ભારતીય ટીમ ગુરૂવારે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બીજા વન ડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખવાના અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે વિરાટ કોહલીનું આ મેચમાં રમવું પણ સંદિગ્ધ છે. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ કોહલીએ આ ઇજાને લીધે પહેલો વન ડે પણ ગુમાવ્યો હતો. જો કે કોહલીની ગેરહાજરીમાં ટીમના દેખાવમાં કોઇ ફરક પડયો નથી. બુમરાહની કાતિલ બોલિંગથી ભારતે પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડને 110માં ઓલઆઉટ કરીને 10 વિકેટે ધસમસતી જીત મેળવી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ કારમી હાર ભૂલવાની કોશિશ કરશે અને શ્રેણી જીવંત રાખવા માંગશે. મેચ ગુરૂવારે સાંજે પ-30થી શરૂ થશે.
કપ્તાન રોહિત શર્મા અને તેની ટીમને એવી આશા રહેશે કે લોર્ડસની પિચ પણ ઓવલ જેવી હશે. બુમરાહ ઘાતક ફોર્મમાં છે અને શમી કોઇપણ વિરોધી બેટધર પર ભારે પડી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સના ભારતના આ બે ફાસ્ટ બોલર સામે ફરી એકવાર કસોટી થશે. જો કોહલી નહીં રમે તો શ્રેયસ અય્યર વન ડાઉનમાં હશે અને તેણે શોર્ટ પિચ બોલ પર આઉટ થતાં બચવું પડશે. દીપક હુડ્ડા ક્ષમતાવાળો બેટધર છે. આથી શ્રેયસ અય્યર પર સારા દેખાવનું દબાણ રહેશે.
ઓવલમાં કપ્તાન રોહિતે પ8 દડામાં પ છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. તે અને તેનો સાથીદાર શિખર ધવન લોર્ડસમાં પણ મોટી ઇનિંગનો ઇરાદો રાખશે. લોર્ડસની પિચ મોટાભાગે બેટધરોને વધુ યારી આપે છે. એવામાં ઇંગ્લેન્ડ પાસે વાપસીનો મોકો બની રહેશે. જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસ, જેસન રોય અને લિયામ લિવિંગસ્ટન જેવા બેટધરોની હાજરીમાં ઇંગ્લેન્ડની નામચીન બેટિંગ હરોળ બીજા વન ડેમાં ટોસ જીતવાની સ્થિતિમાં મોટો સ્કોર ખડકવાની કોશિશ કરશે. જો કે તેની બિન અનુભવી બોલિંગ લાઇનઅપનો દેખાવ મહત્ત્વનો બની રહેશે.
