કોવિડને કારણે મરનાર પ્રત્યેક વ્યક્તિના કુટુંબીને રાજ્ય સરકાર રૂ. ૫૦,૦૦૦નું વળતર આપશે તેવુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2021ના રોજ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે આ વળતર કોવિડને કારણે ભૂતકાળમાં થયેલા મોત માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં થનાર મોત માટે પણ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે 22મી સપ્ટેમ્બર 2021ને બુધવારે રજૂ કરેલા શપથપત્રમાં જણાવાયું હતું કે આ વળતર રાજ્ય સરકાર આપશે અને એ માટેના નાણાં તેઓ પોતાના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કાઢીને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા તો જિલ્લા પ્રશાસન મારફત આપવામાં આવશે.
જાન્યુઆરી ૨૦૨૦માં શરૂ થયેલા કોરોનાના રોગચાળા બાદ ભારતમાં ૪.૪૫ લાખથી વધુ વ્યક્તિનાં મોત થયાં હતાં. રાજ્ય સરકારે આપેલા ફોર્મની સાથે સંબંધિત કુટુંબ મૃત્યુનું કારણ દર્શાવતા સર્ટિફિકેટ સહિતના ચોક્કસ દસ્તાવેજ રજૂ કરશે.
જરૂરી દસ્તાવેજ સહિતના દાવાનો નિકાલ દાવો કર્યાના ૩૦ દિવસમાં કરવાનો રહેશે અને વળતર આધાર સાથે જોડેલી ડીબીટી પ્રણાલી હેઠળ આપવાના રહેશે એવી વાત પણ શપથપત્રમાં જણાવવામાં આવી હતી.
જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડને કારણે મરણ પામનાર વ્યક્તિના કુટુંબને નાણાકીય વળતર મળવું જોઇએ અને નેશનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ અને માર્ગદર્શિકા નક્કી કરવા માટે છ સપ્તાહનો સમય આપ્યો હતો.



















