વર્લ્ડોમીટર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.70 લાખ જેટલા નવા કેસ આવ્યા છે. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસના સૌથી વધુ છે. તો આ દરમિયાન લગભગ 900 લોકોના મોત પણ થાય છે. સતત દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. દેશમાં શનિવારે 10 લાખને પાર પહોંચેલા એક્ટિવ કેસ બે જ દિવસમાં વધીને સોમવાર સુધીમાં 12 લાખને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 70 હજાર લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બનીને પોતાનો આતંક વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ્યાં દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોનાના 70 ટકા કરતા વધુ કેસ તો ફક્ત પાંચ જ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના તીવ્ર ઝડપ પકડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં પણ કોરોના વધવાનો શરું થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 63294 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા નવા કેસના આંકડામાં સૌથી વધુ છે. રાજ્યમાં મુંબઈ પછી પુણેમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પુણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12377 નવા કોરોના કેસ આવ્યા છે તો 87 લોકોના મોત થયા છે. રાજધાની મુંબઈમાં પણ 24 લાકમાં 9989 કેસ આવ્યા છે. જ્યારે 58 લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર માટે એક સારો સંકેત એ પણ છે કે 34 હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ વધીને 81.65 ટકા થઈ ગયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં શનિવારે એક દિવસમાં 10774 નવા કેસ સામે આવ્યા છે. તો 48 કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 હજાર કરતા વધુ કેસ આવવા સાથે શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે લોકોને ખૂબ જ જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતા વધુ ખતરનાક છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ છત્તસીગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ સિહના રાજ્યોમાં કોરોના કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાં દરરોજ વધુને વધુ કોરોના નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેવા પ.બંગાળમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. તેમ છતા ત્યાં મોટી સંખ્યામાં રોડ શો અને રેલિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કોરોના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ તૈયારી કરી રહ્યું છે.
Reported on 10/4/21 : ભારતમાં કોરોના એક્ટીવ કેસ ૧૦ લાખથી વધી ગયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર તા.૧૦ એપ્રિલ ૨૦૨૧ના સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. પાછલા 28 દિવસમાં દેશમાં કોરોના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. ગતત 12 માર્ચે દેશમાં એક્ટિવ કેસ 2 લાખનો આંકડો પાર કર્યો હતો. જે બાદ આજે 9 એપ્રિલે એક્ટિવ કેસનો આંક 10 લાખને પાર થયો છે. એક્ટિવ કેસની ગણના પ્રતિ દિવસ નવા નોંધાયેલા કોરના કેસમાંથી તે દિવસે રિકવર થયેલા કુલ કેસને બાદ કરવામાં આવે છે. પછી જે આંકડો મળે છે તેને એક્ટિવ કેસ કહેવાય છે.
આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે.
દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે.
વેક્સીનેશન ૧૦ કરોડ સુધી પહોંચશે
કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.