CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 125 of 126 - CIA Live

May 25, 2018
smc-1280x853.jpg
1min10730

સૂરતઃ રવિવારઃ- ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ અને ‘‘વ્યથા નહીં વ્યવસ્થા’’ના મંત્ર સાથે ગુજરાતના શહેરો વર્લ્ડ કલાસ સીટી બને તેવી નેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ’’ને ખુલ્લી મૂકતા વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ તકોના સર્જન થકી ભારત સરકારના ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ દ્વારા નવી પેઢીને અવસર આપવા રાજય સરકારની કટિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢી પોતાની નવી બ્રાન્ડ બનાવીને સ્ટાર્ટ અપમાં આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.

રાજયમાં ૪૮ ટકા શહેરી વસ્તી છે ત્યારે આવનારા સમયમાં ૫૦-૫૦ ટકા શહેર-ગ્રામ્યની વસ્તી સમાન થશે. ગુજરાતના ૬ શહેરોને ભારત સરકારે સ્માર્ટ સીટીનો દરજ્જો આપ્યો છે. જેમાં સૂરત ગુજરાત અને સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય, બે કદમ આગળ વધીને આવનારી સમસ્યાનું નિરાકરણ થાય તે જ સાચું સ્ટાર્ટઅપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૂરત શહેરને ડાયમંડ સીટી, સીલ્ક સીટી, બ્રિજ સીટીની સાથે હવે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. બે દશકમાં ઘણો જ બદલાવ સૂરતમાં આવ્યો છે.

 

ભારતભરમાં માત્ર અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો છે તેવી જ રીતે સુરત શહેરને પણ સ્માર્ટ સીટી દરજ્જો મળ્યો છે. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
કમાન્ડ કંટ્રોલની વ્યવસ્થાઓ સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરત સીટીમાં પાણી, વીજળી, રસ્તા જેવી અનેકવિધ વ્યવસ્થાઓ એક જ સ્થળે સેન્ટર દ્વારા કમાન્ડ કંટ્રોલ થઈ છે. પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી કોઈ પણ સમસ્યા હોય તો એક જ સ્થળેથી તેનું સરળતાથી નિરાકરણ લાવી રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી શ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્રને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યો છે. તેમણે ભારતના ૧૦૦ સ્માર્ટ સીટીમાં સૂરતે કામગીરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ અભિનંદન આપ્યા હતા. સામાન્ય માનવીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી જેવી સુવિધાઓ મળે તેવા તમામ પાસાઓને સ્માર્ટ સીટીમાં આવરી લેવામાં આવ્યા છે. ૨૦૨૨માં સૌને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ તકે શ્રી ચૌધરીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવા પેઢી પાસે જો નવા નવા આઈડિયા હશે તો ભારત સરકાર તેમાં પૂર્ણ સહયોગી બનશે તેવી ખાત્રી તેમણે આપી હતી. ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરવા યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું.

સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોઓ પૈકી પસંદ થયેલા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડ તથા કોફી બુકનું લોન્ચિંગ થયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહ્યાં હતા.

May 25, 2018
suratrupani.jpg
1min10350

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોની સૂરતને ભેટ ધરી હતી. આ પ્રકલ્પોમાં રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સજ્જ નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ, કોસાડ ખાતે બી.આર.ટી.એસ. બસનો વર્કશોપ, સરથાણા-વાલક ખાતે રૂા.૧૮૩૮ લાખના ખર્ચે વરાછાના સબ ઝોન-B વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, શાળાના ભવનનું એકસ્પાન્સન, વાંચનાલય, જળ વિતરણ માટે વોટર સપ્લાયનું કામ જેવા અનેકવિધ કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી જેના પગલે આ સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કોગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે, એક રૂપિયો મોકલુ ત્યારે પ્રજા સુધી ૧૫ પૈસા પહોચે છે. વચેટીયાઓ લઈ જતા હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી એક રૂપિયો મોકલે છે ત્યારે સવા રૂપિયાનું કામ થાય છે તે જ આ સરકારની ફળશ્રૃતિ છે.
રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો ૬ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. સરકાર નિર્ણાયક છે સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો લઈને સરકાર આગળ વધી રહી છે.
સંવેદનશીલ, પારદર્શી નિર્ણયો લઈ પૈસા વગર કામ થતુ નથી તેવી લોકો માનસિકતાને તોડવી છે તેવો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.
સરકારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને કાયદા-વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૫૦-૫૦ ટકા જનશકિત થઈ રહી છે તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ માટેના તમામ નિર્ણયો સરકાર કરી રહી છે. કુદકેની ભુસંકે વિકાસ આગળ વધે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોઈ પણ સ્થળે અકસ્માત થાય તો તત્કાલ ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપીને જીવ બચે તે માટેનો સંવેદશીલ નિર્ણય સરકારે કર્યો છે.
રાજયમાં કંમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છતા, ટ્રાફીક, આરોગ્ય, વિજળી, પાણી સહિતની લોકોની સમસ્યા હોય તો એક જ જગ્યાએ તેનો કંટ્રોલ થાય તેવી સુવિધા સુરત મહાનગરપાલિકાએ સાકાર કરી છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ હોય તે માટેના સુવિધાયુકત બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં છ બસ સ્ટેન્ડ શરૂ કર્યા છે. અન્ય ૯ નવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ જિલ્લા કેન્દ્રના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બસ સ્ટેશનો હોય તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રીવોલ્યુવેશન લાવી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. અંતરીયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે માટે મીની બસોનો વધારો કરી સાંકળી લેવામાં આવશે.
સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને ખૂબ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.
આ વેળાએ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પ્રાથમિક સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે. પાણીની સમસ્યાને દેશવટો આપવા માટે રાજય સરકારે જળસંચય અભિયાન ઉપાડયું છે. રાજય સરકારે જ્ઞાતિ-જાતિથી પર રહીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે.
આ પ્રસંગે રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા તેમજ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

May 25, 2018
sujlam.jpg
1min11470

આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં પાણીની અછતને પહોંચી વળવાના ઉદ્દેશથી ૧લી મે એ રાજ્ય સરકારે પ્રારંભ કરેલા જળ અભિયાન લોકભાગીદારીનો મહાયજ્ઞ બન્યો છે, ત્યારે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓએ આગળપડતી ભૂમિકા ભજવી સુમુલ ડેરીની આગેવાનીમાં આજે દાનની સરવાણી વહાવતાં માત્ર ૨૪ કલાકના સમયમાં જ રૂ. એક કરોડનું માતબર અનુદાન આપી જળ અભિયાનમાં સરકાર સાથે સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ અનુદાનની મદદથી નવી પારડી, વાડી અને બુટવાડા ગામના તળાવોને ઊંડા ઉતારી બ્યુટીફિકેશન કરી પ્રવાસનધામરૂપે વિકસાવવામાં આવશે.
સુરત જિલ્લાની વિવિધ મધ્યસ્થ અને નાગરિક સહકારી બેંકો, જીનીંગ મિલો, બજાર સમિતિ, દૂધ ઉત્પાદક સંઘો, સુગર ફેકટરીઓ જેવી સહકારી સંસ્થાઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જળ અભિયાનમાં માત્ર એક દિવસના રેકોર્ડ સમયમાં જ સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.૧ કરોડનું દાન આપ્યું હતું. નવી પારડી ગામે આયોજિત સમારોહમાં દાનના ચેકો સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ત્રણે ગામોના તળાવ ફરતે બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં વોક-વે, લોન, બેસવાની બેંચ અને સોલાર લાઈટની સુવિધાથી સજ્જ કરી રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ વેળાએ નવી પારડી ગામે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તળાવના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.
નવી પારડી ખાતે ચેક અર્પણ સમારોહમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે પાણીનું મહત્વ સમજી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જળ અભિયાનમાં સહભાગી બનવાનો આ સુયોગ્ય અવસર છે. દક્ષિણ ગુજરાતને ઉકાઈ કાકરાપાર ડેમના કારણે એટલી પાણીની અછત વર્તાતી નથી જેટલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વર્તાય છે.
શ્રી પટેલે ચોમાસા પહેલા પાણીની અછત ન પડે તેનું આગોતરું આયોજન કરી ટૂંકાગાળામાં જ ૧૧૦૦૦ હજાર લાખ ઘનફૂટ પાણીની વધારાની સંગ્રહ ક્ષમતાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવી જો આજથી જ પાણીની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવશે તો હવે એ દિવસો દૂર નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે લડાશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રએ વિશ્વસ્તરે નામના મેળવી છે. સુમુલ અને જિલ્લાની સહકારી સંસ્થાઓ લોકહિતના કોઈ પણ કાર્યોમાં હરહંમેશ યોગદાન આપતી રહે છે. જળ અભિયાનમાં પણ અગ્ર ભૂમિકા ભજવી એક કરોડનું માતબર અનુદાન આપવા બદલ તેમણે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવી સંસ્થાઓના નિ:સ્વાર્થ સહયોગથી જળઅભિયાનને નવું બળ મળ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કરી સુજલામ સુફલામ જળ-અભિયાનના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાના મિશનને પૂર્ણ કરવા સર્વને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. માત્ર એક જ દિવસના ટૂંકા સમયમાં એક કરોડનું અનુદાન આપ્યું છે, ત્યારે જિલ્લાનું સહકારી ક્ષેત્ર જળ અભિયાનમાં હંમેશ માટે અગ્રેસર રહેશે. જનશક્તિના માધ્યમથી જળશક્તિના નિર્માણના સંકલ્પ સાથે આ અભિયાનને સહકારી ક્ષેત્રનો સમ્પૂર્ણ સહયોગ હોવાનું જણાવી સરકાર જો પાણી બચાવવા આ ભગીરથ કાર્ય કરી રહી હોય, ત્યારે સહકારી સંસ્થાઓની પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની ફરજ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ગુજરાત કૃષિ કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઈ જાની, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રિતેશ વસાવા, પારડીના સરપંચ શ્રીમતી ભાનુબેન, કામરેજ પ્રાંત શ્રી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહકારી સંસ્થાઓનું યોગદાન
• સુમુલ ડેરી: રૂ.૧૦ લાખ
• સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક: રૂ.૧૦ લાખ
• સુરત પીપલ્સ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુટેક્ષ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુરત જિલ્લા સહકારી સંઘ: કો.ઓપ.બેંક: રૂ. ૦૩ લાખ
• ગુજરાત સ્ટેટ ફુડ એન્ડ માર્કેટિંગ ફેડરેશન: રૂ.૦૫ લાખ
• બાબેન ખેડૂત સહકારી જીનિંગ મિલ: રૂ.૦૫ લાખ
• વરાછા કો-ઓપરેટિવ બેન્ક: રૂ. ૨.૫૧ લાખ
• સુરત મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક: રૂ. ૨.૫૧ લાખ
• સર્વોદય સહકારી બેંક: રૂ. ૨.૫૦ લાખ
• કામરેજ ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી સંઘ: રૂ. ૧.૫૧ લાખ
• ખેડૂત ખરીદ-વેચાણ સહકારી સંઘ, બારડોલી : રૂ.૫ લાખ
• બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી: રૂ. ૨ લાખ
• પુરુષોત્તમ ફાર્મર્સ, જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મિલ: રૂ. ૧ લાખ
• અખંડ-આનંદ કો.ઓપ.બેન્ક: રૂ.૧ લાખ
• નેશનલ કો-ઓપ. બેંક: ૧.૫૧ લાખ

May 24, 2018
millionares.jpg
1min10330

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
baroda_court.jpg
1min12020

અમદાવાદની ભદ્ર ખાતે તૈયાર થઇ રહેલી નવ માળની મલ્ટીસ્ટોરીડ સેશન્સ કોર્ટનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, આગામી 4 મહિનામાં કોર્ટના ફર્નિચર સહિતની જગ્યાનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તે વકીલોને બેસવા ફાળવી દેવાશે.  નવ નિર્મિત નવ માળની સેશન્સ કોર્ટમાં ગ્રાઉન્ડ તથા ફર્સ્ટ ફ્લોર વકીલોની બેઠક વ્યવસ્થા હશે. બીજા માળે સ્મોલકોઝ કોર્ટ, ત્રીજા માળે સિવિલ કોર્ટ અને ચોથા માળથી સેશન્સ કોર્ટ કાર્યરત થશે. નવમા માળે કોન્ફરન્સ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે વકીલો અને પક્ષકારો માટે 8 લિફ્ટની વ્યવસ્થા કરાઇ છે. જૂની સેશન્સ કોર્ટ ખાતે પાર્કિંગ માટે મોટા પ્રશ્નો હતો પરંતુ નવી કોર્ટમાં જિલ્લા પંચાયતની સામે મેઇન ગેટ હશે અને આસપાસના કંપાઉન્ડમાં 250 જેટલી કાર પાર્ક થઇ શકશે ઉપરાંત હજાર જેટલા ટુ વ્હીલર જ્યારે જજ અને જ્યુડિશિયલ ઓફિસરો માટે ભોંયરામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે પણ પક્ષકારો તથા અન્ય લોકો પાર્કિંગ કરી શકશે. જે માળ પર કોર્ટ આવેલી હશે તે તમામ માળ પર વકીલોને બેસવા માટે (વેઇટિંગરૂમ) ઉપરાંત અસીલો, પોલીસ, કેદી માટે પણ બેસવા માટે ખુરશી, પંખા, ઠંડુ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની સેશન્સ કોર્ટમાં કોર્ટ રૂમ નાના હતા અને તેમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હતી. પરંતુ નવી સેશન્સ કોર્ટમાં દરેક કોર્ટમાં 50થી 60 લોકો બેસી શકે તે માટે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે કેદીઓ માટે પણ અલગ જગ્યાની ફાળવણી કરાઇ છે. ઉપરાંત પેપર લેસ કોર્ટ બનાવવા માટે દરેક કોર્ટમાં લેપટોપ અને વાઇફાઇ મળે તે માટે અલગ પોર્ટની અલાયદી વ્યવસ્થા છે. આ ઉપરાંત કેદીને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરી શકાય તે માટે વિીડિયો કોન્ફરન્સ માટે પણ જુદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

નવી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલોને યોગ્ય વ્યવસ્થા માટે અત્યારથી જ કવાયત હાથ ધરાઈ છે. નવ માળની નવી સેશન્સ કોર્ટ વકીલો, અસીલો, પોલીસ, જજ, કેદી સહિતના લોકો માટે વિશેષ આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેમાં વાઇફાઇ, વીડિયો કોન્ફરન્સ, બેસવાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓને સમાવેશ થાય છે.

સેશન્સ કોર્ટ ભદ્ર ખસેડાતા ફેમિલી કોર્ટ (હાલ જ્યાં સેશન્સ કોર્ટ કાર્યરત છે)માં ભીડ ઘટશે.

 

May 24, 2018
gujcmdcm.jpg
1min14760

રાજ્ય સરકાર દ્વારા સરકારી પડતર જમીન વિવિધ હેતુ માટે આપવામાં આવે છે તેની જે કિંમત છે તેની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. હાલ પડતર જમીનની જે બજાર કિંમત હોય તેના કરતા પડતર જમીનની કિંમત વધુ આવતી હોય તેવું અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે જેથી જાહેર હેતુ માટે જે જમીન આપવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. તેને લઇને કિંમત ઘટાડવા રાજ્ય સરકારના મહેસૂલી વિભાગથી લઇને નિર્ણયકર્તાઓમાં વિચારમંથન શરૂ થયું હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્ય સરકારની માલિકીની મનાતી પડતર જમીનની જે કિંમત નક્કી કરતી હાલની ફોર્મ્યુલામાં શું ફેરફાર કરી શકાય તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આ માટે લીલી ઝંડી મળ્યા બાદ સરકારી પડતર જમીન માટે નવી કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

સરકાર દ્વારા પડતર જમીન હોય તે વિવિધ હેતુ માટે આપવામાં આવતી હોય છે. જેમાં શૈક્ષણિક હેતુથી કેટલાક ટ્રસ્ટ દ્વારા જમીનની માગણી થતી હોય છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ માટે પણ સરકાર પાસે પડતર જમીનની માગણીઓ આવતી રહેતી હોય છે. તે ઉપરાંત સરકારના પોતાના બોર્ડ-નિગમોના કામકાજ માટે પણ આવી જમીન આપવામાં આવતી હોય છે. જો કે આવી જમીનની કિંમત નક્કી કરતી વખતે એ ધ્યાન પર આવ્યું છે કે સરકારી ફોર્મ્યુલા મુજબ જંત્રી પ્રમાણે જે રકમ નક્કી કરવામાં આવેલી છે તે જે તે સ્થળે આવેલી જમીનની બજાર કિંમત કરવા વધુ હોય છે. તેના કારણે સરકારને જમીનની કિંમત વધુ થતી હોવાની રજૂઆતો પણ કેટલીક સંસ્થાઓ દ્વારા મળતી હોય છે.

May 23, 2018
collector.jpg
1min11620

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ આજે ટ્વીટ કરીને એવી જાણકારી આપી હતી કે તેમણે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેની ફરજના ભાગરૂપે આજે સુડાની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.35 જેમાં કુંભારીયા, દેવધ, સણિયા-હેમાદ વગેરેના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ટી.પી. રોડ ખુલ્લા કરવા માટે સ્થાનિક ખેડૂતોની સાથે મંત્રણા જરૂરી હતી. કલેક્ટરે તેમની ટ્વીટમાં જણાવ્યું હતું કે ખેડૂતો સાથેની મિટીંગ ફળદાયી નિવડી છે. તેમણે સ્થળ પર ટી.પી. સ્કીમના નક્શાઓ તેમજ અન્ય બાબતોની પણ ચકાસણી કરી હતી. તેમણે ખેડૂતોને સમજાવ્યા હતા કે આ વિસ્તારમાં ટી.પી. સ્કીમના અમલીકરણને પગલે સમગ્ર વિસ્તારનો આયોજનબદ્ધ રીતે વિકાસ શક્ય છે. તેમણે આજની મિટીંગમાં ગામવાસીઓ તરફથી સાંપડેલા સહકારની કદર કરી હતી.

May 22, 2018
mukesh-ambani.jpg
1min9660

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
bramos.jpeg
1min11790

ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.

બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.

૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)

May 9, 2018
2018_5large_adb1.jpg
1min11270

ચાલુ વર્ષે ભારતની જીડીપી વૃદ્ધિનો સાત ટકા ઉપરનો અંદાજ ઘણો ઝડપી છે અને જો આ ગતિ જાળવી રાખવામાં આવશે તો આગામી એક દાયકામાં અર્થતંત્રનું કદ વધીને બમણું થઈ જશે તેમ એશિયન ડેવલપમેન્ટ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ જણાવ્યું હતું. ભારતે આઠ ટકાનો વૃદ્ધિ દર હાંસલ નહીં કરી શકવા અંગે ચિંતા કરવાને બદલે આવકની અસમાનતા દૂર કરી સ્થાનિક માગમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું