
- રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
- એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
- સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર
સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.
બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે
એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.
ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે
2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.
શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.
મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે
આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.
2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.
ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.
ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.
ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.
ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.
મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.
ગત એપ્રિલ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની વસૂલી માર્ચ મહિનાના રૂ. 1.06 લાખ કરોડ સામે વધીને રૂ. 1.13 લાખ કરોડની વિક્રમ સપાટીએ રહી હોવાનું નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.
મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલ મહિનામાં જીએસટી પેટેની કુલ વસૂલી રૂ. 1,13,865 કરોડની સપાટીએ રહી હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. 21,163 કરોડની, સ્ટેટ જીએસટી પેટેની રૂ. 28,801 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ. 54,733 કરોડ અને રૂ. 9168 કરોડ સેસનો સમાવેશ થતો હતો. ગત 30 એપ્રિલ સુધીમાં વેચાણનાં રિટર્ન જીએસટીઆર3બી ફાઈલ કરનારની સંખ્યા 72.13 લાખની રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2019-20ના પહેલા અથવા તો એપ્રિલ મહિનામાં થયેલી જીએસટીની વસૂલી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. તેમ જ એપ્રિલ 2018ની સરખામણીમાં થયેલી રૂ. 1,03,459 કરોડની વસૂલી સામે 10.05 ટકાની આકર્ષક વૃદ્ધિ થઈ હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારે આઈજીએસટીનાં રેગ્યુલર સેટલમેન્ટમાંથી રૂ. 20,370 કરોડ સીજીએસટી પેટે અને રૂ. 15,975 કરોડ એસજીએસટી પેટે સેટલ કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે રહેલા બેલેન્સમાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની 50:50ની સરાસરીની જોગવાઈ અનુસાર સરકારે રૂ. 12,000 કરોડ પણ સેટલ કર્યા હતા.
એકંદરે એપ્રિલ મહિનામાં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેસૂલી આવક સીજીએસટીની રૂ. 47,533 કરોડની અને એસજીએસટીની રૂ. 50,776 કરોડની રહી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકાર સીજીએસટી પેટે રૂ. 6.10 લાખ કરોડ, 1.01 લાખ કરોડ કોમ્પેન્શેસન સેસ અને આઈજીએસટી પેટે રૂ. 50,000 કરોડની વસૂલીની ધારણા મૂકી છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018-19માં સીજીએસટી વસૂલી રૂ. 4.25 લાખ કરોડ રહી હતી, જ્યારે કોમ્પેન્સેસન સેસની વસૂલી રૂ. 97,000 કરોડ કરતાં વધુ રહી હતી. વધુમાં ગત મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ 2018-19ની સરેરાશ માસિક રૂ. 98,114 કરોડની સરખામણીમાં 16.05 ટકાની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.


ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.