વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.
મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
તાજેતરમાં ગુજરાત સરકારે સી.એન.જી. અને પી.એન.જી. ગેસ પર વસૂલાતા વેટના 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સી.એન.જી. ગેસ પંપ ધારકોએ વાહનચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સીએનજી પંપ ધારકોની કમિશન વધારવા અંગેની માગણી ચારથી પાંચ વર્ષથી પેન્ડીંગ છે.
એક પત્રકાર પરિષદમાં સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પૂરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવવાનો વખત આવ્યો છે. આ પ્રકારે ધંધો થઇ શકે નહીં આથી તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અચોક્કસ મુદત માટે સીએનજી પંપો પરથી ગેસ પુરવઠો નહીં મળે.
સીએનજીનો દર રૂ.43 હતો ત્યારે જે કમિશન મળતું તે આજે રૂ.83એ પણ યથાવત્
સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સીએનજી ગેસ પ્રતિ કિલોએ રૂ.43ના દરે વેચાતો હતો ત્યારે સીએનજી પંપ ધારકોને જે કમિશન મળતું હતું એ જ કમિશન આજે સીએનજીનો દર રૂ.83નો થયો છે ત્યારે પણ યથાવત છે. પંપ ધારકોના કમિશનમાં વધારાની માગણી છેક 2019થી પેન્ડીંગ છે. ઉલ્ટાનું કેન્દ્ર સરકારે વધારાનું કમિશન ચૂકવવાનો આદેશ આપ્યો છે છતાં કંપનીઓએ કરોડો રૂપિયાનું કમિશન જમા રાખ્યું છે અને પંપ ધારકોને ચૂકવતી નથી.
પંપ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની પાસેથી સીએનજી ગેસ સપ્લાય પર 5 ટકા વેટ વસૂલવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નહીં કરવામાં આવે.
નવી દિલ્હી : રાજસ્થાનનાં નામે આજે નવો વિક્રમ નોંધાઈ રહ્યો છે. રાજ્યના રાજસમંદ જિલ્લામાં આજે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ યોજાવાનું છે. રાજસમંદના નાથદ્વારામાં બનેલી આ શિવ પ્રતીમાની ઉંચાઈ ૩૬૯ ફીટ છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા બની રહેશે. તેનું નામ ‘વિશ્વાસ સ્વરૂપમ’ રાખવામાં આવ્યું છે.
આ પ્રતીમાનો લોકાર્પણ કાર્યક્રમ ૨૯ ઓક્ટો.થી ૬ નવે. સુધી ચાલશે. આ પ્રતીમાનાં નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. આ પ્રતિમા ‘સંત-કૃપા-સનાતન-સંસ્થાના’ દ્વારા તૈયાર કરાવાઈ છે.
આ સંસ્થાના ટ્રસ્ટી મદન પાલીવાલે આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે સવિસ્તાર માહિતી આપતા કહ્યું હતું કે, આ લોકાર્પણ યજ્ઞામાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને તે દરમિયાન મોરારી બાપુની ‘રામકથા’નું નવાન્હા-પારાયણ પણ યોજવામાં આવનાર છે.
આ પ્રતીમા શ્રધ્ધાળુઓ અને પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમ કહેતાં સંસ્થાના ટ્રસ્ટીઓ જણાવે છે કે નાથદ્વારાની ‘ગણેશ ટેકરી’ ઉપર આ રચાયેલી ૩૬૯ ફીટની આ પ્રતીમા ૫૧ વીઘા જમીનમાં સ્થાપિત કરાઈ છે. ધ્યાન-મુદ્રામાં બિરાજમાન ભગવાન શિવની આ પ્રતિમા ૨૦ કી.મી. દૂરથી દેખાશે. રાત્રીના સમયે પણ આ પ્રતીમા જોઈ શકાય તે માટે ખાસ લાઇટો ગોઠવવામાં આવી છે.
આ પ્રતીમા વિશ્વની એક માત્ર મૂર્તિ બની રહેશે કે જેમાં લીફ્ટ અને સીડીઓ તથા શ્રધ્ધાળુઓ માટેનો હોલ પણ હશે. પ્રતીમાના સૌથી ઊંચા ભાગ સુધી પહોંચવા ૪ લિફ્ટ અને ૩ સીડીઓ બનાવાઈ છે. પ્રતીમા નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. તે માટે ૩૦૦૦ ટન સ્ટીલ અને લોખંડ તથા અઢી લાખ ક્યુબિકરન સીમેન્ટ, ક્રોંકીટનો ઉપયોગ કરાયો છે.
આ મૂર્તિ ૨૫૦ વર્ષની સ્થિરતાને લક્ષ્યમાં રાખી બનાવવામાં આવી છે. તે કલાકે ૨૫૦ કીલોમીટરની ઝડપે ફૂંકાતા પવનના સૂસવાટા સામે પણ ટક્કર લઈ શકે તેવી છે. આ પ્રતિમાની ડીઝાઈનનો વીન્ડ-ટનલ-ટેસ્ટ (ઉંચાઈ પર ફૂંકાતી હવાનું પરીક્ષણ) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. વરસાદ અને તડકાથી તેનું રક્ષણ કરવા માટે તેની ઉપર ઝિંકનું કોટિંગ અને તે પછી કોપરનો કલર કરવામાં આવ્યો છે.
અહીં શ્રધ્ધાળુઓ અને વિદેશી પર્યટકોનાં પણ મનોરંજન માટે ‘બંજી-જમ્પીંગ’ બનાવાઈ છે. ઋષિકેશ પછી આ સૌથી મોટી ‘બંજી-જંપીંગ’ બની રહેશે. તે સાથે ફૂટ-કોર્ટ, ગેઈન ઝોન, ઝીપ-લાઇન, ગો-કાર્ટિંગ, એડવેન્ચર-પાર્ક તથા જંગલ-કાફેનું પણ નિર્માણ કરાયું છે.
આ ઉપરાંત લાઇટ અને સાઉન્ડનો ‘૩-ડી’ ઉપયોગ કરી શિવ-સ્તુતિનું પ્રસારણ થશે. જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ પ્રતીમાની સુરક્ષા માટે પૂરૂં ધ્યાન રખાયું છે. ફાયર સેફ્ટી સાધનો તૈનાત રહેશે. તેમને માટે પાણીનું તળાવ પણ બનાવાયું છે. આ ઉપરાંત ‘ગોલ્ફ-લિંકસ’ પણ બનાવાઈ છે. આ સર્વેની સુરક્ષા માટે ખૂબ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ રાત-દિવસ તૈનાત રહેશે.
વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.
પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.
ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’
પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે. જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.
ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.
ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે Date 29/10/22 એક લોકપ્રિય નાઈટ સ્પોટ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ સર્જાયેલી ભાગદોડને પગલે અનેક લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. રાષ્ટ્રપતિ યૂન સુક-યૂલે આ અંગે યોંગસાન ગૂ જીલ્લામાં આપદા ટીમને મદદ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલોવીન પ્રસંગે આ ઘટના બાદ ભારે ભીડની સ્થિતિમાં ભાગદોડ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 155 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે આ સંખ્યા કેટલાક ડઝનમાં હોઈ શકે છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસ વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાવોનના માર્ગો પર નોંધાયેલ લોકોને CPR આપવામાં આવી રહ્યા છે ,જ્યારે અનેક લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે પીડિતોને તાત્કાલિક સારવાર કરાવવા અને ઉત્સવ સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.
Tesla કંપનીના CEO ઈલોન મસ્ક આખરે સંપૂર્ણપણે Social Media Platform Twitter ટ્વિટરના માલિક બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો કંટ્રોલ હવે તેમના હાથમાં છે. અને ઈલોન મસ્ક એક્શન મોડમાં આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 3 ટોચના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. ટ્વિટર હેડ ક્વાર્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈલોન મસ્કની ડીલ ક્લોઝ થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને નેડ સેગલ સેન ફ્રાન્સિસ્કો ખાતે હેડક્વાર્ટર્સમાં જ હાજર હતા, પરંતુ પછી તેમને ત્યાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. ઈલોન મસ્કનો આરોપ છે કે, આ લોકોએ તેમને અને અન્ય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. હજી સુધી આ છટણી બાબતે ઈલોન મસ્ક, પરાગ અગ્રાવલ તેમજ અન્ય બે અધિકારીઓએ કોઈ ટિપ્પણી નથી કરી.
ઈલોન મસ્કના આ પગલાથી ટ્વિટરના કર્મચારીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે, ઈલોન મસ્ક તરફથી ટ્વિટરના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે 75 ટકા કર્મચારીઓની છટણી નહીં કરે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો શરુ થઈ હતી કે ઈલોન મસ્ક 75 ટકા અથવા 5600 જેટલા કર્મચારીઓને નીકાળી દેશે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે બધુવારે મોડી રાતે ટ્વિટરના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આટલા બધા લોકોને નોકરી પરથી નહીં નીકાળે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter Incના સંપૂર્ણ માલિક બની ગયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્વિટરની ડીલ થઈ ગયા પછી તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે કંપનીના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ બે અન્ય ઉચ્ચ અધિકારીઓને છૂટા કરી દીધા છે. આ બે અધિકારીઓમાં કંપનીના પોલિસી હેડ વિજયા ગાડ્ડે અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલ પણ સામેલ છે. આ સાથે જ પાછલા ઘણાં મહિનાઓથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ઓફર આપી હતી. પરંતુ ત્યારપછી તે પોતાની વાત પરથી ફરી ગયા હતા. ત્યારપછી ટ્વિટરે ઈલોન મસ્કને કોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જો શુક્રવાર સુધી ઈલોન મસ્ક આ ડીલને આગળ ના વધારતા તો કોર્ટમાં સુનાવણી શરુ થવાની હતી. ટેસ્લાના CEO ઈલોન મસ્કે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન પહેલા જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પોતાના હાથમાં લઈ લીધું છે.
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં બુધવારે date 27/10/22 મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો છે. ઝિમ્બાબ્વેએ લાજવાબ પ્રદર્શન કરતાં પાકિસ્તાન સામે એક રને વિજય નોંધાવ્યો છે.
પર્થ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેનો ધબડકો થયો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ નોંધાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સળંગ બીજો પરાજય છે. પાકિસ્તાનને અગાઉ ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.
ઝિમ્બાબ્વેની બેટિંગ થોડી પ્રભાવશાળી રહી હતી. તેની શરૂઆત સારી રહી હતી. માધેવેરે અને સુકાની ક્રેગ ઈરવિનની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં 42 રનનો સ્કોર નોંધાવ્યો હતો. માધેવેરેએ 17 અને ઈરવિને 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલ્ટન શુમ્બાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સીન વિલિયમ્સે નોંધાવ્યા હતા. સીન વિલિયમ્સે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં બ્રાડ ઈવાન્સે 15 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ વસિમે ચાર તથા શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રૌફને એક સફળતા મળી હતી.
131 રનના સ્કોર સામે પાકિસ્તાનના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. જેના પરિણામે અંતિમ બોલ સુધી મેચ રોમાંચક રહી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા. રિઝવાન 14 અને બાબર આઝમ ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા પરંતુ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. મોહમ્મદ નવાઝે 22 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ ત્રણ તથા બ્રાડ ઈવાન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગ્વેને એક-એક સફળતા મળી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.