CIA ALERT

બિઝનેસ Archives - Page 57 of 76 - CIA Live

April 2, 2019
SGCCI.jpg
1min8110

દિનેશભાઇ નાવડીયાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, પણ તેમની સાથે બીજા 16 ઉમેદવારોએ ઝુકાવ્યું છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વાઇસ પ્રેસિડેન્ટની એક પોસ્ટ માટે યોજાનારી ચૂંટણીમાં આ વખતે પહેલી વખત ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિને ચૂંટી કાઢવાની દરખાસ્ત સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. સુરતના અર્થતંત્રમાં મોટું યોગદાન ધરાવતા ડાયમંડ ઉદ્યોગમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ દાવેદારી નોંધાવી છે.

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આ મુજબનો પત્ર જારી કરવામાં આવ્યો છે.

એ પૂર્વે તા.1લી એપ્રિલ 2019ના રોજ ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત સુધીમાં કુલ 17 મેમ્બર્સે ઝંપલાવ્યું છે. આ મેમ્બર્સની નામાવલી માં

  • દિનેશ નાવડીયા
  • નીતિન ભરૂચા
  • નિખીલ મદ્રાસી
  • હિમાંશુ બોડાવાલા
  • મહેશ વાણાવાલા
  • અતુલ પાઠક
  • રાજેન્દ્ર લાલવાલા
  • બંદના ભટ્ટાચાર્ય
  • ભદ્રેશ શાહ
  • જનક પચ્ચીગર
  • આશા દવે
  • હરીવદન રાણા
  • સુનીલ જૈન
  • દિપક શેઠવાલા

વગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા.6 એપ્રિલના રોજ ઉમેદવારી પરત કરવાની અંતિમ મુદત છે એ પછી પણ ચારેક ઉમેદવારો મેદાનમાં રહે તેવી શક્યતા જોવાય રહી છે. ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આ વખતે ત્રિપાંખીયો જંગ નહીં પણ બહુંપાંખીયો જંગ ખેલાય તેવી ભીંતી વર્તાય રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલએ તાજેતરમાં મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં બાંયો ચઢાવીને છેવટે પાણીમાં બેસી ગયા હતા. પરંતુ, આ ઘટનાના એવા પ્રત્યાઘાત ચેમ્બરના વહીવટ પર પડ્યા છે કે હવે દરેક તબક્કે જ્યાં પોસ્ટ-પદ વહેંચવાની વાત આવશે ત્યાં ચૂંટણી વગર નિવેડો નહીં આવે એવો ટ્રેન્ડ સેટ થઇ ગયો છે. આ વખતે પણ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવનારા દાવેદારોનો મૂડ એવો જ છે કે હારી જઇએ તો હારી જઇએ પણ ચૂંટણી તો લડવી જ છે. આ વખતે પાસ્ટ પ્રેસિડેન્ટસને સર્વસંમતિ સધાવામાં ઝાઝી સફળતા મળે તેમ જણાતું નથી.

 

April 2, 2019
gst.jpg
1min7550

માર્ચ મહિનામાં GST કલેક્શન વધીને ₹1.06 લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ફેબ્રુઆરીમાં સરકારની GST આવક ₹97,247 કરોડ રહી હતી. રિટર્નની સંખ્યામાં વૃદ્ધિને પગલે કમ્પ્લાયન્સમાં સુધારો થવાથી GSTના આંકડામાં વધારો નોંધાયો છે.

સત્તાવાર નિવેદન અનુસાર માર્ચ 2019માં GSTની કુલ આવક ₹1,06,577 કરોડ રહી છે. જેમાં કેન્દ્રીય GST ₹20,353 કરોડ, સ્ટેટ GST ₹27,520 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST ₹50,418 કરોડ અને સેસ ₹8,286 કરોડ છે.

31 માર્ચ સુધીમાં ફાઇલ કરાયેલા ફેબ્રુઆરી મહિનાના GSTR-3B સમરી સેલ્સ રિટર્નની કુલ સંખ્યા 75.95 લાખ રહી છે. GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધીમાં માર્ચ 2019નું GST કલેક્શન સૌથી વધુ છે, જે માર્ચ 2018ની તુલનામાં 15.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

માર્ચ 2018માં GST કલેક્શન ₹92,167 કરોડ નોંધાયું હતું. 2018-’19માં GST રેવન્યુની માસિક સરેરાશ ₹98,114 કરોડ રહી છે, જે અગાઉના નાણાંકીય વર્ષની તુલનામાં 9.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે, ઘણી ચીજોના GST દરમાં ઘટાડો છતાં છેલ્લા કેટલાક મહિનાથી GST કલેક્શન વધી રહ્યું છે.

સરકારે 2018-’19 માટેનો GST કલેક્શન ટાર્ગેટ ઘટાડીને ₹11.47 લાખ કરોડ કર્યો છે, જે અગાઉ ₹13.71 લાખ કરોડ હતો. GST કલેક્શન એપ્રિલમાં ₹1.03 લાખ કરોડ, મેમાં ₹94,016 કરોડ, જૂનમાં ₹95,610 કરોડ, જુલાઇમાં ₹96,483 કરોડ, ઓગસ્ટમાં ₹93,960 કરોડ, સપ્ટેમ્બરમાં ₹94,442 કરોડ, ઓક્ટોબરમાં ₹1,00,710 કરોડ, નવેમ્બરમાં ₹97,637 કરોડ, ડિસેમ્બર 2018માં ₹94,725 કરોડ, જાન્યુઆરી 2019માં ₹1.02 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં ₹97,247 કરોડ હતું. 2019-’20 માટે GST કલેક્શન ટાર્ગેટ ₹13.71 લાખ કરોડ નિર્ધારિત કરાયો છે.

ઊંચા કલેક્શનને કારણે સીધા વેરાની વસુલાતમાં ઘટ પૂરવામાં મદદ મળશે. માર્ચના અંત સુધીમાં સીધા વેરાની વસુલાતનો અંદાજ ₹11.50 લાખ કરોડ છે. કર અધિકારીઓ એપ્રિલને બદલે માર્ચના અંતમાં પીએસયુને ટીડીએસ જમા કરાવવા સહિતના ઉપાય અજમાવતા હોય છે. 2018-19 માટેના સુધારેલા અંદાજમાં સરકારે સીધા કરવેરાની વસુલાતનો આંક ₹11.5 લાખ કરોડથી વધારીને ₹12 લાખ કરોડ કર્યો છે. આમ, સુધારેલા અંદાજ કરતાં ₹60,000 કરોડની ઘટ રહેવાનો અંદાજ છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વિભાગના અધિકારીઓ દ્વારા વસુલાત માટેનાં છેલ્લી ઘડીનાં પ્રયાસને પગલે જીડીપીના 3.4 ટકાના રાજકોષીય ખાધનો લક્ષ્ય વસુલ થશે એવો વિશ્વાસ નાણાં મંત્રાલયે વ્યક્ત કર્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં રાજકોષીય ખાધ સમગ્ર વર્ષનાં લક્ષ્ય કરતાં 34.2 ટકા વધી ગઇ હતી.

March 30, 2019
eway_bill.jpg
1min7730

GSTની ચોરી અટકાવવા ઇ-વે બિલમાં નવા ફેરફાર થશે

જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

  • એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાશે
  • પોસ્ટલ પીનલ કોડના આધારે માલ હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે
  • ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે


ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.

સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્‌નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.

અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.  જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.

નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.

ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.

March 26, 2019
home_appliances-1-1280x489.jpg
1min11480

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ નીચું વેચાણ ધરાવતી પ્રોડક્ટ્સના ભાવમાં ચાલુ મહિને લગભગ 20 ટકાનો ઘટાડો કર્યો છે. કન્ઝ્યુમર માંગ નબળી છે ત્યારે માલનો ભરાવો થયો હોવાથી તેના નિકાલ માટે અમુક પ્રોડક્ટના ભાવ ઘટાડવા પડ્યા છે તેમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું.

દિવાળી પછી માંગ લગભગ સપાટ છે. આ વખતે ઉનાળો પણ મોડો આવ્યો હોવાના કારણે રેફ્રિજરેટર અને એર કંડિશનરના વેચાણમાં મંદી છે. ડીબીએસ-એમ્કેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એલજી, સેમસંગ, પેનાસોનિક, વ્હર્લપૂલ, ગોદરેજ, ડાઇકિન, હિટાચી, વોલ્ટાસ અને કેરિયર જેવી કંપનીઓએ જુલાઈ-ઓક્ટોબરના ભાવની તુલનામાં આ વખતે ભાવમાં લગભગ 20 ટકા સુધી ઘટાડો કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે કેટલીક બ્રાન્ડે ફેબ્રુઆરીમાં ભાવ વધાર્યા હતા પરંતુ માર્ચમાં તેમાં ઘટાડો કર્યો છે. ઉદાહરણ તરીકે કેરિયરે 1.5 ટનના થ્રી સ્ટાર એસીના ભાવમાં પાંચ ટકાનો કાપ મૂક્યો છે જ્યારે વ્હર્લપૂલે આવા જ મોડલનો ભાવ ત્રણ ટકા ઘટાડ્યો છે. રેફ્રિજરેટરમાં એલજીએ માર્ચમાં બે મોડલના ભાવ 5-9 ટકા ઘટાડ્યા છે. આઇએફબીએ અમુક વોશિંગ મશીનના મોડલના ભાવ ઘટાડ્યા છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ કહ્યું કે બ્રાન્ડ્સ વચ્ચે નબળી માંગના કારણે ભાવમાં ફેરફાર કરાયો છે. શિયાળો લાંબો ચાલ્યો હોવાથી માર્ચમાં વેચાણ વધારવા ભારે પ્રેશર છે અને બ્રાન્ડ્સ વેચાણ વધારવા માંગે છે. અત્યારે બજારમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઓફર્સ ચાલુ છે.

મુંબઈમાં 26 સ્ટોર ધરાવતી રિટેલર કોહિનૂર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર વિશાલ મેવાણીએ કહ્યું કે દિવાળી પછી ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. શિયાળો હજુ સુધી ચાલતો હતો તેથી માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઉનાળામાં એપ્લાયન્સનું વેચાણ વધવાની આશા છે. ૫૫ ઇંચના ટીવીમાં બ્રાન્ડ્સે ભાવમાં ₹5,000થી ₹8,000નો ઘટાડો કર્યો છે.

ડીબીએસ-એમ્કેના રિપોર્ટ મુજબ પેનાસોનિક, હિટાચી, કેરિયર, લોઇડ અને વ્હર્લપૂલે એસીના ભાવમાં માર્ચમાં 4-20 ટકા ઘટાડો કર્યો છે. રેફ્રિજરેટરમાં ગોદરેજ, સેમસંગ, એલજી અને વ્હર્લપૂલે ઓક્ટોબરની સરખામણીમાં 5-17 ટકાનો ઘટાડો કર્યો છે. વોશિંગ મશીન્સમાં પણ આવી જ રીતે ભાવ ઘટ્યા છે જેમાં આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી, પેનાસોનિક સામેલ છે.

પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ કહ્યું કે સામાન્ય રીતે બ્રાન્ડ્સ એપ્રિલમાં ટીવી અને વોશિંગ મશીનનાં નવાં મોડલ લોન્ચ કરે છે. તેથી ઇન્વેન્ટરીને આધારે જે મોડલ બંધ થવાના હશે તેના પર ડિસ્કાઉન્ટ મળશે. હવે આનાથી વધારે ભાવ ઘટવાની શક્યતા નથી.

એલજી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ કહ્યું કે સાઉથ અને વેસ્ટમાં ઉનાળામાં સમર એપ્લાયન્સિસની સારી માંગ જોવા મળે છે. તેમણે દાવો કર્યો હતો કે કોઈ પ્રોડક્ટના ભાવ ઘટ્યા નથી.

વૈશ્વિક બજારમાં ઓઇલના ઊંચા ભાવ અને ડોલર એક્સ્ચેન્જ રેટને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં કંપનીઓએ ભાવમાં વધારો અટકાવ્યો હતો કારણ કે બજારમાં માંગ નબળી હતી. ત્યાર બાદ દિવાળી વખતે પણ વેચાણ જોઈએ તેવું સારું રહ્યું ન હતું.

March 24, 2019
sugar.jpg
1min33860
જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
  • સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
  • સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.

સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો

બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.
March 22, 2019
gst.jpg
1min12090
  • નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક
  • અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી

નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.

અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.

સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.

March 21, 2019
mumbai_indian.png
1min8810

ફોર્બ્સે ના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સની કુલ માર્કેટ વેલ્યુ 50 બિલિયન ડોલર

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

 

13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો

ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે

ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોપ સ્પોર્ટ્સ ટીમ માલિક

ટીમના માલિક     
                  ટીમ                રમત                             નેટવર્થ

મુકેશ અંબાણી                  મુંબઇ ઇન્ડિયન્સ     આઇપીએલ           50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર                   લોસ એન્જલિસ      એમબીએ             41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ         રેડ બુલ                   ઓટો રેસિંગ          18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી    સાન જોસ શાર્ક      આઇસ હોકી          13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ           ચેલ્સી ક્લબ            ફુટબોલ                 12.4 બિલિયન ડોલર

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min13400

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 20, 2019
jet-1280x720.jpg
1min3410

ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.

  • 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
  • નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે

ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.

સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.

March 15, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min6530

ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં નરેન્દ્ર મોદી સુપર હિરોની ઇમેજ ધરાવી રહ્યા છે, મોદીના નામ પર આજે ભારતમાં કંઇપણ વેચાય જાય છે, કેટલાક ધંધાદારીઓએ ફેસબુક પર મોદીના ફોટા અને નામ પર ધંધા શરૂ કરી દીધા હતા

ફેસબુકની એડ લાઇબ્રેરી પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી મોદીની ઇમેજ એન્કેશ કરવાનો ધંધો કરી રહ્યા છે

ભારતમાં નરેન્દ્ર મોદીની ઇમેજ કોઇ કાલ્પનિક સુપર હીરો કરતા પણ વધી ગઇ છે, લોકો નરેન્દ્ર મોદીને રોબિનહુડ, સુપરમેનથી લઇને ભગવાનનું માનવીય સ્વરૂપ માનવા લાગ્યા છે, સારી બાબતોની સાથે કેટલીક નરસી બાબતો પણ જોડાયેલી છે એમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેણમાં પોતાની બ્રાન્ડ વહાવીને રોકડી કરવા માંગતો તત્વો પણ મોદીની ઇમેજને બેરોકટોક પણે એન્કેશ કરી રહ્યા હતા. જેને ફેસબુકે બંધ કરાવ્યા છે.

સોશિયલ મીડિયામાં મોદીના ફોટાની આડમાં કમાણી કરવા માંગતી નાની બ્રાન્ડ્સ અને કેટલાક સ્માર્ટ કૌભાંડીઓ મોદીની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. ફેસબુકની એડ પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી તેમની લોકપ્રિયતામાંથી રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્ માટે મોદીના ફોટાનો ઉપયોગ કરનારી અન્ય ફર્મ્સમાં ફ્રેશર્સ ગ્રૂપ, ટુડે વોકિન્સ, ગવર્મેન્ટ જોબ્સિફાય, ઓમ નૌકરી અને પ્રાઇવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલ્સ સામેલ છે.

મોદીના ફોટાનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરાતો હોવાની ફરીયાદો મળતા જ ફેસબુકે આખરે આ તમામ ફેક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડ્ મુકાયા પછી જાણ થઈ હતી કે, વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય મહત્ત્વના વ્યક્તિ સાથે સંકળાયેલી છે. ફેસબુક પરની એક એડ્માં બે હાથમાં પિસ્તોલ અને પીઠ પર મોટી બંદૂક સાથેના વ્યક્તિના ચહેરા પર મોદીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાંથી બહાર નીકળતા એ વ્યક્તિએ કાઉબોય હેટ અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આ ₹799ના ‘PubG વાળાં ચશ્માં’ની એડ્ હતી, જેમાં મોદીનો ઉપયોગ કરાયો હતો.

ઓનલાઇન પેરેન્ટિંગ પ્લેટફોર્મ્સ બેબીચક્ર અને હેલોફીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અને ગર્ભવતી મહિલાની બાજુમાં વડાપ્રધાન મોદીનો ફોટો દર્શાવ્યો હતો. વાસ્તવમાં તો હેલોફીની સોશિયલ મીડિયા એડ્માં દાવો કરાયો હતો કે, તે ભારત સરકારની પ્રેગનન્સી એપ્લિકેશન હતી.

બેબીચક્ર અને હેલોફીને અનુક્રમે ઇક્વાનિમિટી વેન્ચર્સ અને ઓમિડ્યાર નેટવર્ક જેવા રોકાણકારોની છાયામાં રહીને બંને કંપનીએ કુલ 25 જેટલી જાહેરાતો પાછળ ₹15 લાખ જેટલો ખર્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ, 1950 મુજબ વ્યાવસાયિક હેતુ માટે વડાપ્રધાન મોદીના નામ અને તસવીરના ઉપયોગ પર પ્રતિબંધ છે. 2016માં એડ્ માટે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવા PayTM અને રિલાયન્સ જિયોને કડક ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ભાજપના અમિત માલવિયાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. બેબીચક્ર અને હેલોફીએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોદીના ફોટાનો ઉપયોગ કરતી કેટલીક એડ્ શંકાસ્પદ અને છેતરપિંડીવાળી હતી. જેમ કે, ડિજિટલ ઇન્ડિયા મોબાઇલ્સ નામના એક ફેસબુક પેજ પર વડાપ્રધાને લોન્ચ કરેલી યોજનાના નામે ₹499માં સ્માર્ટફોનનું વેચાણ થતું હતું. 

વાસ્તવમાં સરકારે આવી કોઈ સ્કીમ લોન્ચ કરી નથી. એવી રીતે ‘પ્રધાનમંત્રી યોજના’ અને ‘જનધન યોજના’ના અન્ય પેજમાં PayTM એકાઉન્ટમાં ₹99 ટ્રાન્સફર કરી સ્માર્ટફોન મેળવી શકાતો હોવાનો દાવો કરાયો હતો. આવા પેજ પર યુઝર્સને .TK ડોમેનવાળી વેબસાઇટ્સ પર લોગ-ઈન કરવાનું જણાવાય છે. ઘણા કિસ્સામાં આવી વેબસાઇટ્સનો ઉપયોગ કૌભાંડીઓ કરતા હોય છે.