ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.
આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.
જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.



















