રાજ્યના કુલ ૩૩ જિલ્લા પૈકીના માત્ર પંચમહાલ, મહીસાગર, નર્મદા અને ભરુચ જેવા માત્ર ૪ જિલ્લામાં ૩૬થી ૪૧ ટકા પાણી છે. તે સિવાયના ૨૯ જિલ્લાઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

રાજ્યના કુલ ૨૦૩ જળાશયો (ડેમો)માંથી હાલ પાણીનો હયાત જથ્થો ૨૧.૩૭ ટકા જેટલો છે. એમાં પણ પાણીનો વાપરવા લાયક (જીવંત) જથ્થો તો માંડ ૧૫.૫૩ ટકા જેટલો બચ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રની સ્થિતિ તો એકદમ દયનીય બની છે. અહીંના જામનગર, પોરંબદર, બોટાદ, દ્વારકા જિલ્લાના ડેમોમાં તો શૂન્ય ટકા પાણી છે.
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્ય સરકાર સાબદી થઈ છે. મુખ્યમંત્રીએ તાકીદના ધોરણે ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજીને પાણીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકોને પીવા માટેનું પાણી પહોંચાડવા માટે જે કરવું પડે તે કરવા, તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરી છે. હવે આવી આકરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ સિવાય અન્ય સહારો જ રહ્યો નથી.
રાજ્યમાં જે કુલ ૧૭ મોટા ડેમો છે. એમાં પણ હાલ, તેની પાણીની કુલ સંગ્રહ શક્તિના માત્ર ૨૨ ટકા પાણી છે. મોટા ડેમો પૈકી કડાણા, પાનમ ડેમોમાંથી ૫૧-૫૧ ટકા અને કરજણ ડેમમાં ૪૩ ટકા પાણી છે. તે સિવાયના તમામ મોટો ડેમોમાં પણ ૨૦ ટકાથી ઓછું પાણી છે.
એવી જ રીતે, સરદાર સરોવર નર્મદા ડેમોમાં પણ હાલ, પાણીની તેની કુલ સંગ્રહ શક્તિની સરખામણીમાં ૫૧ ટકા જેટલું પાણી જરુર છે પણ તેમાંથી વાપરવા લાયક પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૧૯ ટકા જેટલો જ બાકી રહ્યો છે.
સરકારે સરદાર સરોવર નર્મદા ડેમ આધારિત કેનાલ, પાઈપાલઈન નેટવર્કનો ઉપોયગ કરીને, અન્ય જિલ્લાઓના ખાલી ડેમો, તળાવો પાણીથી ભરીને લોકોને પીવા માટે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવાની શરુઆત કરી દીધી છે.