
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.
રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.
સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.

























