સામાન્ય રીતે બહુ સમૃદ્ધ માનવામાં આવતા મરાઠા સમાજના 93 ટકા પરિવારની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોવાનું કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે. લગભગ 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે જીવે છે.

સ્ટેટ ઑબીસી કમિશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મરાઠા સમાજને શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે પછાત જણાવવામાં આવ્યો છે. રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ છે, જેમાંથી 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નભે છે. સરકારી નોકરીઓમાં તેમનું માત્ર છ ટકા પ્રતિનિધિત્વ છે અને તેમાં પણ ડી ક્લાસની નોકરીઓમાં વધારે જોવા મળે છે. જે મરાઠાઓ શહેર તરફ વળ્યા છે, તેમાંથી મોટા ભાગના માથાડી કામદાર કે ઘરકામમાં જોડાયેલા જોવા મળે છે. કમિશને 21 સ્થળે જાહેર સુનાવણી રાખી હતી.
- રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ
- 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે
- 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર
- સરકારી નોકરીઓમાં માત્ર છ ટકા પ્રતિનિધિત્વ
- ડી ક્લાસની નોકરીઓમાં વધારે
- 1,93,651 વ્યક્તિગત નિવેદન
- 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન
- 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ
- 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં
- આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા
- 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા
- 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના
1,93,651 વ્યક્તિગત નિવેદન, 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન, 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ કમિશનને આપવામાં આવ્યા હતા. મોટા ભાગના નિવેદનોએ મરાઠા સમાજને સ્વતંત્ર વર્ગમાં અનામત આપવા જણાવ્યું હતું જ્યારે 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં હતા. આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા છે, જેમાંથી સીધી ભરતી દ્વારા માત્ર આ પદ સુધી પહોંચેલા 0.27 ટકા જ છે. 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા હતા.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના હતા.
સૌથી અગત્યનો મુદ્દો મહારાષ્ટ્રના પોલિટીક્સમાં મરાઠાઓનું પ્રભુત્વ
વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો
18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો મરાઠા સમાજના
1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા
288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત
વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો તે જણાવે છે કે રાજ્યમાં આ સમાજ કેટલો વગદાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો પસાર કરી દરેક પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમાજે પણ આને વધાવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી ઊંચો હાથ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનો જ રહેશે. રાજ્યની 13 કરોડ જનતામાંથી 30 ટકા મરાઠા સમાજ છે અને અત્યાર સુધીના 18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો આ સમાજે આપ્યા છે. 1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા રહી છે. રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત બાજી ફેરવી શકે છે. જોકે જેઓ મરાઠા ક્વૉટાની માગ કરતા હતા તેમનું કહેવાનું હતું કે મરાઠા સમાજનો બહુ નાનો વર્ગ છે જે વર્ચસ્વ અને સમૃદ્ધિ ધરાવે છે. મોટા ભાગનો સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત છે.
મરાઠા સમાજના લગભગ 40 જેટલા યુવાને આત્મહત્યા કરી હતી.
સરકારે હાલમાં જાહેર કરેલા અનામતને પણ ઘણાં ચૂંટણી નજીક આવતા કરવામાં આવેલા નિર્ણય તરીકે લેખાવે છે. જો કાયદાને કોઈ પડકારશે અને તે કોર્ટમાં ઊભો રહી શકશે ત્યારે જ ખરેખર શ્રેય લઈ શકાય છે કે કેમ તે નક્કી થશે.
હાલમાં રાજકારણીઓ શ્રેય મેળવવા માટે પડાપડી કરે છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કૉંગ્રેસે સમાજ માટે અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ નિર્ણય માટે મરાઠા સમાજે કરેલા આંદોલનને પણ શ્રેય આપ્યો હતો. તેમના લાંબા સંઘર્ષના પરિણામસ્વરૂપે આ અનામત કરાવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે આંદોલનકારીઓની ભૂખ હડતાળ તોડાવી હતી. આ સાથે જેમના પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમના ગુના પરત લેવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી. એનસીપી નેતા ધનંજય મુંડેએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને મરાઠા સમાજની એકતા અને સંઘર્ષને લીધે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય પ્રધાનમંડળે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. ભાજપે તમામ પદાધિકારીઓને સરકારના આ નિર્ણયને વધાવવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન ઑબીસી સંઘર્ષ સમન્વય સમિતિએ મરાઠા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. સરકારે ખાતરી આપી છે કે મરાઠા સમાજને આરક્ષણ આપતા અન્ય આરક્ષણને કોઈ નુકસાન નહીં પહોંચે, પરંતુ સમિતિનું માનવાનું છે કે આ શક્ય નથી અને સરકારનો આ નિર્ણય તેમના આરક્ષણને નુકસાન પહોંચાડશે. આ સાથે ભાજપે આવનારી ચૂંટણીમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે, તેમ પણ સમિતિના પ્રમુખ જે ડી તાંડેલે જણાવ્યું હતું. અન્ય એક ઑબીસી નેતાએ જણાવ્યું હતુ કે સરકારે જાતિ પ્રમાણે કોઈ ગણતરી કરી નથી, આથી મરાઠા સમાજ 30 ટકા છે, તે માનવું યોગ્ય કહેવાશે નહીં.