CIA ALERT

ઇન્ડીયા Archives - Page 159 of 183 - CIA Live

March 17, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5270

જયેશ બ્રહ્મભટ્ટ

92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ  મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.

(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)

ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે

આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.

ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.

March 16, 2019
tejaswi.jpg
1min3213

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min5740
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
pak_jet.jpg
1min6010

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન પણ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં પાકિસ્તાને તે પછી ભારતીય સૈન્યની જગ્યાઓ પર હુમલાની કોશિશ પણ કરી હતી. જેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવી હતી. હુમલાની કોશિશ કરનાર પાકિસ્તાનના એક F16 જેટને IAFએ તોડી પાડ્યું હતું. જોકે, આ ડોગ ફાઈટમાં ભારતીય પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 બાઈસન પણ ક્રેશ થયું હતું. એ પછી પાકિસ્તાનીઓએ આજે તા.14મી માર્ચ 2019ની સવારે ફરીથી એલ.ઓ.સી. પાસે પોતાના હવાઇજહાજો ઉડાડવાની હરકત કરી હતી. ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાનની આ હરકત સામે એલર્ટ પોઝિશન અખત્યાર કરી લીધી હતી.

આજે સવારે કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOC પાસે POKમાં પાકિસ્તાનના બે ફાઈટર વિમાન જોવા મળ્યા હતાં. જે પછી ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડમાં લાવી દીધી છે. ભારતીય એર ડિફેન્સના રડાર પર  લાઇન ઓફ કન્ટ્રોલથી દસેક કિ.મીના વિસ્તારમાં બે પાકિસ્તાની એરફોર્સના જેટની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં ફાઈટર જેટનો અવાજ પણ સંભળાયો હતો. ઈન્ડિયન એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.

લાઇન ઓફ કન્ટ્રોલની આસપાસ છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનીઓ મિસ્ચીફ કરી રહ્યા છે, આજે જે રીતે પાકિસ્તાનના બે ફાઈટર જેટ ઉડ્ડયન કરી રહ્યાં હતાં એના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ફરી કોઈ અવળચંડાઈ કરી શકે છે.

જો પાકિસ્તાનનું કોઈ જેટ ભારતની સરહદમાં દાખલ થાય તો તેને તરત જ તોડી પડાશે. જોકે, આ મામલે પાક જેટે ભારતની હવાઈ સરહદનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ સરહદ નજીક આશરે 10 કિ.મીના વિસ્તારમાં પાડોશી દેશના ફાઈટર જેટનું આવવું તે પાકિસ્તાન તરફથી ભારતને ઉશ્કેરવાનું પગલું છે.

March 14, 2019
income_tax-1280x853.jpg
1min3980

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 12, 2019
congress.jpg
1min7070

58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે. બેઠક પહેલા દાંડી માર્ચની જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કોંગ્રેસના નેતાઓ જોડાયા. બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં જય કિસાન જય જવાનના બેનર નીચે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પાટીદારના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે.

અમદાવાદના આંગણે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા વાડરા-ગાંધી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓનો કાફલો મંગળવારે  સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. અહીંથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. બાદમાં સરકાદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

March 11, 2019
Ramzan-Mubarak-Hindi-2013-500x500.jpg
1min6100
રવિવાર તા.10મી માર્ચ 2019ના રોજ કેન્દ્રના ચૂંટણી કમિશને લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યા બાદ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ સંપ્રદાયમાંથી તીવ્ર વાંધા-વિરોધ એ બાબતો ઉઠ્યા છે કે કુલ 543માંથી 169 લોકસભા સીટો પર મતદાન રમજાન મહિનામાં થશે. રમજાનને કારણે મુસ્લિમ પરિવારો તેમના વોટિંગ રાઇટથી પણ વંચિત રહી શકે તેવી રજૂઆતો કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આટલું જ નહીં તેઓએ ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખો બદલવા માટેની માગણી પણ કરી છે.
વધુમાં કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય એકમ છે અને આપણે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. આ મતદાન પ્રક્રિયામાં સૌથી વધારે મુશ્કેલી મુસ્લિમોને પડશે કારણકે મતદાન પ્રક્રિયા વખતે રમઝાન મહિનો ચાલતો હશે. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પગલા લેવા નથી માંગતા, પરંતુ એટલું જરૂરથી કહીશું કે અંતિમ તબક્કામાં યોજાનારી મતદાન પ્રક્રિયા બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અઘરી રહેશે.
એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પણ મુસ્લિમ સંપ્રદાયે રમજાન મહિનમાં ચૂંટણી મતદાનની પ્રક્રિયાનો વિરોધ કરીને તારીખ બદલવાની માગ કરી છે.
March 11, 2019
epf_logo.jpg
1min11110

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 11, 2019
parliament-election.jpg
1min8440

લોકસભા ચુંટણી 11 એપ્રીલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરીણામ જાહેર થશે

ભારતમાં લોકસભા ચુંટણી 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે.

ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

પ્રથમ તબક્કો : 11 એપ્રિલ 2019

પહેલું તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

આંધ્ર પ્રદેશ 23, અરૂણાચલ પ્રદેશ 2, અસમ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ-કશ્મીર 2, મહારાષ્ટ્ર 7, મણિપુર 1, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 4, સિક્કિમ 1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યુપી 8, ઉત્તરાખંડ 5, પ.બંગાળ 2, અંડમાન એન્ડ નિકોબાર 1 અને લક્ષદિપ 1 સીટોમાં મતદાન થશે.

બીજો તબક્કો : 18 એપ્રિલ 2019

બીજા તબક્કામાં  રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

બીજા તબક્કામાં અસમ 5, બિહાર 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મણિપુર 1, ઓડિશા 5, તમિલનાડુંના તમામ 39, ત્રિપુરા 1, ઉત્તર પ્રદેશ 8, પ.બંગાળ 3 અને પોંડિચેરીની 1 સીટ માટે 18 એપ્રિલના વોટીંગ થશે.

ત્રીજો તબક્કો : 23 એપ્રિલ 2019

ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ત્રીજા તબક્કામાં અસમમાં 4, બિહારમાં 5, છત્તીસગઠમાં 7, ગુજરાતમાં 26, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, યુપીમાં 10, પ.બંગાળમાં 5, દાદરનગર હવેલીમાં 1, દમન દીવમાં 1 સીટમાં 23 એપ્રીલના રોજ વોટીંગ થશે.

ચોથો તબક્કો : 29 એપ્રિલ 2019

ચોથા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ચોથા તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, ઝારખંડમાં 1, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 17, ઉડીસામાં 6, રાજસ્થાનમાં 13, યુપીમાં 13, બંગાળમાં 8 સીટો માટે 29 એપ્રીલના રોજ મતદાન થશે.

પાંચમો તબક્કો : 6 મે 2019

પાંચમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

પાંચમાં તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 2, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 12, ઉ. પ્રદેશમાં 14 અને પ.બંગાળમાં 7 સીટો પર 6 મેના રોજ મતદાન થશે.

છઠ્ઠો તબક્કો : 12 મે 2019

છઠ્ઠા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

છઠ્ઠા તબક્કામાં બિહારમાં 8, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 14, પ. બંગાળમાં 8 અને દિલ્હીમાં તમામ 7 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે.

સાતમો તબક્કો : 19 મે 2019

સાતમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

સાતમાં ચરણ માટે બિહારમાં 8, ઝારખંડમાં 3, પંજાપમાં 13, પ.બંગાળમાં 9, ચંદિગઢમાં 1, ઉત્તર પ્રદેશમાં 13 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે 19 મેના રોજ મતદાન થશે.

મત ગણતરી : 23 મે 2019

NOTA નો વિકલ્પ

આજથી ચુંટણીની જાહેરાત થતા આચારસંહિતતા લાગુ થઇ ગઇ છે. ચુંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જો આચારસંહીતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે. લોકસભા ચુંટણી 2019માં વોટર પાસે NOTA નો વિકલ્પ રહેશે. તો ચુંટણી કમિશ્નરે કડક શબ્દોમાં કહ્યું હતું કે વોટીંગના 48 કલાક પહેલા લાઉડસ્પીકર નહી વગાડવામાં આવે. જો નિયમું ઉલ્લંઘન થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

90 કરોડ લોકો આપશે મત : EC

ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં 1.5 કરોડ મતદારો છે. ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ વધુમાં જણાવ્યું કે બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

ચુંટણી પંચ સોશિયલ મીડિયા પ્રચાર પર રાખશે નજર

ચુંટણી કમિશ્નર એરોડાએ જણાવ્યું કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે.

ચુંટણી પંચ દ્રારા 1950 હેલ્પલાઇન ચાલુ કરાઇ

ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે

આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી પણ યોજાશે

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચુંટણીનું મતદાન લોકસભા ચુંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા વિધાનસભાની ચુંટણી લોકસભા સાથે નહી થાય.

 

March 9, 2019
virar_womens.jpg
1min12990

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’