CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 31 of 126 - CIA Live

March 15, 2021
night_curfew.jpg
1min440

એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એકાએક કોરોનાના કેસો વધી ગયા છે અને સાથોસાથ આજે તા.૧૫મી માર્ચે જ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની વર્તમાન મુદત પૂરી થઇ રહી છે. આજે સાંજ સુધીમાં એવી જાહેરાત સરકાર તરફથી શક્ય છે કે, સુરત સમેત રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવા ઉપરાંત અનેક આકરાં નિયંત્રણો લાગૂ કરવામાંં આવશે.

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 12થી સવારના 6 વાગ્યા સુધી અમલી છે જેની અવધિ આજે 15મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.

વિતેલા સપ્તાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક યોજી હતી અને તેમાં કોરોના વધતા જતા કેસો સંદર્ભેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આજે ફરી બેઠક યોજી કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ જાહેર કરાય તેવી શક્યતા છે.

સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રીના જે રેસ્ટોરાં કે પછી હોટેલોમાં વધુ લોકો એકઠા થતા હોય અને નિયમોનો ભંગ થયો હોય તો હોટેલ અને રેસ્ટોરાંને બંધ કરાવવામાં આવી છે.

March 13, 2021
corona_india.jpg
1min320

દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.

દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.

ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.

છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.

March 13, 2021
corona-gujarat.jpg
1min296

તા.૧૨મીએ રાત્રે ૯ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કુલ 715 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા 495 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યનો રિકવરી રેટ પણ 96.95%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 69 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4006 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 3955 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને સુરતમાં પણ 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4420એ પહોંચ્યો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1002

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.

March 12, 2021
maha_corona.jpg
1min355

ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ હવે ભયજનક સ્થિતિ પેદા કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની સ્થિત અત્યંત કપરી બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણ માટે લૉકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કરાયું છે. એ સિવાય પંજાબ, કેરળ વગેરે રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી છે.

અકોલામાં તંત્રએ શુક્રવારના રાતથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. હોટેલ અને બારને પણ રાતના 10 વાગ્યા પછી ખુલ્લા નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાએ ફરી સ્પીડ પકડતાં મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.

પંજાબના ૫ જિલ્લાઓમાં રાત્રિ કરર્ફ્યુ

પંજાબમાં કોરોના કેસમાં વધારો થતાં પાંચ જિલ્લાઓ, જેમાં જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ ઇમ્પોઝ કરવામાં આવી ચૂક્યો છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.

ગુરુગ્રામમાં બુધવાર સુધીમાં 18 કન્ટેનમેન્ટ ઝોન થઈ ગયા હતા. આ વિસ્તારને સીલ કરાયા છે. મૂવમેન્ટ પર રોક લગાવવાની સાથે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર હોટસ્પોટ બન્યા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરાઈ રહ્યો છે. માસ્ક ન રહેરનારા પાસે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

March 12, 2021
one-nation-one-rashancard.jpg
1min398

તાજેતરમાં ઉત્તરાખંડ સહિત ૧૭ રાજ્યમાં ‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયો હોવાની માહિતી કેન્દ્રના નાણાં મંત્રાલયે જાહેર કરી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરનાર રાજ્યને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્ (જીએસડીપી)નાં ૦.૨૫ ટકા વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવે છે.

આ રીતે ખર્ચ વિભાગ તરફથી આ રાજ્યોને રૂ. ૩૭,૬૦૦ કરોડનું વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવી હોવાની માહિતી નાણાં મંત્રાલયે આપી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયા બાદ લાભકર્તાને નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણ યોજનાના લાભ સસ્તા દરની દુકાન (એફપીએસ)માં મળે છે.

આ યોજનાનો લાભ મુખ્યત્વે સ્થળાંતર કરતા મજૂરો, હંગામી કર્મચારીઓ, શ્રમિકો, કાગળ વિણવાનું કામ કરનારા અને રસ્તા પર રહેતા લોકોને મળે છે. આ યોજના હેઠળ તેઓ જે રાજ્યમાં રહેવા જાય, ત્યાં એમને સસ્તા દરે રાશનની દુકાનમાંથી રાશન મળી શકશે. આવા લોકો કોઇપણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ (ઇ-પીઓએસ) ધરાવતી રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે.

કોવિડ-૧૯નાં રોગચાળા દરમિયાન આવી રહેલા અનેક પડકારોનો સામનો કરવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવા રાજ્યોની વધારાનું ઋણ મેળવવાની મર્યાદા વધારીને જીએસડીપીના બે ટકા કરી છે.

March 10, 2021
vaccine-1.jpg
1min282

ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.

રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.

March 9, 2021
Ranbir-Kapoor-Sanjay-Bhansali.jpg
1min288

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.

રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.

સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.

March 7, 2021
vaccine-1.jpg
1min269

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા છે અથવા જ્યાં કોરોનાના સક્રિય કેસ વધારે છે એમને રસીકરણ અને ટેસ્ટિંગ વધારવાની, કોરોનાના દરદીઓને શોધીને એમને સારવાર મળે માટે યુદ્ધસ્તરે કામ કરવાની તાકિદ કેન્દ્ર સરકારે આપી હતી. શનિવારની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે એમને ખાનગી હૉસ્પિટલોનો સહકાર લઇને ઓછામાં ઓછા ૧૫ દિવસ અને વધુમાં વધુ ૨૮ દિવસનું ટાઇમટેબલ બનાવવા જણાવ્યું હતું. આવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની, ફરીથી સક્રિય દરદીના સંપર્કમાં આવેલા લોકોને શોધીને યોગ્ય પગલાં લેવાની, જ્યાં કેસની સંખ્યા વધારે હોય એવા જિલ્લાઓ કે વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોનું કડકાઇથી પાલન કરવાની અને દર સક્રિય કેસનાં સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૨૦ જણને શોધવાની સલાહ આપવામાં આવી હતી.

કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ કે. પોલે શનિવારે હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને ચંડીગઢના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના સ્વાસ્થ્ય સચિવ તથા ડિરેક્ટર સાથે વાતચીત કરી હતી. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં કોરોનાના દરદીઓમાં રોજના હિસાબે વધારો નોંધાયો હતો. બેઠક દરમિયાન એમણે કોરોનાની માર્ગદર્શિકાના પાલન અંગે સમીક્ષા કરી હતી અને દરેક રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે જિલ્લાઓમાં આવા કેસની સંખ્યા વધી રહી છે, એ આસપાસનાં જિલ્લા અને રાજ્યોમાં ફેલાવાનો મોટો ભય હોવાથી એ ચિંતાનો વિષય ગણાય.

March 4, 2021
coronaupdate.jpg
1min259

India on 3/3/21 @ 9pm

સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.

આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.

Gujarat on 3/3/21 @ 9pm

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 358 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 264195 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.40%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 117, સુરતમાં 96, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2638 એક્ટિવ કેસમાંથી 39 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2599 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4412એ પહોંચ્યો છે.

રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.