આંધ્ર પ્રદેશના વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતાપદે જગનમોહન રેડ્ડીની વરણી થયા બાદ રાજ્યમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રવિવારે તેઓ વડા પ્રધાન મોદીને મળશે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવા જે ખાતરી આપશે તેને તેઓ ટેકો આપશે. મોદી સરકારને સમર્થન આપશે એવો નિર્દેશ તેમણે કર્યો હતો. વાયએસઆર કૉંગ્રેસે લોકસભામાં પણ 25 પૈકી 22 બેઠક જીતીને ત્રીજો મોટો પક્ષ બન્યો છે. ભાજપ, કૉંગ્રેસ બાદ ત્રીજા સ્થાને વાયએસઆર કૉંગ્રેસ છે. ગત વર્ષે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજીનામા આપ્યા હતા. હવે વાયએસઆર કૉંગ્રેસ પણ આંધ્રને વિશેષ દરજ્જો આપે તેને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં સત્તાપલટો થયો છે. ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની સરકારની હાર થઈ છે અને વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડીનો જ્વલંત વિજય થયો છે. શનિવારે વાયએસઆર કૉંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોએ નેતા તરીકે જગનમોહન રેડ્ડીને સર્વસંમતિથી ચૂંટી કાઢ્યા હતા. શનિવારે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી, જેમાં વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતા તરીકે નિર્ણય લેવાયો હતો. જગન રેડ્ડીએ તમામ વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. સારી કામગીરીને કારણે જનતાએ આપણા પક્ષમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ રેડ્ડીએ કહ્યું હતું. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી માટે તેમણે વિધાનસભ્યોનો સહકાર માગ્યો છે. જગનમોહન રેડ્ડીને નેતાપદે ચૂંટવાના નિર્ણયની રાજ્યપાલ ઈ. વી. નરસિંહમ્ને જાણ કરવામાં આવી છે. પક્ષ રાજ્યમાં સરકાર રચવા દાવો કરશે. પક્ષના જણાવ્યા પ્રમાણે 30 મેના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં શપથવિધિ યોજાશે. વાયએસઆર કૉંગ્રેસે 175 બેઠકના ગૃહમાં 151 બેઠક જીતી છે.


















