જયેશ બ્રહ્મભટ્ટ
92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.

(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)
ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે
આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.
ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.





















