નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.
CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.
એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.









