રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.
કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.
ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.
















