સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા અનોખી ‘સામાજિક સુરક્ષા યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં ૧,૪૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ચાર વર્ષમાં સમાજના ૨૮ સભ્યોના અવસાન થયા છે. તેમણે યોજનામાં ૨.૮૯ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે તેમના પરિવારને રૂ. ૨૦.૩૩ લાખ ચૂકવવામાં આવ્યા છે.
સમાજના પ્રમુખ પ્રફૂલભાઇ આર. તલસાણીયા કહે છે કે, સમાજના જ રૂપિયા સમાજના લોકોના કામમાં આવે તેના માટે આ યોજના શરૂ કરાઇ છે, જેમાં ૨૧ વર્ષથી માંડીને ૬૫ વર્ષ સુધીનો સમાજનો કોઇ પણ વ્યકિત સભ્ય બની શકે છે. જેણે એક વખત નક્કી કરેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. ૨૧ વર્ષના યુવક માટે રૂ. ૫૦૦ જયારે ૬૫ વર્ષના સભ્ય માટે રૂ. ૧૪,૮૦૦ પ્રીમિયમ નક્કી કરાયું છે.
આ પ્રીમિયમમાંથી એક રૂપિયો પણ વાપરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે જ્યારે યોજનામાં ૫૦૦ સભ્યો હતા. પ્રથમ વર્ષે બે સભ્યોના અવસાન થયા હતા. તે બે સભ્યો માટે તમામ સભ્યદીઠ રૂ. ૨૦૦ (દરેક મૃતકના રૂ.૧૦૦) ઉઘરાવવામાં આવ્યા. એટલે રૂપિયા એક લાખ એકત્રિત થયા. જે પૈકી ૮૦ ટકા રકમ એટલે કે બન્ને મૃતકોના સ્વજનોને રૂ. ૪૦-૪૦ હજાર આપી દેવામાં આવે છે. ૨૦ ટકા રકમ ટ્રસ્ટ પાસે રાખવામાં આવે છે. જેનો ઉપયોગ કોઇ હોનારત વખતે ઉપયોગમાં લઇ શકાય.
ડોક્ટરોની યોજના પરથી યોજના તૈયાર કરી
ડોક્ટર સમાજના સૌથી જાગૃત નાગરિકો ગણાય છે. તબીબોએ આવી યોજના અમલમાં મૂકી હતી. તેના ઉપરથી પેરણા લઇને અમારા સમાજ માટે પણ આ યોજના શરૂ કરી છે. જેને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે. ગયા વર્ષે તો વ્યાજના આવક થતાં તમામ સભ્યોને ચાંદીનો સિકકો બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. દરેક સમાજ જો આવી યોજના અમલમાં મૂકે તો ચોક્કસ ફાયદો જ થાય.
કોઇ પણ સભ્યનું અવસાન થાયો તે અઠવાડિયામાં જ તેને મળવાપાત્ર રકમ કોને આપવી? તેની વિગતો સભ્ય ફોર્મ સાથે જ ભરી દેવામાં આવતી હોય છે. જેમાં એક પ્રિન્સિપલ નોમીની હોય. જો તે ન હોય તો પ્રથમ વૈકલ્પિક નોમીની અને દ્વિતીય વૈકલ્પિક નોમીનીની વિગતો પણ સબમીટ કરવાની હોય છે. જેને લઇને ચોક્કસ વ્યક્તિના હાથમાં ચેક સોંપી શકાય.













