
આર્થિક કટોકટીમાં ફસાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર (પીએમસી) કો-ઓ. બૅંકના ખાતાધારકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા-આરબીઆઈએ ખાતાધારકો માટે પીએમસી બૅંકમાંથી રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા હાલના રૂ.૨૫૦૦૦થી વધારીને રૂ.૪૦૦૦૦ કરી છે.
રોષે ભરાયેલા ખાતાધારકો નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા બાદ તેમણે આરબીઆઈને ખાતાધારકોની સમસ્યાઓ ધ્યાન પર લેવાનું જણાવ્યા બાદ આ પગલું આવી પડ્યું હતું.
ટોચની ૧૦ અર્બન કો.ઓ. બૅંકમાં સ્થાન ધરાવતી પીએમસી બૅંકે જાણીજોઈને એનપીએ ઓછી દેખાડતાં સર્જાયેલી સમસ્યા બાદ ૨૩ સપ્ટેમ્બરથી છ મહિના માટે તેને આરબીઆઈની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.
આરબીઆઈએ ત્રીજીવાર આ મર્યાદા વધારી છે. અગાઉ ખાતાધારકોને રૂ. ૧૦૦૦ ઉપાડવાની છૂટ હતી જે વધારીને રૂ.૧૦૦૦૦, રૂ. ૨૫૦૦૦ આવી હતી અને હવે એ મર્યાદા હવે વધારીને રૂ.૪૦૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરબીઆઈનાં આ પગલાંને કારણે હવે લગભગ કુલ ખાતાધારકો અને થાપણદારોમાંથી ૭૭ ટકા લોકો તેમનાં ખાતામાંની પૂરી રકમનો ઉપાડ કરી શકશે.
છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનોની ચકાસણી કરવા આરબીઆઈએ ફૉરેન્સિક ઑડિટર્સની નિમણૂંક કરી છે.
શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ આરંભી હોવાનું તેમણે કહ્યું હતું.
બૅંકને તેની કાર્યવાહી કરવામાં નડતી વિવિધ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા વહીવટીતંત્ર અને આરબીઆઈ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યની સલાહકાર સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છે.





















