરાના કારખાનાઓને કામ મળતા હજુ પખવાડીયું નીકળી જાય તેમ છે.

સુરતમાં દિવાળી પહેલાથી મંદી હતી, અમદાવાદમાં વિપરીત સ્થિતિ

દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી. દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. આમ, સુરતના જ હીરા ઉદ્યોગના કારખાનાઓમાં કારીગરો માટે કામ મળતું નથી એ બાબત પણ હવે તપાસનો વિષય બની છે.

સુરતના હીરા ઉદ્યોગના મોટા યુનિટોમાં તા. 20 નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો 25 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. એવું જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.

સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ₹80,000 કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.

November 16, 2018
nuts_burn.jpg
1min5360

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 10, 2018
surat.jpeg
1min19190

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min7700

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 7, 2018
gjepc.jpg
1min10300

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની  અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.

November 5, 2018
modij.jpg
1min16750

દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.

મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

 

ઇન્ટરનેશનલ લેવલ  પર પણ મોદી જેકેટ્સની ધૂમ

ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.

ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ  ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.

દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

November 4, 2018
surat.jpg
1min14730

દિવાળીના આગમન આડે 3-4 દિવસ બાકી છે, હાલ દરમિયાન કંદીલ, રંગોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફટાકડા, નવા કપડાં, મીઠાઇ વગેરેની ખરીદી માટે શહેરની બજારોમાં લોકોનો ધસારો, ગીર્દી વધતી જોવા મળી રહી છે. આજે તા.4 નવેમ્બર 2018ને રવિવારે તો સવારથી જ ઘોડદોડ, વરાછા રોડ, રાજમાર્ગ, ડુમસ રોડના મોલ્સ, ચૌટા બજાર, એલ.પી. સવાણી રોડ, આનંદ મહલ રોડ, ભાગળ, કતારગામ, ઉધના મેઇન રોડ વગેરેમાં ખરીદદારનો ધસારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ લોકો ખરીદી કરવામાં પાછીપાની કરતા નથી. જોકે, તેમ છતાં બજેટ ધ્યાનમાં રાખીને જ સામાનની ખરીદી કરી રહ્યા છે.

બીજી બાજુ ચૌટા બજાર માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસ્તુઓના ભાવ વધ્યા હોવાથી મોંઘવારીને ધ્યાનમાં લઇને તેઓ મર્યાદિત માત્રામાં ખરીદી કરે છે. તે સિવાય ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ બિઝનેસને તેનો ફટકો પડે છે.

બજારમાં રેડિમેડ રંગોળી સહિત વિવિધ પ્રકારની રંગોળી ઉપલબ્ધ છે. આ રંગોળીઓ લેવા માટે મહિલાઓની ગીર્દી જોવા મળે છે. હૉલસેલ માર્કેટમાં રંગોળીના ભાવ 20 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય છે, જ્યારે રંગોળીના રંગના નાના પાકીટ દસ-દસ રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે. જોકે, અમુક રીટેલરની દુકાનમાં તે 15 રૂપિયાના ભાવે પણ વેચાઇ છે.

કંદીલની વાત કરીએ તો બજારમાં ચાઇનીઝ, કાગળ, કાપડ અને બાંબુથી બનાવેલા ઇકોફ્રેન્ડલી કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જોકે, સૌથી વધુ બોલબાલા કાગળના કંદીલની છે. અન્ય બનાવટની તુલનામાં લોકો કાગળના કંદીલ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાના નાના કંદીલ 120 રૂપિયા ડઝનથી લઇને સાઇઝ અને મટીરિયલના હિસાબે રૂ.100થી લઇને રૂ.5000ની રેન્જમાં રંગબેરંગી કંદીલ બજારમાં છે.

દીવાની ખરીદી વગર દિવાળીની ઉજવણી અધૂરી છે. હાલમાં માર્કેટમાં માટીના બનાવેલા સાદા અને પારંપારિક દીવડાઓથી લઇને કાચના, મેટલના, પીઓપીના અને એલઇડી લાઇટવાળા ફેન્સી દીવડાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 10થી લઇને 300 રૂપિયા સુધીમાં છે. અન્ય સજાવટની વસ્તુ જેમ કે લાઇટિંગ, તોરણ, શરણગારેલી પૂજાની થાળી વગેરે સહિત મીઠાઇ, નવા કપડાં વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દિવાળીને ધૂમધામથી ઉજવવા ફટાકડાની ખરીદી કરવાનું પણ લોકો ચૂકતા નથી. હાલમાં માર્કેટમાં અનાર, ચકરી, રોકેટ, ફૂલઝડી, લક્ષ્મી બૉમ્બથી લઇને કલરફુલ ફટાકડા અને આકાશ તારા સુધીના ફટાકડા માર્કેટમાં ઉપલબ્ધ છે, જે 100 રૂપિયાથી લઇને પાંચથી છ હજારની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી મળી હોવાથી લોકો ફટાકડાની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહ્યા હોવાનું બજારમાં ચિત્ર છે.

રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ભારતીય માટે આ એક મહત્ત્વપૂર્ણ પર્વ હોવાથી લોકો દિવાળીની ખરીદી ધામધૂમથી કરી રહ્યા છે. અહીં થતી લોકોની ભીડને જોતા મંદીનો માહોલ હોય તેવું લાગતું નથી.

ટૂંકમાં કહીએ તો સીઆઇએ લાઇવની ટીમ જ્યાં જ્યાં ફરી છે પાછલા દિવસોમાં ત્યાંં વેપારી હોય કે ગ્રાહક વર્ગ હોય એક સૂર એ જ સાંભળવા મળ્યો કે દિવાળી ખરી પણ પહેલા જેવી નહીં.