મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું
બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.
આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.
એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.
હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.