વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.30મી ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાના છે.
આજે બપોર બાદ વડાપ્રધાન મોદી કેવડીયા પહોચશે અને 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત રહેશે.
કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
વડાપ્રધાનશ્રીએ કેવડિયામાં અલગ-અલગ થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેના આજે તેઓ લોકાર્પણ કરશે. જેમાં જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનો સમાવેશ થાય છે.
આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.