જયેશ બ્રહ્મભટ્ટ
આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.
સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.
સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું
સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.
સુદીક્ષા માતા-પિતા સાથે
વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા
સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’
વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.




















