સુરતના નવનિયુક્ત કલેક્ટર આયુષ ઑક દ્વારા તા.29મી જૂને જારી કરવામાં આવેલા એક આદેશમાં શહેરના તમામ પ્રકારના તબીબોને જણાવ્યું છે કે કોરોના કેસોને ઝડપભેર શોધી કાઢવાના પ્રયાસોના ભાગરૂપે હવે પછી કોરોનાના શંકાસ્પદ દર્દીઓને તપાસનારા દરેક તબીબોએ જે તે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની જાણકારીનો રેકોર્ડ રાખવાનો રહેશે અને શંકાસ્પદ દર્દીઓ અંગેની માહિતી 24 કલાકમાં નિર્ધારિત સરકારી અધિકારીને કરવાની રહેશે. કલેક્ટરે સુરત શહેરના તમામ તબીબોને આ કામગીરીનું પાલન કરવા માટે જણાવ્યું છે. તેમણે કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો રેકોર્ડ રાખીને તેની જાણ કરવા માટે એક પ્રીસ્ક્રાઇબ ફોર્મ પણ આપ્યું છે, જે ભરીને તબીબોએ શંકાસ્પદ કે કન્ફર્મ કોરોના કેસોનું રિપોર્ટિંગ કરવાનું રહેશે.
સુરતના નવનિયુક્ત કલેક્ટર આયુષ ઑકે આ આદેશ બહાર પાડ્યો
29મી જૂન 2021ના રોજ તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી
In order to strengthen active surveillance for early detection of COVID19 cases, screening of cases by medical practitioners has been made mandatory …Everyone is requested to cooperate. @cmoguj@Ghfwpic.twitter.com/spoCZNj2Vy
તા.28મી જૂને મળેલી પ્રોસેસર્સ એસોસીએશનની મિટીંગમાં દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ પ્રોસેસર્સ (ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ)એ ફેબ્રિક ઉત્પાદનમાં 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે સવાલ એ છે કે કયા પ્રોસેસર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવનો અમલ કરશે. બજારના જાણકારોનું કહેવું છે કે પ્રોસેસર્સે ભલે 10 ટકા લમસમ ભાવ વધારો કર્યો હોય પરંતુ, હાલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં આમેય 50 ટકા ઉપરાંતની પ્રોડકશન લોસ છે, જો હજુ ભાવ વધારો કરશે તો ટ્રેડર્સ પ્રોસેસિંગ માટે ગ્રે મોકલાવશે જ નહીં. સૂત્રો કહે છે કે શાણા પ્રોસેસર્સ એક તરફ પ્રોસેસર્સ એસોસીએશનની સાથે હોવાનું જણાવે છે અને બીજી તરફ પોતાના યુનિટમાં ભાવ વધારાનો અમલ નહીં કરીને પ્રોડકશન ચાલુ રાખશે એટલે કે બહોળા નફે વધુ વેપારની નીતિ અપનાવશે એમ જાણવા મળે છે. એવા પ્રોસેસર્સ ભાવ વધારો કરશે જેઓ મોનોપોલી પ્રોસેસિંગ કરી રહ્યા છે. જેમના વગર કામ અટકી પડે છે, એ સિવાય જનરલ પ્રોસેસર્સ હાલ તુરત ઓછા નફાથી કામ ચલાવશે પણ પ્રોસેસિંગમાં 10 ટકા ભાવ વધારો કરીને વેપાર ખોવવાની નીતિ નહીં અપનાવશે એમ જણાય રહ્યું છે.
એ પૂર્વે પ્રોસેસર્સ દ્વારા ટેક્ષટાઇલ પ્રોસેલિંગમાં વધારો દરમાં નહીં પરંતુ, બિલમાં એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇસ એસ્કેલેશન તરીકે નિર્દેશિત કરવામાં આવશે. ટેક્ષટાઇલ પ્રોસેસર્સના આ પ્રકારે મંદીમાં કરવામાં આવેલા ભાવ વધારાની અસર ટેક્ષટાઇલ ટ્રેડર્સ અને તેમના મારફતે સુરતમાં ઉત્પાદિત થતા કાપડ પર થશે. સુરતનું કપડું હવે વધુ મોંઘુ માર્કેટમાં પહોંચશે.
કોલસો, કલર, કેમિકલ, ડિઝલ બધામાં ભાવો વધ્યા છે પણ જો પ્રોસેસર્સ વધારશે તો મુશ્કેલી વધુ આવશે
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશના પ્રમુખ જીતુભાઇ વખારીયાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસર્સની સામાન્ય સભા મળી હતી. જેમાં છેલ્લા બે જ મહિનામાં કોલસાના ભાવોમાં થયેલા 40થી 45 ટકા જેટલા જંગી ભાવ વધારા ઉપરાંત કલર, કેમિકલ જેવા રો મટિરિયલમાં થયેલા ભાવ વધારાને કારણે ફેબ્રિક પ્રોસેસિંગમાં ઇનપૂટ કોસ્ટના પ્રતિ મીટરના દરમાં 13 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો હાલ તુરત તો પ્રોસેસર્સ તેમની આવકમાંથી ભોગવી રહ્યા છે. પરંતુ, હવે પછી ફેબ્રિક પ્રોસેસિંગના બિલમાં 10 ટકા એડિશનલ કોસ્ટ ઉમેરીને ટ્રેડર્સને બિલ આપવામાં આવશે. આ નિર્ણય સભામાં ઉપસ્થિત તમામ પ્રોસેસર્સ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.
જીતુભાઇ વખારીયાએ ઉમેર્યું કે કોલસાનો ભાવ બે મહિના અગાઉ પ્રતિ ટન રૂ.5 હજારની આસપાસ ચાલતો હતો જે વધીને હાલમાં રૂ.નવથી સાડા નવ હજાર જેટલો થઇ ગયો છે. પ્રોસેસર્સ માટે કોલસો એ મુખ્ય એનર્જી ઇંધણ છે અને તેના વગર મિલો ચાલી શકે નહીં અને પ્રોસેસર્સ આ ભાવ વધારો લાંબો સમય ભોગવી પણ શકે નહીં એટલે પ્રોસેસિંગ ચાર્જમાં કોઇ ભાવ વધારો ન કરતા એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇશ એસ્કેલેશ કોસ્ટ તરીકે બિલમાં ઉમેરી આપવામાં આવશે.
જેવી ક્વોલિટી એવો પ્રોસેસિંગ ચાર્જ, રૂ.4થી રૂ.40 પ્રતિ મીટરે લમસમ 10 ટકા વધારો
ટેક્ષટાઇલ પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારાનો અમલ કેવી રીતે થશે તે અંગે સ્પષ્ટતા કરતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને જણાવ્યું હતું કે કોઇ મિલ માલિકો રૂ.4 પ્રતિ મીટરે પણ ડાઇંગ કરે છે, કોઇ રૂ.15ના દરે પણ પ્રોસેસિંગ કરે છે અને કોઇ મિલ માલિક રૂ.45 પ્રતિ મીટરે પણ પ્રોસેસિંગ કરે છે એટલે તેની માર્કેટમાં શું અસર પડશે એ કહી શકાય નહીં. પ્રોસેસિંગ ચાર્જમાં ભાવ વધારો કરવાની જગ્યાએ દરેક ડાઈંગ પ્રિન્ટીંગ મિલને રો મટિરિયલ અને એનર્જી કોસ્ટમાં ભાવ વધારો નડે છે એટલે લમસમ 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભીવંડી, માલેગાવ, નવાપુરથી આવતા ગ્રેના જથ્થા પર પણ બ્રેક લાગી ગઇ
સુરત અને આસપાસના વિસ્તારોમાં ચાલતા કુલ 350 ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં અત્યાર સુધી સુરત ઉપરાંત બહારગામથી જેમકે નવાપુર, ભીવંડી, માલેગાંવ વગેરેના ટ્રેડર્સ દ્વારા પણ ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે આવતું હતું. સુરતના પ્રોસેસિંગ હાઉસ માટે આ પણ એક સારો બિઝનેસ હતો પરંતુ, હાલમાં બહારગામથી આવતા દૈનિક સરેરાશ જથ્થો 70 ટકા જેટલો ઘટી ગયો હોવાનો ઉકળાટ પણ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મંદીના સમયમાં ભાવ વધારાની નોબત
સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપર્ટસ કહે છે કે ભાવ વધારો કરવાની નોબત હાલ મંદી ચાલી રહી છે ત્યારે આવીને ઉભી છે, ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આ નિશાની સારી નથી. મંદીના આર્થિક ફટકામાં હાલ જે કામ મળી રહ્યું છે એ કામ પણ મળતું ઓછું થાય તેમ છે. હવે ટ્રેડર્સ ઓર્ડર મળે પછી જ ગ્રે ને પ્રોસેસિંગમાં મોકલશે. ટ્રેડર્સ સ્ટોક કરવાની જગ્યાએ બજારની ચાલના આધારે જ નવા ઓર્ડર આપશે સરવાળે આ બાબત પ્રોસેસર્સને જ હાનિકર્તા બની રહેશે.
ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગના અગ્રણી સેવંતી શાહ સાથે સફળ જીવનની સફર વિશે વાર્તાલાપ યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ર૪ જૂન ર૦ર૧ના રોજ વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશે વેબિનાર થકી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવંતી શાહે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવા ઉદ્યોગ સાહસિકોને જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપી તેમના જીવન વિશેની રસપ્રદ યાદો વર્ણવી હતી.
સેવંતીભાઇ શાહે સુરતના હીરા ઉદ્યોગે કરેલી કેટલાક પરિવર્તનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સુરતનો હીરા ઉદ્યોગ નવી ઉંચાઇએ પહોંચશે એમાં કોઇ શંકા નથી
સેવંતી શાહે જણાવ્યું હતું કે, મેટ્રીક બાદ મુંબઇ જઇને આગળ ભણવાનું નકકી કર્યુ હતું પણ સંજોગો એવા બન્યા કે આગળ ભણવાનું માંડી વાળી હીરાના ધંધામાં આવ્યા હતા. ગોપીપુરામાં હીરાની ઓફિસ હતી અને લંબેહનુમાન રોડ ઉપર કારખાનું હતું તે સમયે હીરાના ધંધામાં કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ ૧૯૮૮માં જ્યારે એન્ટવર્પમાં અન્ય હીરા ઉદ્યોગકારો સાથેની મિટીંગ મળી હતી તે સમયે હીરા ઉદ્યોગમાં વિશ્વ કક્ષાએ સારુ નામ ધરાવતા સ્થાનિક મહાનુભાવે એવું કહયું હતું કે હીરા ઉદ્યોગમાં હાલ બેલ્જીયમ જે લેવલે છે તે લેવલે ભારત આવતા પ૦ વર્ષમાં પણ આવી શકશે નહીં. મહાનુભાવની આ વાતને ચેલેન્જ સમજીને તે સમયે માત્ર મોટા અને મોંઘા હીરાની રફ લેવાનું નકકી કર્યું હતું અને મોટા હીરા બનાવવાની શરૂઆત કરી હતી.
જે સમયે તેમણે હીરા ઉદ્યોગમાં મોટા અને મોંઘા હીરા બનાવવાની શરૂઆત કરી હતી તે સમયે માત્ર મુંબઇમાં જ થોડા ઘણા પ્રમાણમાં મોટા હીરા બનતા હતા. ધીરે ધીરે હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ તેમના નવા કોન્સેપ્ટ સાથે જોડાતા ગયા હતા અને હીરા ઉદ્યોગ ડેવલપ થઇ ગયો. ત્યારબાદ તેમણે નવા કોન્સેપ્ટ સાથે સેન્ટ્રલ એર કન્ડીશન મોટી ઓફિસનું નિર્માણ કર્યું હતું. તે સમયે હીરાના સવાથી દોઢ લાખ જેટલા કારીગરો બેલ્જીયમ તથા ઇઝરાઇલમાં કામ કરતા હતા અને હવે આજે કારીગરો જ નહીં પણ સમગ્ર હીરા ઉદ્યોગ સુરત આવી ગયો છે.
તેમણે જ ફેકટરીમાં કર્મચારીઓને બપોરનું જમવાનું આપવાની શરૂઆત કરી હતી. એક પેકેટ એક હીરો સ્કીમ ચાલુ કરી હતી અને કર્મચારીઓ પાસે આઠ કલાક જ કામ કરવાનું નકકી કર્યું હતું. રત્નકલાકારોને બચત કરેલા નાણાં ભવિષ્યમાં કામ લાગી શકે તે માટે સૌપ્રથમ વખત પ્રોવિડન્ટ ફંડ કાપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જે કર્મચારીઓના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ગ્રેજ્યુઇટી આપવાની શરૂઆત કરી હતી. સાથે જ કર્મચારીઓને પેન્શન સ્કીમમાં આવરી લીધા હતા. કર્મચારીઓ માટે ઇન્કમ ટેકસના રિટર્ન ભરવાની સુવિધા ઉભી કરી હતી અને તેઓને ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનનો પણ પગાર આપવામાં આવે છે.
વર્ષ ર૦૦૮માં હીરા ઉદ્યોગમાં મોટાપાયા ઉપર મંદીનું વાતાવરણ સર્જાયું હતું. તે સમયે જ્યારે સમગ્ર હીરા ઉદ્યોગનું કામકાજ બંધ થઇ ગયું હતું ત્યારે પણ ફેકટરી ચાલુ રાખી હતી. કોઇપણ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો ન હતો અને પગાર ઘટાડવામાં પણ આવ્યો ન હતો. કર્મચારીઓએ પણ કવોલિટી પ્રોડકશન માટે ફેકટરી મેનેજમેન્ટના સૂચનોનું પાલન કરી મેનેજમેન્ટને સહકાર આપ્યો હતો. ત્યારબાદ થોડાક મહિના બાદ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી ગયો હતો. કોરોના કાળમાં પણ લોકડાઉન દરમ્યાન હીરાની ફેકટરીઓ બંધ રહી હતી તે સમયે પણ કર્મચારીઓને પગાર આપીને તેઓની તથા તેઓના પરિવારજનોની કાળજી રાખવામાં આવી હતી.
વિદેશમાં ઓફિસ રાખ્યા વિના અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને ઓનલાઇન સેલ કરતા હતા. હવે તો વિશ્વમાં હીરા માટે મોટામાં મોટું માર્કેટ મુંબઇ બની ગયું છે. વિશ્વના બધા જ હીરાના ખરીદદારો મુંબઇ આવે છે એટલે મુંબઇ ઓફિસ રાખીને ત્યાંથી બધો બિઝનેસ થાય છે. તેમણે કહયું કે, સુરતમાં હીરાનું મેન્યુફેકચરીંગ થતું હોય ત્યારે તેનું માર્કેટીંગ સુરતમાં કેમ ન થાય? તેવું વિચારીને આખરે હીરા બુર્સ શરૂ કરવાનું નકકી કર્યું હતું. આનાથી મુંબઇના હીરા બુર્સને કોઇ નુકસાન થશે નહીં. કારણ કે, હીરાના નાના વેપારીઓ માટે મુંબઇમાં મોંઘી ઓફિસ લઇને બિઝનેસ કરવાનું શકય ન હતું. આથી મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓ પણ સુરતમાં હીરા બુર્સથી બિઝનેસ કરી શકશે.
કેન્દ્ર સરકાર પણ ધંધા – રોજગારને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે હીરા બુર્સ વધારે સાર્થક થશે તેમ લાગી રહયું છે. આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ પણ ડેવલપ થઇ ગયું છે અને આંતરરાષ્ટ્રીય કનેકટીવિટીને કારણે વિદેશોની ફલાઇટ પણ સીધી સુરત આવતી થશે ત્યારે હીરા ઉદ્યોગ વધુ ઉંચાઇએ પહોંચશે. તેમણે કહયું કે, કોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગ ધમધમી રહયો છે. હવે વેપારીઓ ઉધારને બદલે રોકડમાં ધંધો કરતા થયા છે. આ બાબતને તેમણે વરદાનરૂપ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ હીરા ઉદ્યોગ નવી ઉંચાઇઓ સર કરશે તેવું ચોકકસપણે લાગી રહયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે કહયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂરલ ડેવલપમેન્ટ અને ગામડાની ઇકોનોમી વિશે એક વખત વાત થઇ હતી ત્યારે તેમને રસ પડયો હતો અને એ દિશામાં લાંબી ચર્ચા થઇ હતી. હીરા ઉદ્યોગમાં કાયદાના પાલન સાથે ધંધો કરી શકીએ છીએ ત્યારે હેલ્થ કેર સેકટરમાં પણ સિદ્ધાંતોના પાલન સાથે સારુ વાતાવરણ ઉભું કરવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું નકકી કર્યું હતું અને આવી રીતે વિનસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સમગ્ર વેબિનારનું સંચાલન માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સુપેરે પાર પાડયું હતું.
સુરતના ઉદ્યોગોનો વિકાસ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે તેઓ કરવા માટે પ્રયત્ન કરીશ હિમાંશુ બોડાવાળા
તા.24મી જુન 2021ની બપોરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદે સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન અને ટેક્ષટાઇલ એન્જિનિયર હિમાંશુ બોડાવાલાને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 52 વર્ષની વય ધરાવતા હિમાંશુ બોડાવાળા ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ અભ્યાસું અને ઉંડું ટેકનિકલ નોલેજ ધરાવે છે, તેઓ દાયકાઓથી ચેમ્બર ઓફ કોમર્સમાં વિવિધ જવાબદારીઓ અદા કરીને હવે વાઇસ પ્રેસિડેન્ટ પદે પહોંચ્યા છે. તેઓ કહે છે કે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો હાર્ડવર્ક કરી રહ્યા છે બહું જ સારી વાત છે હવે તેમાં સ્માર્ટ અને ટેકનિકલ અપગ્રેડેશન લાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા હિમાંશુ ઘોડાવાળા વીવીંગ ઇન્ડસ્ટ્રી ના આગેવાન બિઝનેસમેન છે તેમણે તેમની પ્રથમ પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો જે પણ ઉત્પાદન કે સેવા પ્રદાન કરે છે એને વૈશ્વિક ફલક પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહે તે માટે સતત પ્રયાસો કરીશું અને ઉદ્યોગોનું સર્વાંગી વિકાસ થાય એ મૂળભૂત જવાબદારીઓ અદા કરવા માટે કટિબદ્ધ છું.
24મી જૂન 2021ની બપોરનો ઘટનાક્રમ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આગામી રવિવારે યોજાનાર વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી આજે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી વાઇસ પ્રેસિડેન્ટ પડે કુલ ત્રણ ઉમેદવાર પૈકી બે ઉમેદવારોએ બે દિવસમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા બાકી રહેલા એક ઉમેદવાર વિવિંગ અગ્રણી હિમાંશુ ઘોડાવાળા ને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વાઈસ પ્રેસિડન્ટ પદ માટેની છેલ્લી બે ચૂંટણીમાં હારેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મીતીશ મોદીએ આજે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં પોતાના પુત્રને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે પત્ર લઈને મોકલ્યા હતા.
ચૂંટણી સમિતિએ પત્રની ખરાઇ કરીને મીતીશ મોદીનાં ઉમેદવારી પરત ખેંચવાનાં પત્રને માન્ય કરીને તેમની ઉમેદવારી રદ કરી હતી પરિણામે તા.24મી જૂન 2021ને બપોરે જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બાકી રહેલા એકમાત્ર ઉમેદવાર હીમાંશુ બોડાવાળાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ચેમ્બર માં એકતા જળવાઈ રહે એ માટે ઉમેદવારી પરત ખેંચી મિતિશ મોદી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાંથી મતદાનના ત્રણ દિવસ અગાઉ આજે ઉમેદવારી પરત ખેંચી લેનાર જાણીતા ચાર્ટડ અકાઉન્ટન્ટ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થામાં એકતા જળવાઈ રહે અને ઉદ્યોગનો વિકાસ ઝડપથી થાય તે માટે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે વખતોવખત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી તેમને જે જવાબદારી મળી છે તેને સુપેરે નિભાવી છે અને ભવિષ્યમાં જે જવાબદારી મળશે તે પણ નિભાવીશ.
ગુજરાત સરકારે આજે તા.19 જુન 2021ના રોજ રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓની સામૂહિક બદલીના કરેલા ઓર્ડરમાં કુલ 77 સનદી અધિકારીઓની બદલી તેમને નવી જવાબદારી સોંપી છે.
તા.19 જૂન 2021ના રોજ ટ્રાન્સફર પામેલા સનદી અધિકારીઓમાં સુરત કલેક્ટર, રાજકોટ કલેક્ટર તેમજ જામનગરના કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના ડીડીઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.
1991ની બેન્ચના એસ.જે. હૈદરને GSRTCના એમડી અને વાઈસ ચેરમેનના પદેથી ટ્રાન્સફર કરી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને 2005ની બેન્ચના હર્ષદકુમાર પટેલને GSRTCનો હવાલો આપવામાં આવ્યો છે. લાંબા સમયથી સુરત જિલ્લાના કલેક્ટર રહેલા ધવલ પટેલને ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે, તેઓ ગુડાના સીઈઓ તરીકે પણ જવાબદારી નિભાવશે.
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશનર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે. નેશનલ હેલ્થ મિશનમાં મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 2007ની બેન્ચના અધિકારી એમ.એ. પંડ્યાને દેવભૂમી દ્વારકાના કલેક્ટર બનાવાયા છે. આમંદના કલેક્ટર આર.જી. ગોહિલની ટ્રાન્સફર ગીર-સોમનાથમાં કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અરુણ બાબુને રાજકોટના કલેક્ટર બનાવાયા છે.
આજે તા.18મી જૂન 2021ની સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આમ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ, સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકાના વિસ્તારોમાં પડ્યો. આ ચાર કલાકના સમયગાળામાં ચોર્યાસી તાલુકામાં કુલ 100 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જીનજીવનને ખાસ્સી અસર પહોંચી હતી.
સુરત શહેરમાં આજે સવારના ચાર કલાક દરમિયાન 26મીમી અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે, ગઇ કાલે સાંજથી શરૂ થયેલા વરસાદમાં આજે સવારના વરસાદના આંકડા ઉમેરીએ તો કુલ 153 મી.મી. એટલે કે છ ઇંચથી વધુ પાણી સુરત શહેરમાં પડ્યું હતું. ગઇકાલે સાંજથી સુરત શહેર ઉપરાંત ચોર્યાસી તાલુકા તેમજ ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં અવિરતપણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.
સુરત કલેક્ટર કચેરી દ્વારા સંચાલિત વરસાદી કન્ટ્રોલ રૂમે જારી કરેલા આજે સવારના આંકડાઓની વિગત અહીં પ્રસ્તુત છે
આજે સવારથી એટલે કે પીકઅવર્સમાં જ વરસાદ અવિરતપણે જારી રહેતા નોકરી-વ્યવસાયે જવા માટે નીકળેલા લોકોએ ખાસ્સી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધંધાર્થીઓ માટે આજે શૂસ્તીભરી સવાર બની રહી હતી. શહેરના મુખ્ય માર્ગો પરની દુકાનો, ટેક્ષટાઇલ માર્કેટોમાં મોટા ભાગની દુકાનો સવારે સાડાદસ પછી પણ શરૂ થયેલી જોવા મળી હતી.
જોગર્સ-વોકર્સે ફરજિયાત રજા પાડવી પડી
શહેરમાં કોરોનાકાળ બાદ વહેલી સવારે જોગીંગ, વોકિંગ, સાઇકલિંગ, યોગા વગેરે નિયમિત રીતે કરનારા લોકો માટે આજે તા.18મી જૂનની સવાર રજા લઇને આવી હતી. મૂશળધાર વરસાદને કારણે મોટા ભાગના વોકર્સ, જોગર્સ, ઓપનએરમાં યોગ કરનારાઓ, નિયમિત કસરત કરનારા સુરતીઓએ ફરજિયાત રજા પાડવી પડી હતી. શહેરના જોગર્સ પાર્ક, વોકર્સ પાર્ક પર પણ દરરોજ કરતા આજે સ્વાભાવિક રીતે જ વરસાદને કારણે પાંખી હાજરી જોવા મળી હતી.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ગુરૂવાર, તા. ૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે, પ્લેટીનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે સુરત અને દક્ષિણ ગુજરાતના ગૌરવવંતા તબીબોને સન્માનિત કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ કોવીડની માર્ગદર્શિકા આધારિત આયોજિત કરવામાં આવ્યો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા જણાવે છે કે, પ્રાઈવેટ, ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ, ચેરીટેબલ ટ્રસ્ટ અને તે સિવાયના ફિલ્ડ સાથે સંકળાયેલા તબીબોને આ સન્માનના અધિકારી ગણવામાં આવશે. પર્સનલ ક્લીનિક, સ્પેશ્યાલીટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આમ વિવિધ કેટેગરીઓમાં આ સન્માન એનાયત કરવામાં આવશે.
મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં તેમનું પ્રદાન, સમાજ સેવા ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન, સમગ્ર કારકિર્દી દરમ્યાન તેમણે મેળવેલા એવોર્ડ્સ અને એપ્રિસીએશન તેમજ ટ્રેઈનીંગ ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન પણ ધ્યાનમાં લેવામાં આવશે.
આ સંદર્ભે પ્રિસક્રાઈબડ કરેલું ફોર્મ તબીબોએ ભરવાનું રહેશે જે SGCCIની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલય (સમૃદ્ધિ બિલ્ડીંગ, ચોથા માળે, મક્કાઈપુલ, નાનપુરા, સુરત) ખાતેથી રૂબરૂમાં ઉપલબ્ધ થશે.
ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય સવારે ૧૧ થી સાંજે ૬ નો રહેશે અને ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ ૨૩ જૂન, ૨૦૨૧ રહેશે.
વધુ વિગતો માટે ૯૮૨૫૪૭૨૯૦૮ ફોન નંબર પર સંપર્ક કરવો.
તબીબો પર થઇ રહેલા હુમલાના વિરોધમાં આવતીકાલ તા.18મી જુનને શુક્રવારે સવારે 10 કલાકે શહેરના તબીબો દ્વારા નીચે મુજબના 7 જુદા જુદા સ્થળોએ દેખાવો કરવાનો કાર્યક્રમ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશનનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે.
સુરતના તબીબો સેવ ધ સેવિયર સૂત્ર સાથે શાંતિપૂર્વક દેખાવો કરશે એમ જણાવવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આજે એવી જાહેરાત કરી છે કે આવતીકાલ તા.16મી જુન 2021ના રોજ વરાછા સ્થિત હેડ વોટર વર્કસ ખાતેથી આપવામાં આવતો પાણીનો સપ્લાય સંપૂર્ણ બંધ કરવામાં આવશે, જેને કારણે પૂર્વ ઝોન (વરાછા) વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાય, ઓછા પ્રેશરથી મળી શકે અથવા નહીંવત્ મળી શકે તેવી શક્યતા છે, આથી આ વિસ્તારના રહેવાસીઓને આજે બપોરે મળનાર પાણી સપ્લાય દરમિયાન જરૂરી પાણી પુરવઠો ભરી રાખે, જેથી આવતીકાલ બુધવારે પાણી વગર અગવડ ન પડે.
પૂર્વ વરાછાના આ વિસ્તારોને અસર થશે
આવતીકાલ તા.16મી જુનના રોજ પૂર્વ વરાછાના અશ્વનિકુમાર, ફુલપાડા, લંબેહનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ અને કાપોદ્રા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પાણી સપ્લાયને અસર પહોંચશે. એવી પણ શક્યતા છે કે પાણી બિલકુલ ઓછું મળે, પરીણામે આજે તા.15મી જુને બપોરે મળનાર પાણી સપ્લાય દરમિયાન જરૂરીયાત મુજબનો જથ્થો સંગ્રહ કરી લેવા જણાવાયું છે.
પૂર્વ ઝોનમાં પાણી સપ્લાય ખોટકાવા અંગે સુરત મહાનગરપાલિકાએ કરેલી જાહેરાત
કોરોના કાળમાં બાદ હાલમાં હીરામાં હાલ તેજીનો માહોલ છે, તેમ છતાં અનેક હીરા કંપનીઓ દ્વારા રત્નકલાકારોના પગારમાં વધારો ન કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પગલે ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના પગાર વધારા અંગે એક ઓનલાઇન સર્વે શરૂ કર્યો છે આ સર્વેમાં રત્નકલાકારોના પગાર વધારા અંગે સવાલો પૂછીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ડાયમંડ વર્કર યુનિયનો સર્વે કરાવવા પાછળનો આશય એ છે કે કોરોના સમયગાળામાં અને એ પહેલાં કેટલીક કંપનીઓએ રત્ન કલાકારોને નિયમાનુસાર પગાર વધારો આપ્યો છે? અને કેટલી કંપની એ નથી આપ્યો? એ જાણ્યા પછી રત્નકલાકારોને પગાર વધારાનો લાભ નહીં આપનાર હીરાના કારખાનેદારો સામે લેબર કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવશે, એમ ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે સુરતની ડાયમંડ કંપનીઓમાં તેજીનો માહોલ છે. તેમ છતાં અમુક હીરા કંપનીઓ દ્વારા હજી કારીગરોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે ત્યારે કર્મચારીઓના પગાર વધે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.