
કેરળ, જમ્મુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે પણ વાયુદળનું ખાસ વિમાન મોકલવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાય છે અને ટૂંકાગાળામાં 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને લઈને ચોથાભાગની વસતીને અળગી પાડી દેવામાં આવી હતી. તેમજ ઈટાલીના વડાપ્રધાને દેશવાસીઓને નિયમોની પુરતી અમલવારી કરવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના દુનિયાભરમાં’ 110293 કેસ નોંધાયા છે. જેમાં 3831 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતે ચીનમાં સૌથી ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા હતા. જો કે હવે દક્ષિણ કોરિયા, જર્મનીમાં ઝડપથી નવા મામલા સામે આવી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક મામલે ઈટાલી ચીન પછી બીજા’ ક્રમાંકે પહોંચી ગયું છે. ચીનમાં 3120 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ઈટાલીમાં 366 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઈરાનમાં 194 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ ઓછામા ઓછા 21 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 550 લોકોમાં કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશના આગરા, જમ્મુ કાશ્મીર અને કેરળના એર્ણાકુલમમાંથી એક એક મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં 25 હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસે અંદાજીત પુરી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. ઓછામાં ઓછા 95 દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની ગંભીરતા ઈટાલીના મૃત્યુઆંકથી જ સામે આવી રહી છે. જેમાં રવિવારે અચાનક કોરોના વાયરસથી મૃત્યુઆંક 133થી ત્રણ ગણો વધીને 366 થયો હતો. જેના કારણે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.’
‘
ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓનો પ્રવેશ હંગામી ધોરણે સ્થગિત કરતું કતાર
નવી દિલ્હી તા. 9: કોરોના વાયરસ ફેલાતો રોકવા કતારે ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓના પ્રવેશને હંગામીપણે સ્થગિત કર્યો છે. આ નિર્ણય તળે વિઝા અપોન અરાઈવલ, રેસિડન્સ કે વર્ક પરમિટ ધરાવનારા અને હંગામી વિઝાવાળા પ્રવાસીઓના પ્રવેશને લાગુ પડે છે. દરમિયાન કતાર એરવેઝે 30 જુન સુધીની ફલાઈટ બુક કરાવાનારને નિ:શુલ્ક ટ્રાવેલપ્લાન બદલવા કે ટિકિટના બદલે વર્ષ સુધી વેલિડ ટ્રાવેલ વાઉચર દેવા ઓફર કરી છે.
‘
કોરોનાથી બચવા ઉપાય કરી રહી છે સરકાર
ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ફરી એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સમીક્ષા બેઠક બોલાવી હતી. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાયરસની ચપેટમાં દુનિયાભરના દેશો છે તેમાં બહારથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ફોન મારફતે કોરોના વાયરસ અંગે જાગૃત્તતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 43 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની ચકાસણી માટે 46 જેટલી લેબ કાર્યરત છે. તેમજ રિંગટોન મારફતે લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના 30 એરપોર્ટ ઉપર ક્રીનિંગ થઈ રહ્યું છે. તેમજ હવે સરકાર તરફથી જિલ્લાસ્તરે વધુ તાલિમ પણ આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત લોકોની તાકિદે ઓળખ થઈ શકે.’



















