ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.
ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.













