ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપી વચ્ચે ‘મહાગઠબંધન’માં ભંગાણ પડ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 11 પેટા ચૂંટણીમાં બંને પક્ષ દરેક બેઠક પર પોતપોતાના પક્ષના ઉમેદવાર ઊભા રાખશે તેવું બંને નેતાએ જાહેર કર્યું હતું. બીજી બાજુ એનડીએમાં પણ નીતીશકુમાર ‘કંઈક’ યોજના ઘડી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એનડીએ (દ્વિતીય)ના પ્રધાન મંડળમાં એક જ મંત્રાલયની ઓફર મળતા છંછેડાયેલા નીતીશકુમારે બિહાર પ્રધાન મંડળના વિસ્તરણમાં જનતા દળ (યુ)ના આઠ નેતાનો સમાવેશ કર્યો હતો અને ભાજપને ફક્ત એક બેઠકની ઓફર કરી હતી.

બિહારમાં વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા રઘુવંશપ્રસાદ સિંહે નીતીશકુમારને ભાજપ વિરોધી મંચમાં જોડાવાનું આડકતરું આમંત્રણ આપતા કહ્યું હતું કે ‘તમામ બિન ભાજપ પક્ષોએ એક મંચ પર ભેગા થઈ રાષ્ટ્રીય વિકલ્પ તૈયાર કરવો જોઈએ. અમને કોઈ પણ પક્ષ તેમાં જોડાય તેમાં અમને વાંધો નથી.’
દરમિયાન જમ્મુકાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને કૉંગ્રેસ સાથે જોડાણ તોડવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકમાં પણ કૉંગ્રેસ-જેડી(એસ) જોડાણ તૂટવાના ભણકારા થવા લાગ્યા છે. મંગળવારે જનતા દળ (સેક્યુલર)ના કર્ણાટક એકમના પ્રમુખ એચ. વિશ્ર્વનાથે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
માયાવતીએ મંગળવારે એક પત્રકારપરિષદમાં જાહેર કર્યું હતું કે અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીની બેઠક પર એકલે હાથે લડીશું સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે ‘જો આપણા રસ્તા જુદા થઈ રહ્યાં છે અમે તેનું સ્વાગત કરીએ છીએ. જોડાણનો અંત આવશે તો અમે બધી 11 બેઠક પર સપાના ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.















